________________
ન્યાય સંપન્નતા-૧
(ઉન્માર્ગગામિની બુદ્ધિને માર્ગાનુસારિણી બનાવીને શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞામાં સ્થિર કરવામાં “ન્યાય” કેટલો ઉપકારી છે તેમ જ “અન્યાય” કેટલો અનર્થ જન્માવે છે તે હકીકતનું હૃદયસ્પર્શી વિવેચન આ પત્ર-લેખમાં સરળ તેમ જ બોધક શૈલીમાં કરવામાં આવ્યું છે. સં.).
સુમન ! અનુપ્રેક્ષા તને રૂચિકર બની છે, એમ તારી વધતી જતી જિજ્ઞાસાથી સમજી શકાય છે. વસ્તુતઃ જીવનો સમ્યગ્બોધ જેમ જેમ વધે છે, તેમ તેમ જિજ્ઞાસા પણ વધે છે. જાણેલું અલ્પ લાગે, પોતાની અજ્ઞાનતા ઓળખાતી જાય અને મિથ્યા અહંકાર મંદ પડતો જાય, તો સમજવું કે જ્ઞાન પચ્યું છે. લીધેલો આહાર પચવાથી સ્વાથ્ય સુધરે છે અને સાચી ભૂખ જાગે છે તેમ જ્ઞાન પણ પચે છે ત્યારે ઉપશમભાવ પ્રગટે છે અને જિજ્ઞાસા વધે છે.
સુમન ! જિજ્ઞાસાની સાચી પૂર્તિ તો પોતાનો જ પ્રકાશ કરી શકે. કિન્તુ એ પ્રકાશ માટે બીજાની પાસેથી જાણવું જરૂરી છે. શ્રીજિનેશ્વરદેવ અને જિનવચનો પ્રત્યે જેટલું બહુમાન વધે તેટલો પ્રકાશ શીધ્ર થાય અને તેટલું જિનવચનનું ગાંભીર્ય સમજાય.
સુમન ! સર્વ શાસ્ત્રોનો સાર એ છે કે મિથ્યા અહંકારમાંથી જન્મેલી સ્વાર્થવૃત્તિ સર્વ અનર્થોનું મૂળ છે અને નમસ્કારભાવમાંથી પ્રગટ થયેલી પરાર્થવૃત્તિ સર્વ સંપત્તિનું મૂળ છે. તે સ્વાર્થવૃત્તિને ટાળવા અને પરાર્થવૃત્તિ પ્રગટ કરવા માટેના પ્રારંભિક ઉપાયોને માર્ગાનુસારિતા કહી છે. તેને સમજતાં પહેલાં તેનું મહત્ત્વ જાણવું અનિવાર્ય છે.
સુમન ! પરસ્પર અનુવિદ્ધ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમગુ ચારિત્ર એ આત્મગુણો મુક્તિનો માર્ગ છે. એ જ યોગબળ છે, તત્ત્વથી એ જ જાય છે, એ જ ચારિત્ર છે. એ જ આત્મા છે અને એ જ મુક્તિ છે. તેને પ્રાપ્ત કરવા માર્ગાનુસારિતા અતિ આવશ્યક છે.
સુમન ! પાયો આગળ વધીને જેમ મકાન બને છે અને બીજ આગળ વધીને વૃક્ષ બને છે, તેમ ક્રમશઃ આત્મશુદ્ધિ સાથે વધતી આ માર્ગાનુસારિતા એ જ મોક્ષમાર્ગ બની જાય છે અને પરાકાષ્ટાએ પહોંચેલી તે જ મુક્તિ બને છે.
સુમન ! એ રીતે માર્ગાનુસારિતાનો સુખ (મુક્તિ) સાથે એવો સંબંધ છે કે નાના મોટા, બાહ્ય અત્યંતર કોઈ પણ સુખને પ્રાપ્ત કરવા માટે તેનું પાલન અનિવાર્ય છે. શાસ્ત્રકાર ભગવંતોએ તેનું પાલન કરવાના પાંત્રીસ પ્રકારો જણાવ્યા છે, તેને શાસ્ત્રીય પરિભાષામાં માર્ગાનુસારિતાના પાંત્રીસ ગુણો કહેવાય છે અને તે સર્વમાં “ન્યાયસંપન્ન વૈભવ' એ પહેલો ગુણ છે.
૧૧૮• ધર્મ અનપેક્ષા