________________
आगमतत्त्वं ज्ञेयं तद् दृष्टेष्टाविरुद्धवाक्यतया । उत्सर्गादिसमन्वितमलमैदंपर्यशुद्धं च ॥१०॥
પ્રત્યક્ષ તેમ જ અનુમાન પ્રમાણ સ્વરૂપ દૃષ્ટ પ્રમાણ અને સ્વાભિમત આગમ પ્રમાણ સ્વરૂપ ઈષ્ટ પ્રમાણથી અવિરુદ્ધ વાક્ય સ્વરૂપ વડે; ઉત્સર્ગ અને અપવાદથી સારી રીતે યુક્ત તેમ જ અત્યન્ત તાત્પર્યથી શુદ્ધ તે-પ્રસિદ્ધ આગમતત્ત્વ જાણવું” આ પ્રમાણે દશમી ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે સદ્ધર્મની પરીક્ષા કરતી વખતે પંડિત પુરુષો આગમતત્ત્વની જ મુખ્યપણે વિચારણા કરે છે. એ આગમનાં જે વાક્યો છે તે વાક્યો[વચનોથી જણાવેલો અર્થ, પ્રત્યક્ષસિદ્ધ કે અનુમાન દ્વારા સિદ્ધ થયેલ અર્થથી વિરુદ્ધ ન હોય તેમ જ એ આગમનાં જ બીજાં જે વાક્યો છે તેનાથી જણાવેલા અર્થથી પણ વિરુદ્ધ ન હોય તો તે આગમને દૃષ્ટષ્ટાવિરુદ્ધ વાક્યોવાળું આગમ કહેવાય છે. પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી જે અર્થનું જ્ઞાન થાય છે, એ અર્થના વિષયમાં આગમે પણ એ મુજબનું જ વર્ણન કરવું જોઈએ. અન્યથા આગમ એ અર્થથી વિરુદ્ધ-બીજા જ અર્થનું નિરૂપણ કરે તો એ બીજા અર્થનો વિરોધ; પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ જ કરી નાખશે. કારણ કે આગમપ્રતિપાદિત અર્થ જો પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ પ્રસિદ્ધ અર્થથી વિરુદ્ધ હોય તો તે અર્થ પ્રમાણભૂત નહિ જ હોય. આવી જ રીતે આગમમાં પૂર્વે જે જણાવ્યું હોય તેનો આગળ જઈને અથવા તો એની પણ પૂર્વે વિરોધ નહિ થવો જોઈએ. અર્થાત્ પરસ્પર વિરોધી વચનોવાળું જે ન હોય તે જ વસ્તુતઃ આગમતત્ત્વ છે. તદુપરાન્ત આ આગમમાં