________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
હવે વ્યાકુળ થયેલા શેઠ ફરી પણ તે દેવતાને પણ ઘણાં સુગંધીફુલ-કપૂર-નેપથ્ય વગેરેથી પૂજે છે. પછી કહે છે કે હે દેવી! લોકમાં મોટા આશ્ચર્યભૂત આ શું થયું ? પછી પાત્રમાં સંક્રમીને દેવી કહે છે કે આ પુત્ર તને મારાવડે અપાયો છે પરંતુ પૂર્વજન્મમાં ધનવતીએ શોક્યના રત્નનું હરણ કર્યું હતું અને રત્નની જગ્યાએ તેવા વર્ણવાળા પથ્થરને મૂક્યું હતું. અતિદુ:ખી કંઠે ભરાયેલા પ્રાણવાળી, રડતી શોક્યને જોઈને, વીશમે પહોરે તે જ સ્થાનમાં કરુણાથી ધનવતીએ ફરી પણ તે રત્નને મૂક્યું. (૧૮) હમણાં તારું તે સ્વકૃત કર્મ ઉદયમાં આવ્યું છે. તે કર્મથી પ્રેરાયેલી દેવી વડે ઢાંકીને તે સર્વ કરાયો છે. તારો પુત્ર મનુષ્ય હોવા છતાં પણ વીશ વર્ષને અંતે કર્મનાશ થયા પછી પોતાના શ્રેષ્ઠ રૂપને ધરનારા આ પુત્રને જ તમે જોશો. તેઓએ કહ્યું કે આજથી માંડીને વિશ વર્ષ સુધી અમારે શું કરવું ? એમ પ્રસન્ન થઈને તમે કહો. પછી દેવીએ કહ્યું કે હમણાં આ કરો અને પછી એમ કરો અને આગળ ઉપર એમ એમ કરો વગેરે વગેરે. એમ કહીને કહ્યું કે આ સાપ સર્વથા ઝેરી નથી. કોઈને પણ ડંસ મારશે નહીં તેથી સર્વથા ભય ન કરવો. (પામવો). મારા વચનમાં કોઈએ પણ અવિશ્ર્વાસ ન કરવો કારણ કે મેં આ સર્વ અતિશય જ્ઞાનીને પુછ્યું છે એ પ્રમાણે કહીને દેવી સ્વસ્થાનમાં ગઈ. પછી દેવીએ જે પ્રમાણે શીખવાડ્યું હતું તેમ જ સર્વ કરે છે. તેઓ સાપને દૂધ પાય છે અને પછી કરંડિયામાં મૂકે છે. પછી અતિમોટા મહોત્સવપૂર્વક વર્ધાપન કરાવાયું. તેના છઠ્ઠી* પ્રમુખ સર્વ વ્યવહારિક કૃત્યો કરાય છે. દેવીના વચનથી માતાપિતા આનંદિત થયા અને માતા પિતાએ તેનું નામ જંબુદિન્ન રાખ્યું પણ બહારથી ચલુરૂપી ગુફાથી બતાવી શકાતો નથી એમ તેઓ બોલે છે. એ પ્રમાણે બાર વરસ પસાર થયા પછી કોઈક વણિક પોતાની રૂપવતી કન્યા આપવા માટે ત્યાં આવ્યો. (૨૯) - પછી ધનપ્રિયે કહ્યું કે જો તું મારા પુત્રને જોયા વિના પરણાવીને આપશે તો હું તારી કન્યાને ગ્રહણ કરીશ તથા અહીં રહેલો જ મારો પુત્ર શરીરના વસ્ત્રના બાનાથી જ પરણશે. પછી કન્યાના પિતાએ વિચાર્યું કે આ કંઈક અપૂર્વ છે. આ સર્વ પણ કંઈક છે પરંતુ આ ધનપ્રિય અમારી જ્ઞાતિમાં રિદ્ધિ સંપન્ન છે તેથી મારી પુત્રીને ખાણી-પીણીમાં કંઈપણ ન્યૂનતા નહીં રહે અને શરીરને વિશે જો પુણ્યાઈ હશે તો ઘરવાસ પણ થશે. (૩૩) એ પ્રમાણે વિચારીને પોતાની આઠ વરસની નાગશ્રી કન્યાને આપી અને તેજ ધનપ્રિયે નક્કી કરેલ વિધિથી પરણાવી. પછી ધનપ્રિયે શ્રેષ્ઠ સુવર્ણ અને રત્નોથી ઘડેલ, મોતીના હારથી કરાઈ છે શોભા જેની એવા સર્વ આભરણનો સમૂહ નાગશ્રીને આપ્યો. હવે નાગશ્રી શ્વસુરગૃહે આવે છે અને જાય છે પણ પતિને જોતી નથી. તેટલામાં અનુક્રમે તેને વશમું વરસ પૂર્ણ થયું. પછી સાસુએ કહ્યું કે હે પુત્રી ! વાસઘરમાં દીપકને કર અને વાસઘરમાં શ્રેષ્ઠ ગાદી તકીયાવાળી શૈયા પણ છૂટી પડેલી છે તેને ગાદી તકીયાથી સજ્જ કર. પછી નાગશ્રીએ તે પ્રમાણે સર્વ તૈયાર કર્યું. (૩૮) પછી ધનપ્રિયે પાનબીડાથી યુક્ત પોટલીઓ ત્યાં મુકાવી તથા સુગંધી કુસુમથી યુક્ત બીજી પણ પોટલીઓ મુકાવી અને છીપમાં કર્પરાદિ વિમિશ્રિત ચંદનનું વિલેપન મુકાવ્યું. કૃષ્ણાગધૂપની ધૂપદાનીઓ ત્યાં મુકાવી. પછી ધનવતીએ નાગશ્રીને એકાંતમાં બોલાવીને કહ્યું કે હે પુત્રી ! અહીં કરંડિયામાંથી એક યુવાન નીકળશે તારે એનો ભય ન રાખવો તે પણ શંકા રહિત તારી સાથે ભોગ ભોગવશે. પછી સંભોગને અંતે કરંડિયામાંથી સાપની મોટી કાંચળી લઈને શંકા રહિત તારે જલ્દીથી જ દિપની શિખામાં બાળવી એ પ્રમાણે દેવીએ કહેલ સર્વ શીખામણ અપાયેલી એવી આ શ્રેષ્ઠ વસ્ત્ર-વિલેપનોથી શણગાર કરીને પછી વાસઘરમાં જઈને દરવાજા પર નિશ્ચલ કપાટને બંધ કરીને દેવસુંદરીની જેમ આ લીલાથી શૈયા પર બેસે છે જે પ્રમાણે સાસુએ કહેલ તે પ્રમાણે જ સર્વ બન્યું. નાગશ્રીએ પણ તે જ રીતે કર્યું. * છઠ્ઠી: બાળકના જન્મ પછી છ દિવસ કરવામાં આવતી અમુક પ્રકારની વિધિ.