________________
નાગપુરમાં પહોંચતાં જ ત્યાંના મહારાજા આહ્લાદન દેવસૂરિ સમક્ષ ઉપસ્થિત થઈ તેમનું સ્વાગત કરી વંદન-નમન કરી એમને ઘણા ઠાઠ-માઠથી નગરપ્રવેશ કરાવ્યો. તત્ત્વદર્શી દેવસૂરિએ ભવ્યજનોને ઉપદેશ આપી સ્વ-પરના કલ્યાણ કરવાવાળા ધર્મનાં માર્ગે તેમને આરૂઢ કરી ઉત્તરોત્તર આગળ વધવા પ્રેરણા કરી.
જે વખતે દેવસૂરિ નાગપુરમાં બિરાજમાન હતા, એ વખતે પાટણાધીશ સિદ્ધરાજ જયસિંહે પોતાની વિશાળ ચતુરંગિણી સેના લઈને નગરને ચોતરફથી ઘેરી લીધું, પરંતુ જેવી સિદ્ધરાજ જયસિંહને જાણ થઈ કે આચાર્ય દેવસૂરિ નાગપુરમાં બિરાજમાન છે, એટલે તરત નગર ફરતો ઘેરો હટાવી લઈ પોતાના વિશાળ લશ્કર સાથે પાટણ પરત ફર્યા. વિશ્વાસુ નગરજનોને દેવસૂરિની સેવામાં મોકલી, ભક્તિપૂર્વક પ્રાર્થના કરી પુનઃ અણહિલપુર-પાટણમાં બોલાવી લીધા અને ચાતુર્માસ પણ કરાવ્યું. જે વખતે દેવસૂરિ પાટણમાં બિરાજમાન હતા, એ વખતે આસો મહિનામાં સિદ્ધરાજ જયસિંહે પોતાની સેના સાથે નાગપુર પર આક્રમણ કર્યું, અને બહુ ઓછા સમયમાં કિલ્લા પર કબજો જમાવ્યો.
આ ઘટનાથી સહજ એવું અનુમાન લગાવી શકાય કે જૈનાચાર્ય દેવસૂરિ પ્રતિ ચાલુક્યરાજ સિદ્ધરાજ જયસિંહના હૃદયમાં કેટલી પ્રગાઢ શ્રદ્ધા-ભક્તિ હતી. એક મહત્ત્વપૂર્ણ સૈનિક અભિયાનમાં વિપુલ ધનરાશિ અને સમય વ્યય કરી નાગપુરને ઘેરો ઘાલ્યા પછી જ્યારે સિદ્ધરાજ જયસિંહને જાણ થઈ કે દેવસૂરિ નાગપુરમાં બિરાજમાન છે તો તત્કાળ ઘેરો હટાવી પાટણ પરત ફર્યા. જ્યાં સુધી દેવસૂરિ નાગપુરમાં રહ્યા ત્યાં સુધી એમણે નાગપુરમાં આક્રમણ ન કર્યું. અંતે એમને પાટણમાં ચાતુર્માસ કરાવ્યા બાદ જ નાગપુર પર આક્રમણ અને અધિકાર જમાવ્યો.
આચાર્યશ્રીનું અણહિલપુર-પાટણનું ચાતુર્માસ પૂર્ણ થયા બાદ કર્ણાવતી નગરના સંઘે વિનંતી કરી. વિનંતી અનુસાર અણહિલપુરપાટણથી વિહાર કરી તેઓ કર્ણાવતી પધાર્યા અને ત્યાં ચાતુર્માસ અર્થે ઉપાશ્રયમાં બિરાજમાન થયા.
આચાર્ય દેવસૂરિના કર્ણાવતી ચાતુર્માસના સમયે પાટણપતિ સિદ્ધરાજ જયસિંહના નાના કર્ણાટકાધીશ જયકેશિદેવના ધર્મગુરુ દિગંબરાચાર્ય છ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૯૮