________________
દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માના ભાવપૂર્વકના ભજનથી ભવના પ્યાલામાં , રહેલું સઘળું વિષ અલ્પ સમયમાં અમૃતમય બની જાય છે. અંતઃકરણમાં નાચતી ભાવની ગંગાનો જોરદાર પ્રવાહ વિચારમાંના વિષાણુઓને માતા બાળકની આંખો સાફ કરે તેમ નિર્મૂળ કરી નાખે છે.
નિર્મળ સરોવરમાં ખીલેલા મનોહર કમળ ઉપર બેસવાથી જે શાતા ભમરો અનુભવે છે એના કરતાં પણ અધિક ચઢીયાતી શાતા આપણે શ્રીનવકારના અમૃતખોળે કયારે અનુભવીશું?
આપણા મનભ્રમરનું અર્થહીન બહિર્ભમણ આપણી અશાતામાં વધારો જ કરતું હોય છે તે આપણને જયારે બરાબર હૃદયગત થશે ત્યારે આપણને સહુને પણ દિવસમાં ઘડી, બે ઘડીવાર અંતરસરની ચાંદનીમાં ચળકતા આત્માના બિંબમાં મનની આંખો પરોવવાનો ભાવ આવશે જ.
અંતરસરમાં ચળકતું આત્માનું અદ્ભુત બિંબ જે સમયે તેમાં ખીલેલા ભક્તિરૂપી કમળની મધ્યમાં બિરાજમાન ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિમાં ઓતપ્રોત થાય છે તે સમયે સકળ જીવલોકમાં ભાવદિવાળીનો હર્ષ ફેલાય છે.
આપણે સાવ સામાન્ય પ્રકારના ન બની ગયા હોત, તો શાશ્વત એવો શ્રીનવકાર આપણને અસામાન્ય, અસાધારણ તેમ જ એક અને અજોડ પ્રતીત થયા સિવાય ન જ રહત.
અજ્ઞાનદશાને કારણે જીવને અયોગ્ય પદાર્થો પ્રત્યે રહેતો મોહ તેની અનંત, અસીમ શક્તિને રોજને રોજ સેંકડો, હજારો અને લાખોવારના જન્મ-મૃત્યુમાં ફેરવી નાખે છે.
તે જ જીવ જ્યારે શ્રીનવકારમાં પોતાનું મોં જુએ છે એટલે તેને પોતાના અસલ સ્વરૂપનો કંઈક પણ ખ્યાલ આવે છે.
જીવની ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટતર અને ઉત્કૃષ્ટતમ પ્રકારની જે અવસ્થાઓ હોઈ શકે તેનું શ્રીનવકારનાં પ્રથમ પાંચ પદો આપણને સ્પષ્ટ ભાન કરાવે છે.
ભાન કરાવવાની સાથોસાથ તેના અક્ષરો જડતા પ્રત્યેના આપણા પક્ષપાતને એવા જોરથી ધક્કો મારે છે કે આપણે ઘડીભરને માટે આશ્ચર્યચકિત થઈ જઈએ.
પરંતુ સૂતેલાને જગાડવા કરતાં જાગતાને જગાડવો તે વધુ મુશ્કેલ હોય છે તેમ આપણો નંબર શ્રીનવકારને મેળવી ચૂકેલાઓમાં ગણાતો હોવાથી તેની અચિંત્ય શક્તિ સંબંધી ચિંતન આપણે કરવામાં નાનપ સમજતા હોઈએ એવું સ્પષ્ટ દેખાય છે.
૧૩ર૦ ધર્મ-ચિંતન