________________
સુમન ! આ “ન્યાયસમ્પન્નવૈભવ” ગુણનું વિધાન કરવામાં શાસ્ત્રકારોનો મુખ્ય ઉદ્દેશ વૈભવ- પ્રાપ્ત કરાવવાનો નહિ, કિન્તુ અન્યાયના ત્યાગપૂર્વક ન્યાયનું પાલન કરાવવાનો છે.
સુમન ! સાથે રહેતી એક જ રાજ્યની પ્રજાનું કર્તવ્ય છે કે પોતાના જીવનથી બીજાને બાધા ન પહોંચાડતાં શક્યતા પ્રમાણે સહાય કરવી. બાધા પહોંચાડનાર રાજયનો ગુન્હેગાર બને છે અને યથાશક્ય બીજાને સહાય કરનારો રાજાની મહેરબાનીનું પાત્ર બને છે, પ્રજામાં પણ તે આદર સન્માન પૂજા વગેરેને પામે છે. તેમ જૈનશાસનની પ્રજારૂપે જગતના સર્વ જીવોનું કર્તવ્ય છે કે પોતાના સ્વાર્થને કારણે બીજાને કષ્ટ નહિ આપતાં શક્તિ સામગ્રી અનુસારે બીજાને સુખી કરવા પ્રયત્ન કરવો. બીજાને કષ્ટ આપનાર ધર્મશાસનનો ગુન્હેગાર બને છે તેથી તેના ગુન્હાને અનુસારે કર્મ તેને નાની મોટી શિક્ષા કરે છે. એથી વિપરીત બીજાને યથાશક્ય સુખ આપનારો ધર્મશાસનની મહેરબાની મેળવી શકે છે અને સર્વત્ર આદર સન્માન પૂજા વગેરેને પામે છે.
સુમન ! એ કારણે અન્ય જીવને કોઈ પ્રકારે દુઃખમાં નિમિત્ત બનવું તે અન્યાય છે અને સુખમાં નિમિત્ત બનવું તે ન્યાય છે.
સુમન ! સકળ જન્તના કલ્યાણ માટેના શુદ્ધ આત્મપરિણામપૂર્વકનું સર્વથા પ્રાણાતિપાતવિરમણ, અર્થાત. અહિંસા, તેને પરમ એટલે સર્વશ્રેષ્ઠ ધર્મ કહ્યો છે અને કોઈ પણ જીવને થોડું પણ દુ:ખ ઉપજાવવું તેને હિંસારૂપ અધર્મ કહ્યો છે, તેનું કારણ એ છે કે હિંસા એ અન્યાય છે અને અહિંસા એ ન્યાય છે. ન્યાય એ સમ્પત્તિ છે એ અન્યાય એ વિપત્તિ છે.
સુમન ! કોઈ પણ તને અન્યાય કરે તો તને ઇષ્ટ નથી તેમ કોઈને પણ તું અન્યાય કરે, તેને તે ઈષ્ટ ન જ હોય.
સુમન ! સામાન્યતયા તો સર્વ કોઈ ન્યાયને કર્તવ્ય અને અન્યાયને અકર્તવ્ય સમજે છે, પણ ન્યાય શું અને અન્યાય શું ? એ વિવેક દુષ્કર છે. જેની બુદ્ધિ ઉપર અહંકારનું સામ્રાજય વર્તે છે તે પ્રાયઃ ન્યાય-અન્યાયનો સાચો વિવેક કરી શકતો નથી. એ કારણે ન્યાયને સમજવા માટે માર્ગાનુસારિણી બુદ્ધિની જરૂર રહે છે. આ બુદ્ધિ જીવમાં નમસ્કાર મહામંત્રની આરાધનાથી પ્રગટે છે, માટે જ્ઞાનીઓએ સર્વ કાર્યો કરતાં પહેલાં શ્રીનવકારમંત્રના ઉચ્ચારણનો વિધિ જણાવ્યો છે.
સુમન ! કોઈ પણ કાર્ય અનેક નિમિત્તોનું બળ મળવાથી સિદ્ધ થાય છે, તે સર્વ નિમિત્તોને બે ભાગમાં વહેંચીએ તો અંતરંગ નિમિત્ત અને બાહ્ય નિમિત્ત એમ બે વિભાગમાં તે વહેંચી શકાય છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૧૧૯