________________
૭૯
જૈન ઈતિહાસ પોતાના દેશ તરફ જતા હતા, એટલામાં વનરાજે પોતાના પ્રધાનની મદદથી તેઓને લુંટી લીધા. ત્યારબાદ તે દ્રવ્યની મદદથી વનરાજે પોતાનું કેટલુંક લશ્કર એકઠું કર્યું, અને તેની જ મદદથી તેણે કેટલાક રાજાઓને પણ જીતી લીધા. ભુવડે પણ વનરાજને પ્રબળ થતો જાણીને તેના પર હુમલો કર્યો નહીં; અને તેથી છેવટે સઘળો ગુજરાત દેશ વનરાજના કબજામાં આવ્યો. પછી તેણે પોતાના પ્રધાનને કહ્યું કે, હવે આપણે રાજધાની માટે નગર વસાવવું છે, માટે કોઈક ઉત્તમ જગ્યાની શોધ કરો; એટલામાં એક ગોવાળે આવીને તે વણિક પ્રધાનને કહ્યું કે, હું તમને નગર વસાવવા માટે એક ઉત્તમ ભૂમિ બતાવું. પછી વનરાજ, પ્રધાન અને તે ગોવાળ ત્યાંથી નીકળી વનમાં ગયા; તે વખતે ગોવાળની સાથે એક કૂતરો હતો, તે કૂતરાને જોઈ ત્યાં વનમાં ગયેલા એક સસાલએ તેના પર હુમલો કર્યો, અને તેથી તે કૂતરો ભય પામીને નાસી ગયો. એવી રીતનું આશ્ચર્ય જોઈ વનરાજે ત્યાં નગર વસાવવા માટે નિશ્ચય કર્યો. પછી ત્યાં શુભ દિવસે અને શુભ મુહૂર્તે વનરાજે નગર વસાવ્યું; તે નગરનો વિસ્તાર બાર ગાઉનો હતો. અણહિલ્લ નામના જે ગોવાળે રાજાને નગર વસાવવા માટે
ભૂમિ બતાવી હતી; તે ગોવાળના સ્મરણ માટે વનરાજે તે નગરનું : અણહિલ્લપુરપાટણ નામ રાખ્યું. એવી રીતે સુખ ભોગવતાં એક દહાડો વનરાજે વિચાર્યું કે, મારા પરમ ઉપકારી શીલાંગાચાર્યની આ સમયે મારે સંભાળ લેવી જોઈએ, એમ વિચારી તેણે ગુરુમહારાજને વિનય સહિત પોતાની પાસે બોલાવ્યા; તથા તેમને વંદન કરી કહ્યું કે, હે ભગવન્! આપના પસાયથી મને રાજય મળ્યું છે, માટે હવે આપ ફરમાવો કે હું જૈનધર્મ સંબંધી શું કાર્ય કરું ? તે સાંભળી શીલાંગાચાર્યે કહ્યું કે, હે રાજન્ ! જિનમંદિર બંધાવવાથી ઘણું પુણ્ય થાય છે. તે સાંભળી વનરાજે તે નગરમાં અત્યંત મનોહર શ્રી પંચાસરા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું. આજે પણ તે જિનમંદિર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org