________________
અને જૈનપ્રતિમાઓનું અસ્તિત્વ પણ ન હતું. આગમોમાં અનાદિ અને અનંત માનવામાં આવેલા દ્વાદશાંગીમાં જિનમંદિરના નિર્માણ, જિનેશ્વરોની મૂર્તિની પ્રતિષ્ઠા, અર્ચના, પૂજા, તીર્થયાત્રા આદિનો ક્યાંય નામમાત્રનો પણ ઉલ્લેખ નથી. અતીતની અનંત ચોવીશીઓ અને વર્તમાન અવસર્પિણીકાળની ચોવીશીના કોઈ પણ તીર્થંકર પ્રભુએ પોતાનાં પ્રવચનોમાં ક્યારેય આ પ્રકારનો ઉપદેશ નથી આપ્યો કે - ‘જિનમંદિર નિર્માણ, જૈનપ્રતિમાપૂજા, પ્રતિષ્ઠા અથવા વંદનથી પ્રાણીને મોક્ષની પ્રાપ્તિ થાય છે.’
અધ્યાત્મવાદી જૈન ધર્મમાં આડંબરપૂર્ણ ભૌતિક વિધિ-વિધાન, ચૈત્યનિર્માણ આદિનો સમાવેશ વીર નિર્વાણની અનેક શતાબ્દીઓ પછી નિયતનિવાસી-ચૈત્યવાસી મઠાધીશો દ્વારા કરવામાં આવ્યો. પોતાની કપોલ કલ્પનાના આધારે ધર્મસંઘમાં ધર્મના નામે પ્રવેશી ગયેલાં વિધિવિધાનોને પરંપરાગત સિદ્ધ કરવાના ઉદ્દેશથી ચૈત્યવાસીઓ દ્વારા નિગમોપનિષદોની રચનાઓ કરવામાં આવી. એ નિગમોપનિષદોની ગહન છાપ નિર્યુક્તિઓ, વૃત્તિઓ, ચૂર્ણિઓ અને ભાષ્યો પર સ્પષ્ટતઃ દૃષ્ટિગોચર થાય છે. આ કારણે કોઈ પણ સાચા જૈન માટે નિગમોપનિષદોની જેમ નિર્યુક્તિઓ, વૃત્તિઓ, ચૂર્ણિઓ અને ભાષ્ય અક્ષરશઃ માન્ય નથી. જૈનમાત્ર માટે જિનોપદિષ્ટ કેવળ આગમ જ માન્ય છે, નહિ કે સંપૂર્ણ પંચાંગી.
આગમજ્ઞાન અને આગમ આધારિત લોંકાશાહના ઉપદેશોના અથાક પરિશ્રમથી લોકો ખૂબ પ્રભાવિત થયા. લાખોની સંખ્યામાં જૈનધર્માવલંબી પ્રબુદ્ધ થઈ પોતાના શિથિલાચારી કુલગુરુઓ, આગમ વિરુદ્ધ આચરણ કરનાર પરિગ્રહી આચાર્યો અને મઠાધીશોથી પોતાનો નાતો છોડાવી લોંકાશાહ દ્વારા પ્રદર્શિત વિશુદ્ધ આગમિક પથના પથિક થઈ ગયા. વિ. સં. ૧૫૩૦થી પર્યાપ્ત સમય પૂર્વે જ ગુજરાતથી લઈ આગરા સુધીનું ક્ષેત્ર લોંકાશાહના પ્રભાવમાં આવી ચૂક્યું હતું, અને ત્યાંના અનુયાયી બહુસંખ્યકની કોટિમાં આવી ચૂક્યા હતા. માત્ર એટલું જ નહિ, શિથિલાચારગ્રસ્ત દ્રવ્ય પરંપરાના અનેક સાધુ પણ લોંકાશાહના આગમિક ઉપદેશોથી અને તેમના દ્વારા થયેલા ૫૮ બોલો, ૩૪ બોલો, ૧૩ પ્રશ્નો અને પરંપરા વિષયક સારગર્ભિત પ્રશ્નોથી પ્રભાવિત થઈને લોંકાશાહના અનુયાયી થઈ ગયા અને એમના કાર્યમાં સહાયતા કરવા લાગ્યા.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૩૭ ૨૩૫