________________
૨૫
જૈન ઈતિહાસ રાજાએ ગુસ્સે થઈને વરરુચિને દાન આપવું બંધ કર્યું. પછી તે વરચિએ ગંગા કિનારે જઈ એક યંત્ર ગોઠવ્યું; તેમાં રાત્રિએ હંમેશાં સોનામહોરોની એક થેલી ગોઠવી રાખે; તથા સવારમાં લોકોને આશ્ચર્ય પમાડવા માટે ગંગાની સ્તુતિ કરી, પગથી તે યંત્ર દબાવીને થેલી કાઢે, અને લોકોને કહે કે, મારી સ્તુતિથી ગંગાજી મને ખુશ થઈને સોનામહોરો આપે છે. એક દહાડો રાજાને તે બાબતની ખબર પડવાથી તેણે મંત્રીને તે વાત કહી; ત્યારે મંત્રીએ તપાસ કરીને તે વરચિની કપટક્રિયા શોધી કાઢી, અને પ્રભાતે રાજાને ખાતરી કરાવી આપી કે, આ વરચિ બ્રાહ્મણ એક મોટો ઠગ છે. હવે આ બનાવથી વરસચિને ઘણું દુઃખ થયું, તેથી તે શકટાલ મંત્રીને મારવાનો ઉપાય શોધવા લાગ્યો. એટલામાં મંત્રીના પુત્ર શ્રીયકના લગ્નનો પ્રસંગ આવ્યો, ત્યારે શકટાલ મંત્રીએ તે પ્રસંગે રાજાને ભેટ આપવા માટે કેટલાંક હથિયારો પોતાને ઘેર તૈયાર કરાવવા માંડ્યા; તેની વરસચિને ખબર પડવાથી લાગ આવ્યો જાણીને, તેણે શહેરના કેટલાક બાળકો, છોકરાઓને એકઠાં કરી, તેમને કંઈક ખાવાનું આપી એવું બોલવાનું શિખાવ્યું કે, રાજા જાણતો નથી કે, તેને મારીને શકટાલ મંત્રી શ્રીયકને ગાદીએ બેસાડવાનો છે, પછી તે બાળકો તો શેરીએ શેરીએ અને ચૌટે ચૌટે તે વાક્ય બોલવા લાગ્યા. એક દિવસે રાજાએ પણ તે સાંભળ્યાથી તેણે વિચાર્યું કે, બાળવાણી જૂઠી હોય
નહીં. એમ વિચારી તેણે પોતાના ગુપ્ત માણસો મારફતે મંત્રીના - ઘરની તપાસ કરાવી તો જણાયું કે, ત્યાં હથિયારો તૈયાર થાય છે.
પછી પ્રભાતમાં જયારે મંત્રી રાજસભામાં આવ્યો, ત્યારે રાજાએ તેની સલામ નહીં લેવાથી રાજાનો અભિપ્રાય મનમાં સમજીને તુરંત તે પોતાને ઘેર આવ્યો, તથા શ્રીયકને બોલાવી સઘળું વૃત્તાંત કહીને કહ્યું કે, હવે કુળના રક્ષણનો ફક્ત એક જ ઉપાય છે, અને તે એ છે કે, જેવો હું રાજાને નમસ્કાર કરું, કે તુરત તારે મારું મસ્તક છેદી નાખવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org