________________
૩૦૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ ભટકવું પડી રહ્યું છે ? વળી, વિરાટ રાજાનાં ઘરે કેટલી બધી અપમાનજનક સ્થિતિમાં રહેવું પડ્યું હતું? બસ, એ યુધિષ્ઠિરને તો મારી ઉપર જ ક્રોધ કરવો છે. યુધિષ્ઠિર આજે પણ કૌરવો ઉપર કેવી રીતે ક્રોધ કરી શકશે ?
અહીં વાચ્યરૂપ અર્થ તો એવો જણાય છે કે કૌરવો પ્રત્યે યુધિષ્ઠિરને તિરસ્કાર ભાવ ઉઠતો નથી. પરંતુ ભીમની ધ્વનિનાં ફેરફારથી નવો અર્થ પ્રગટ થાય છે જે આ પ્રમાણે છે. યુધિષ્ઠિરે કૌરવો ઉપર ક્રોધ કરવો જોઈએ પરંતુ મારી ઉપર (ભીમ ઉપર) નહીં.
“વાક્યની” વિશેષતાથી પણ નવા અર્થનું પ્રગટપણું થાય છે.
અરે પ્રિયતમ! એ સમયની વાત જ જુદી હતી. જ્યારે તમારી આંખો સ્થિર રીતે મારા ગાલોને જ જોયા કરતી હતી અને તે આંખો ગાલોને જોવા સિવાય અન્યત્ર જવાનું નામ જ લેતી નહોતી. પરંતુ હવે તો એ વાત રહી નથી. હવે તમારી દૃષ્ટિ મારા ગાલો પર નથી.
અહીં વાચ્યાર્થ તો સરળ જ છે. પરંતુ વ્યંગ્યાર્થ આ પ્રમાણે જણાય છે. જ્યાં સુધી મારી પાસે બેઠેલી સખીનો પડછાયો મારા ગાલો પર પડતો હતો ત્યાં સુધી તો તારી આંખો મારા ગાલોને જોઈ જોઈને અદ્ભુત સ્નેહ વરસાવતી હતી. હવે મારી સખી ઊઠીને જતી રહી એટલે તારી દૃષ્ટિ હવે મારા ગાલો ઉપર નથી. તે તો મારી સખી ઉપર એવો પ્રેમ દેખાડ્યો છે કે બીજાઓ એ પ્રેમ કેવી રીતે બતાવી શકે?
હવે “વા”ની વિશેષતાથી નવા અર્થનું પ્રગટપણું થાય છે એનું ઉ.દા. બતાવે છે. અરે સુંદરી ! કેટલો સુંદર નર્મદા નદીનો આ કિનારો છે. લીલાં લીલાં વૃક્ષોની શ્રેણીઓથી કિનારો કેટલો સુંદર જણાઈ રહ્યો છે. અહીં એવી હવા વહી રહી છે જે હૃદયમાં સૂતેલી ભાવનાઓને જાગ્રત કરી રહી છે. આ કોઈ પવન વાઈ રહ્યો નથી, પરંતુ પ્રેમ મહારાજાની જાણે કોઈ સેના હોય એવું જણાય છે.
આ કુંજોમાં એવી કઈ સુંદરી હશે જે કોઈનાં સાથ માટે તત્પર ન હોય !
અહીં વાચ્યાર્થ નર્મદા તટનું એકાંત સ્થાન છે. એનાથી એવો અર્થ પ્રતીત થઈ રહ્યો છે કે ચાલો આપણે બંને અહીં આનંદ માણીએ.
હવે અન્યની સન્નિધિની વિશેષતાથી નવા અર્થનું પ્રગટપણું થાય છે, એનું ઉદાહરણ આ પ્રમાણે છે : અરે સખી! મારી સાસુ એટલી નિર્દય છે કે આખો દિવસ તો ઘરે કોઈને કોઈ કામ કરાવતી રહે છે. મને તો માત્ર સાંજે ક્ષણભર માટે નવરાશ મળી તો મળી અને ન મળી તો ન મળી.
અહીં નાયિકાનો પ્રેમી આજુબાજુ ઊભો છે. આથી એવો અર્થ નીકળે છે કે હે પ્રિતમ ! હું તને સાંજે અવશ્ય મળીશ. અહીં પ્રેમીની સન્નિધિથી આવો અર્થ જણાય છે.