________________
વનમાલાને લક્ષ્મણે આપેલું વચન
લક્ષ્મણ પણ જવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે વનમાલાએ કહ્યું- “હે પ્રાણનાથ.....! આટલું દુઃખ ભોગવ્યા પછી આપ મુજ અભાગણીને મળ્યા છો. હવે હું આપનો વિરહ સહન કરી શકીશ નહિ. હું અનુગામિની બનવા માંગુ છું. આપ મારી સાથે લગ્ન કરી મને આપની સાથે લઈ જાઓ.'' લક્ષ્મણ બોલ્યા- ‘અત્યારે હું મારા ભાઈ-ભાભીની સેવામાં તત્પર છું. જો તું મારી સાથે રહીશ, તો ન હું મારા વડીલો પ્રત્યે સેવકધર્મ બજાવી શકીશ કે ન તો પતિધર્મ. એ રીતે તો મારા ભાઈભાભી તથા તારા પર એમ ત્રણેય પર અન્યાય થશે. તેથી તું અહીં જ રહે. જ્યારે મારા ભાઈ ઇષ્ટ સ્થાન પ્રાપ્ત કરશે, ત્યારે હું અવશ્ય તને લેવા માટે અહીંયા આવીશ. જો હું વચન ભંગ કરું, તો મને રાત્રિભોજનનું પાપ લાગે.’’ શાસ્ત્રોમાં રાત્રિભોજનને મહાપાપ તથા નરકનું દ્વાર કહેવામાં આવ્યું છે, તે આ પ્રસંગથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
Jain Education International
For Personal & Private Use
રામ, લક્ષ્મણ તથા સીતા ફરતાં ફરતાં વંશશલ્ય પર્વતની તળેટીમાં વસેલા વંશસ્થલ નગરમાં આવ્યા. ત્યાં રાજાથી લઈને સામાન્ય પ્રજા સુધીના બધા ભયભીત દેખાઈ રહ્યા હતા. રામે આ વિષયમાં એક પુરુષ સાથે ચર્ચા કરી, ત્યારે જાણવા મળ્યું કે છેલ્લી ત્રણ રાત્રિથી પર્વત પરથી ભયંકર અવાજો સંભળાઈ રહ્યા હતા. આથી ગભરાયેલા લોકો અન્ય સ્થાન પર રાત્રિ વ્યતીત કરીને સવારે પાછા આવી જતા હતા. રામ, લક્ષ્મણ, સીતાએ પર્વતારોહણ કર્યું. પર્વતના શિખર પર તેમને જયભૂષણ તથા કુલભૂષણ મુનિના દર્શન થયા. એ ત્રણેએ મુનિઓની સામે ગીત – નૃત્ય આદિ કરીને ભક્તિ કરી.