________________
“મૈત્રી વગેરે ભાવોના મૂળના આધાનથી યુક્ત એવા કુલયોગી વગેરે જનોને બહુલતયા અનેક. જન્મથી ચાલ્યો આવતો અભ્યાસ શુદ્ધ બને છે.’’- આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જેઓ ગોત્રયોગીથી ભિન્ન એવા કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી છે; તેઓને માર્ગાનુસારી ક્રિયા કરવાના કારણે ઉત્પન્ન થયેલા પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ બીજન્યાસની પ્રાપ્તિ થાય છે. બીજન્યાસસ્વરૂપ મૂલાધાન [મૈત્ર્યાદિભાવોના મૂલાધાન]થી તેઓ યુક્ત હોવાથી તેમનો મૈત્ર્યાદિભાવોનો અભ્યાસ [પરિચય] પણ પ્રાયઃ કરીને અનેક જન્મનો હોય તો શુદ્ધ થાય છે. સો વાર ક્ષારપુટ આપવાથી જેમ રત્ન શુદ્ધ થાય છે; પરંતુ એક વાર પુટ આપવાથી તે શુદ્ધ થતું નથી તેમ મૈત્યાદિભાવોના પણ એક-બે વારના સેવનથી તેનો અભ્યાસ પરિશુદ્ધ થતો નથી. અનેક જન્મનો એ હોય તો તે પરિશુદ્ધ થાય છે. કોઈ જીવવિશેષને આશ્રયીને એ અભ્યાસ એકાદ જન્મમાં પણ પરિશુદ્ધ બને છે તે અપેક્ષાએ અહીં પ્રાયઃ શબ્દનો પ્રયોગ છે. તેથી મરુદેવીમાતાદિ આત્માઓને એકાદ જન્મમાં પરિશુદ્ધ એવા અભ્યાસથી પ્રાપ્તિ થવા છતાં અહીં વિરોધ આવતો નથી.
યોગી પુરુષોના કુળમાં જન્મેલા સામાન્યથી ઉત્તમભવ્ય જીવો ગોત્રયોગી છે. પરંતુ તેઓ યોગીજનોના આચારથી શૂન્ય હોય છે. જેઓ; સર્વત્ર દ્વેષ વિનાના, યોગી જનોના કુળમાં જન્મેલા, ગુરુદેવ અને દ્વિજ જેને પ્રિય છે એવા, યોગી જનોના ધર્મને અનુસરનારા, દયાળુ, વિનયસંપન્ન, બોધવંત અને જિતેન્દ્રિય છે તેઓ કુલયોગી કહેવાય છે. તેમ
૩૭૬