________________
આત્માના પરિણામવિશેષને ‘અપૂર્વકરણ' કહેવાય છે. એ અપૂર્વકરણ લોકોત્તર છે. લો[લોકમાંની વસ્તુઓ]થી શ્રેષ્ઠ અપૂર્વકરણ છે. કારણ કે સૂત્ર અને અર્થનું ગ્રહણ-આસેવન કરવાદિ સ્વરૂપ તે તે ધર્મસ્થાન અનેકવાર પ્રાપ્ત થવા છતાં આ અપૂર્વકરણ પ્રાપ્ત થયું ન હતું. અપૂર્વ એવા આત્મપરિણામવિશેષને અપૂર્વકરણ કહેવાય છે. સ્થૂલ રીતે આ જણાવવું હોય તો; શત્રુ ગ્રંથિ છે. આંખ સામે શત્રુનું હોવું યથાપ્રવૃત્તિકરણ છે શત્રુને ઓળખવું તે શુદ્ધયથાપ્રવૃત્તિકરણ છે; અને શત્રુના વિનાશ માટેનો પ્રયત્ન અપૂર્વકરણ છે. ત્યાર પછીની શત્રુના વિનાશની અવસ્થા અનિવૃત્તિકરણ છે-આ પ્રમાણે જણાવી શકાય છે.
આ રીતે અપૂર્વકરણાદિ દ્વારા પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનના યોગે જ્ઞાન પ્રાપ્ત થવાથી એ જ્ઞાનવાળા લોકોત્તર આત્માની કર્મક્ષયાદિ માટે શક્તિ અચિત્ત્વ હોય છે. જેમ જેમ એ શક્તિના પ્રભાવે કર્મનો-હ્રાસ થાય છે, ત્યારે તે આત્માનું ચિત્ત ખૂબ જ શાંત બને છે. રાગાદિની પરિણતિ દૂર કરી આત્મા નિર્મળ ચિત્તને પ્રાપ્ત કરે છે. એના યોગે સર્વત્ર ઔચિત્યપૂર્વક પ્રવર્તે છે. ઔચિત્યનું અતિક્રમણ રાગાદિના કારણે થતું હોય છે. જે આત્માઓ રાગાદિને પરવશ નથી; તેઓ ખૂબ જ સરળતાથી ઔચિત્યનું આસેવન કરી શકે છે. આવા ઔચિત્યથી યુક્ત; શાંતચિત્તવાળા અને અચિત્ત્વશક્તિમાન એવા લોકોત્તરઆત્માઓને જ જ્ઞાન હોય છે. કારણ કે એવા આત્માઓ જ અપૂર્વકરણ દ્વારા ગ્રંથિને ભેદીને, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે અને સમ્યગ્દર્શનના યોગે જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
૩૩૩