________________
૨૬૦
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
પૂર્વભવમાં ગંગદત્તે કર્મનો આશ્રવ કર્યો અને હિંસાદિથી નિવૃત્ત થયેલાને અશુભ કર્મનો આશ્રવ થતો નથી જેમ પૂર્વભવમાં ગંગદત્તના ભાઈ લલિતાગે કર્મનો આશ્રવ ન કર્યો. આ વ્યતિરકે દૃષ્ટાંત છે. અને આ જ દૃષ્ટાંત સૂત્રમાં સાક્ષાત્ બતાવ્યું છે. ગંગદત્ત અન્વય દૃષ્ટાંત છે તે સ્વયં જ જાણી લેવું તેથી આ બંને પણ દૃષ્ટાંત સાથે કહેવાય છે તે આ પ્રમાણે
- લલિતાંગ તથા ગંગદત્તનું કથાનક આ ભરતક્ષેત્રમાં ધનસંચય નામનો સંનિવેશ છે જેમાં ઘણી રિદ્ધિથી યુક્ત હોવા છતાં પણ લોક ધનની લાલસાથી રહિત છે. ત્યાં અન્યોન્ય પ્રેમથી બંધાયેલા બંને પણ કુલપુત્ર ભાઈઓ ક્યારેક અટવીમાંથી લાકડાનું ગાડું ભરીને પાછા ફર્યા. નાનો ગાડાની ઊધ (ધુરા) પર બેસીને ગાડાને ચલાવે છે અને મોટો ભાઈ આગળથી પગે ચાલે છે. માર્ગમાં ધીમે ધીમે આડી સન્મુખ જતી ચક્ષુલિંડી (સાપણી)ને જુએ છે. પછી નાના ભાઈને કહે છે કે આ વરાકડીનું રક્ષણ કર. ગાડાને ટારીને ચલાવ (અર્થાત્ સાપણી ગાડાના પૈડા નીચે કચડાઈ ન જાય તેમ માર્ગ સિવાય અન્યથી ચલાવ.) નાનો ભાઈ વિચારે છે કે આનું રક્ષણ કરવાથી શું ? ગાડાના પૈડાથી આને પીલવામાં આવે તો કેવો અવાજ થાય ? તે હું સાંભળું. એમ વિચારીને નિર્દય મનવાળો તે સાપણીની ઉપર ગાડાને હાંકે છે. સંજ્ઞિ પંચેન્દ્રિય હોવાથી તે સાપણી પણ સર્વ વ્યતિકરને મનમાં જાણે છે. મોટાભાઈના વચનથી ઘણી ખુશ થઈ અને નાના ભાઈના વચનથી ઘણી દુભાઈ, ગાડાથી કચડાયેલી અને મરેલી તે વસંતપુર નગરમાં ધન નામના શ્રેષ્ઠીના ઘરે પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. (૮) ક્રમથી યૌવનને પામી ત્યારે તે પરણાવાઈ અને તે મોટો કુલપુત્ર મરીને તેના ગર્ભમાં ઉત્પન્ન થયો અને ખુશ થયેલી તે ગર્ભને વહન કરે છે. પછી અતિ શીત નહીં અતિ ઉષ્ણ નહીં એવા હિત પથ્ય આહાર વડે સુખપૂર્વક ગર્ભનું પાલન કરીને સમયે પુત્રને જન્મ આપે છે. મનમાં તુષ્ટ થયેલી વર્ધાપન કરાવે છે અને મોટા હર્ષથી પુત્રનું નામ લલિતાંગ રાખ્યું. પછી સુખપૂર્વક તે પુત્ર મોટો થાય છે ત્યારે નાનો ભાઈ પણ મરીને તેના ગર્ભમાં ઉત્પન્ન થયો. (૧૨) પૂર્વ ભવનો વૈરી હોવાથી તે માતાને મોટી અરતિ ઉત્પન્ન કરે છે. પછી દ્રષી એવી માતા પણ દુષ્ટ ઔષધો પીએ છે તો પણ નિરુપક્રમ આયુષ્યવાળો હોવાથી ગર્ભ વિનાશ પામતો નથી. તેથી આ કેમેય કરીને અરતિ રૂપી મહાસાગરમાં પડી. કાળે પુત્રને જન્મ આપે છે. દ્વેષીમાતા દાસીને આપીને પુત્રનો ત્યાગ કરાવે છે. અને ફેંકણી માટે (ત્યાગ કરવા માટે) લઈ જવાતો પિતાવડે જોવાયો અને તેના હાથમાંથી લઈ લીધો. પિતાએ સર્વ હકીકત દાસીને પૂછી. દાસીએ સર્વ હકીકત સત્ય જણાવી. પિતા વિચારે છે કે આ માતાની પાસે જીવી શકશે. નહીં પછી બીજાના ઘરે ગુપ્ત રાખીને મોટો કરાવે છે. અને ધાત્રીઓએ તેનું ગંગદત્ત નામ રાખ્યું અને પુત્ર બીજે ક્યાંય મોટો થાય છે એમ માતાએ કોઈપણ રીતે જાણ્યું. તેથી હૃદયમાં પતિ ઉપર પણ રોષને ધારણ કરે છે. પૂર્વ ભવના અભ્યાસથી લલિતાંગને નાના ભાઈ પર સ્નેહ છે પછી બંને પણ પિતા-પુત્ર તેની પ્રયત્નથી સાર સંભાળ રાખે છે. (૧૯) ખાન, પાન વસ્ત્રાદિ સર્વ પણ તેને ગુપ્ત રીતે આપે છે અને બહાર રમતા એવા તેને ક્યારેક માતાએ જોયો. પછી ગુસ્સે થયેલી માતાએ ઘણું પીટીને મારવાની શરૂઆત કરી પરંતુ કરુણાવાળા કોઈક પુરુષોએ પણ તેને કોઈપણ રીતે છોડાવ્યો અને કોઈકવાર ઉત્સવ થયો છે એમ જાણીને લલિતાંગની સાથે પિતા ભોજનવેળાએ પોતાની પીઠ ઉપર ગંગદત્તને સ્થાપે છે અને બંને પણ પોતાના ભાજનમાંથી ગુપ્ત રીતે પક્વાન્નાદિ આપે છે. માતાએ આ જાણ્યું અને બાહુ પકડીને ત્યાંથી કાઢ્યો. પછી પગની પેનીથી લાત મારીને અશુચિ સ્થાનમાં નાખ્યો અને પછી અર્ધ ભોજન કરેલા પિતાપુત્ર બંને પણ સંભ્રાંતને વહન કરતા ઊભા થાય છે અને પાણીથી તેને સાફ કરીને લઈને નીકળી ગયા. વૈરાગ્યને પામેલા બહાર જઈને વૃક્ષની