________________
નમોની શક્તિ
(મંત્રાધિરાજ શ્રીનવકારના ‘નમો' શબ્દમાં રહેલી અમાપશક્તિનું હૃદયસ્પર્શી વિવેચન તથા મંત્રાધિરાજના મેરુતુલ્ય ‘નમો'માં ઇન્દ્રિયાભિમુખ મનને ઓગાળી નાખવાની સ્વ-પરહિતકર પ્રક્રિયાનું સુગેય પ્રતિપાદન આ લેખમાં થયું છે. સં.)
નમોરૂપી ધનુષ્ય
નમો રૂપી ધનુષ્ય ઉપર ચઢેલું મનરૂપી બાણ ‘અરિહંત’રૂપી બ્રહ્મને લક્ષ્ય કરીને અપ્રમત્તપણે વીંધવામાં આવે તો ‘તાણ’રૂપી તન્મયતાને પામે છે.
प्रणवो धनुः शरोह्यात्मा, ब्रह्मतुल्लक्ष्यमुच्यते । अप्रमत्तेन वेद्धव्यं शरवत् तन्मयो भवेत् ॥१॥
નમો પ્રણવ સ્વરૂપ પણ છે. પ્રણવ એટલે પ્રકૃષ્ટ સ્તુતિ. નો પ્રકૃષ્ટ સ્તુતિરૂપ હોવાથી પ્રણવ જ છે. પરમાત્માની સ્તુતિરૂપ બનાવવા માટે નોના છેલ્લા અક્ષરને ઉલટાવવાથી ‘ઑ' પરમાત્મવાચક બની જાય છે. તેથી ૐ નમો એ ધનુષ્ય બન્યું. એ જ રીતે ‘મનસ્' ને ઉલટાવવાથી ‘નમસ્’ બને છે. ‘મનસ્’ એ ઇન્દ્રિયાભિમુખ મન છે. તેને ‘નમસ્’ વડે પરમાત્માભિમુખ બનાવાય છે. એટલે નમસ્કારાકાર મનોવૃત્તિ કરવાનું સાધન ‘મનસ્' પદની સાથે ‘નમસ્' પદને જોડવું તે છે. નમો એ મનને ઉલટાવવાની ક્રિયા છે.
મનવડે જીવ ઇન્દ્રિયાભિમુખ થઈને કર્મ બાંધતો હતો, તે જ મન વડે આત્માભિમુખ બત્તી જીવ કર્મ નિર્જરે છે. એ પ્રભાવ નમો પદનો છે. તેથી નમો પદ એકલું પણ મહામંત્ર સ્વરૂપ છે.
મંત્ર શબ્દની વ્યુત્પત્તિ
મંત્ર શબ્દની ત્રણે વ્યુત્પત્તિ નો પદને લાગુ પડે છે. નમો મનન વડે ત્રાણ કરવાની શક્તિ ધરાવે છે અથવા પરમાત્મા સાથે જીવાત્માને તન્મય થવાની ગુહ્ય મંત્રણા કરાવે છે. અથવા સર્વ પ્રકારના શ્રેષ્ઠ પુરુષાર્થોને આમંત્રણ આપે છે. નમો એ મોક્ષ સુખનું આમંત્રણ છે. ઇન્દ્રિયો અને તેના વિષયો સાથે અથવા દેહ અને તેના ધર્મો સાથે જોડાયેલું, એકમેક થયેલું મન આત્મા અને તેના ધર્મો સાથે અથવા પરમેષ્ઠિઓ અને તેમના ગુણો સાથે નમો પદવડે જોડાઈ શકે છે, તેથી નમો મહાયોગ સ્વરૂપ છે. નમો પદનો પુનઃ પુનઃ જાપ જીવને ભોગી મટાડીને યોગી બનાવે છે, સંસારી મટાડીને સિદ્ધ બનાવે છે, જીવ મટાડીને શિવ બનાવે છે. બે અક્ષરનું ‘મન’ બે અક્ષરના ‘નમ’ વડે વશ થાય છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૭૭