________________
૫ આસવોને આસવોની વિરતિરૂપ સંવરથી અટકાવવા જોઈએ. આથી આસવ ભાવના પછી સંવર ભાવના કહેવામાં આવી છે. પૂર્વે બંધાયેલા જે કમ સત્તામાં પડ્યા છે તેનો પણ ક્ષય કરવો જોઈએ. અન્યથા મોક્ષની પ્રાપ્તિ ન થાય. આથી સંવર ભાવના પછી નિર્જરાભાવના કહેવામાં આવી છે. તપથી નિર્જરા કરી રહેલા પણ જીવે ઉત્તમગુણો ઉપર બહુમાન કરવું જોઈએ. અન્યથા તપથી પણ તેવા પ્રકારના ફળની પ્રાપ્તિ ન થવાથી નિષ્ફળ થવાનો પ્રસંગ આવે. આથી નિર્જરા ભાવના પછી ઉત્તમગુણ ભાવના કહેવામાં આવી છે. ઉત્તમગુણોમાં જિનધર્મની પ્રાપ્તિ એજ ઉત્તમોત્તમ ગુણ છે. કારણ કે જિનધર્મ હોય તો જ બાકીના ગુણોનો સર્ભાવ હોય છે અને સફળ થાય છે. આથી ઉત્તમ ગુણ ભાવના પછી જિનશાસનની પ્રાપ્તિસ્વરૂપ બોધિ ભાવના કહેવામાં આવી છે.
બાર ભાવનાઓના ચિંતનનું ફળ અનિત્ય ભાવનાનું ફળ - અનિત્યભાવનાના ચિંતનથી ભૌતિક વસ્તુઓ અને સ્વજનસ્નેહીઓ ઉપર રહેલો મમત્વભાવ દૂર થાય છે. આથી જીવ એમના સંયોગથી મુક્ત બનવાનો પુરુષાર્થ કરે છે. એમાં સફળતા ન મળે તો પણ જ્યારે ધન વગેરે ભૌતિક વસ્તુઓનો અને સ્વજન-સ્નેહીઓનો વિયોગ થાય ત્યારે જરા પણ દુઃખ - શોક ન થાય. અશરણભાવનાનું ફળ - અશરણ ભાવનાના ચિંતનથી સંસારમાં હું શરણ રહીત છું એવું ભાન થાય છે તથા જિનશાસન શરણભૂત છે એવો ખ્યાલ આવવાથી જિનશાસનની આરાધના-રક્ષા- પ્રભાવના કરવાની ભાવના થાય છે અને થયેલી એ ભાવના પ્રબળ બને છે. એકત્વભાવનાનું ફળ - એકત્વભાવનાથી હું એકલો છું' એવો બોધ થાય છે. આથી મારે એકલાએ જ મારું હિત સાધી લેવું જોઈએ એવી ભાવનાથી સ્વહિત સાધવા તત્પર બને છે. તથા બીજાઓ માટે પાપ કરીશ તો પણ તેનું ફળ તો મારે એકલાએ જ ભોગવવું પડશે એવી સમજ આવવાથી સંબંધીઓ વગેરેની ખાતર પોતાની દુર્ગતિ થાય તેવા પાપો કરવાનું બંધ કરી દે છે. પોતાને આવેલા દુઃખમાં નિમિત્ત બનનાર ઉપર દ્વેષ થતો નથી. અન્યત્વભાવનાનું ફળ - શરીર અને આત્મા ભિન્ન છે એવી પ્રતીતિ થાય છે. સ્વજન-સ્નેહીઓ મારા નથી એવી સમજ પ્રગટે છે. આથી સ્વજનો ઉપર રહેલી મમતા ભાગી જાય છે અને પરજન ઉપર દ્વેષ થતો નથી. સૌ પ્રત્યે સમભાવ રહે છે. એથી સમભાવે સૌ જનને નીરખે તો શિવસુખનો લાગ” એ વચન ચરિતાર્થ બને છે. સંસાર ભાવનાનું ફળ - સંસારનો ભય પ્રગટે છે. એથી અધ્યાત્મના પાયારૂપ ભવનિર્વેદ (= સંસાર સુખના ત્યાગની ઇચ્છા) ગુણ ઉત્પન્ન થાય છે. ભવનિર્વેદ પામેલો જીવ સંસારના સંગથી મુક્ત બનવાનો પુરુષાર્થ કરે છે. અશુચિભાવનાનું ફળ - શરીરનો રાગ દૂર થાય છે. આથી શરીરના સંગથી સર્વથા મુક્ત બનવાની ભાવના પ્રગટે છે. શરીરના સંગથી સર્વથા મુક્ત બનવા મોક્ષ પુરુષાર્થનો પ્રારંભ થાય છે.
લોકભાવનાનું ફળ - લોકનું શંકા વગેરે દોષોથી રહિત જ્ઞાન થાય છે, લોકના સત્ય સ્વરૂપનો ખ્યાલ આવે છે. એથી જીવ નક્કી કરે છે કે કર્મયુક્ત જીવ માટે આ લોકમાં મોક્ષ સિવાય ક્યાંય શાશ્વત સ્થાન નથી. આમ લોક ભાવનાથી સંવેગ (= મોક્ષની અભિલાષા) ગુણ પ્રગટે છે.