________________
अथ प्रारभ्यते चतुर्दशं षोडशकम् ॥
આ પૂર્વે સિદ્ધાંતકથાદિ સઘળાય યોગમાર્ગનું શરૂઆતથી છેવટ સુધીનું પરમ કારણ છે તે જણાવ્યું છે. એમાં યોગના પ્રકાર કેટલા છે-એવી જિજ્ઞાસામાં યોગના પ્રકાર જણાવાય છે –
सालम्बनो निरालम्बनश्च योगः परो द्विधा ज्ञेयः ।। जिनरूपध्यानं खल्वाधस्तत्तत्त्वगस्त्वपरः ॥१४-१॥
“સાલંબન અને નિરાલંબન - આ બે પ્રકારનો મુખ્ય યોગ જાણવો. એમાં શ્રી જિનેશ્વરદેવના રૂપનું જે ધ્યાન છે તે સાલંબન પ્રથમ યોગ છે અને તેઓશ્રીના આત્મતત્ત્વનું જે ધ્યાન છે; તે બીજો નિરાલંબનયોગ છે.” આ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ છે. આશય એ છે કે ચક્ષુ વગેરે ઈદ્રિયોને લઈને થનારા જ્ઞાનના વિષય એવા શ્રી જિનપ્રતિમાદિ સ્વરૂપ આલંબનની સાથે જે ધ્યાન છે, તેને સાલંબનધ્યાન કહેવાય છે. એ શ્રી જિનપ્રતિમાદિ સ્વરૂપ આલંબનથી રહિત જે ધ્યાન છે; તેને નિરાલંબનધ્યાન કહેવાય છે. જે છાસ્થના ધ્યાનનો વિષય બને છે પરંતુ તે સ્વરૂપે દેખાતો નથી-એવા વિષયવાળો યોગ, નિરાલંબનયોગ છે. '
- યોગ ધ્યાનવિશેષ સ્વરૂપ છે. શ્રેષ્ઠ ધ્યાનવિશેષ સ્વરૂપ યોગના બે પ્રકાર છે. સમવસરણમાં બિરાજમાન શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપના ચિંતનને સાલંબનયોગ સ્વરૂપ પ્રથમ યોગ કહેવાય છે. તે જ શ્રી જિનેશ્વરદેવના માત્ર શુદ્ધઆત્મપ્રદેશ સ્વરૂપ કેવલજ્ઞાનાદિ સ્વભાવના વિષયવાળું જે ધ્યાન છે તેને નિરાલંબનયોગ સ્વરૂપ દ્વિતીયયોગ કહેવાય છે,