SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આથી મારી આપને નમ્ર વિનંતી છે કે આપ કોઈ પણ રીતે મારી દીક્ષા માટે મનાઈ ન કરો. હું તો આપની સાથે જ દીક્ષા લઈશ.” પિતાના વચન સાંભળતાં જ રામે આદરપૂર્વક કહ્યું- “મારી માતાશ્રી કેકેયીની ઈચ્છા પ્રમાણે મારા મહાપરાક્રમી નાના ભાઈ ભરતને આપે આપના રાજ્યનો વારસદાર બનાવ્યો છે, તે બધી રીતે વ્યાજબી છે. પણ આપ જે સમજો છો કે આથી મારા અધિકારનો ભંગ થાય છે, તે માન્યતા ખોટી છે. શું આપને મારા આચરણમાં ક્યારેય પણ અવિનય કે રાજ્ય માટેની લાલચ હોવાની જાણ થઈ છે કે જેના કારણે આપ મારા અધિકારનો ભંગ કર્યાની વાતથી વ્યાકુળ થયા છો? રાજ્ય લેવાની મને કોઈ લાલચ નથી કે મારો કોઈ અધિકાર પણ નથી. હું તો માત્ર આપના ચરણોના દાસનો પણ દાસ છું. કદાચ આપની ઇચ્છા થાય, તો આપ આપના કોઈ ચાકરને પણ રાજ્ય આપી શકો છો. મારું આ શરીર આપે જ આપેલું છે. બાળપણથી આજ સુધી આપે તેનું લાલન પાલન કર્યું છે. આપની પાસેથી જ મને સારા સંસ્કાર અને સારી વર્તણૂક મળી છે. મારા તન, મન અને ધન ઉપર આપનો પૂરેપૂરો અધિકાર છે. ભરત અને હું-અમે બંને એક જ છીએ. આપ આનંદપૂર્વક ભરતનો રાજ્યાભિષેક કરો, તેમાં મારી સંમતિની કશી આવશ્યકતા નથી.” દશરથે કહ્યું- “તું મારી અને તારી માતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે, તેમ નથી. તારી માતાને મેં વરદાન આપેલું હતું. શું તું એમ ઇચ્છે છે કે હું વચનભંગ કર્યાનું પાપ મારા માથે ચઢાવું ?” ભરતને સમજાવતાં રામે તેને કહ્યું- “હે લઘુબંધુ ! આપણા પિતાશ્રીએ પોતાના દેવામાંથી મુક્ત થવા માટે તને આ રાજ્ય આપ્યું છે, તેથી તું જરા પણ ગુન્હેગાર નથી. પિતાશ્રીના વચનનું પાલન કરવા માટે હર્ષપૂર્વક તું રાજ્યનો સ્વીકાર કરી લે.” ભરત આંસુભરી આંખે કહેવા લાગ્યા - “પિતાશ્રી ! ભ્રાતાશ્રી ! આપ બન્ને ઉદારતાપૂર્વક મને રાજ્ય સોપી રહ્યા છો, પણ હું રાજ્ય લેવાના આ કાર્યને લાલચું અને હલકું માનું છું. ભ્રાતાશ્રી ! પિતાશ્રીના વચન પાલન કરવા માટે આપ મારા જેવા હલકાને આપના બધા અધિકાર સોપી રહ્યા છો. તેથી આપ મહાત્યાગી અને મહાઉદાર છો. પણ શું હું દશરથનો પુત્ર અને આપનો લઘુ બંધુ નથી ? શું હું આપનો અધિકાર પડાવું? નહિ.... નહિ... મારો રાજ્યાભિષેક અસંભવિત છે.” ક્યાં આજકાલના પુત્રો ! શું તેઓ આવા વિચારો પણ ધરાવી શકે ખરા ? આજનો પુત્ર સૌથી પહેલાં પોતાના હક્ક-અધિકાર માટે બાપની સામે લડશે. જો બની શકશે, તો પોતાના પિતાની સંપત્તિ પડાવી લઈ પોતે જ તેનો માલિક બની જશે, જેથી ભવિષ્યમાં એવું કોઈ સંકટ આવી ન પડે ! આજના જમાનાના પુત્રોને બાપીકી મિલ્કત લઈ લેવા માટે પિતાને પણ કોર્ટ-કચેરી સુધી ઘસડી જવામાં કોઈ લાજ શરમ જેવું લાગતું નથી. આ અવસર્પિણીના પાંચમા આરામાં બીજું પણ શું ન બની શકે ? ત્યારે રામે દશરથને કહ્યું- “પિતાશ્રી ! મારા અહીં રાજ્યમાં રહેવાથી ભરત ક્યારેય પણ રાજ્યનો સ્વીકાર નહિ કરે. માટે આપ મને વનમાં જવાની આજ્ઞા ફરમાવો. આમ થશે, તોજ ભારત રાજ્યનો સ્વીકાર કરશે અને આપ દેવામાંથી મુક્ત થઈ સંયમ ગ્રહણ કરી શકશો.” જુઓ! રામની પિતૃભક્તિ તો જુઓ ! પોતાના પિતા માટે પોતે રાજસિંહાસન, રાજમહેલ અને રાજ્યની સુખ સાહેબીનો ક્ષણવારમાં ત્યાગ કર્યો. આમાં રામની ઉદારતા અને નિઃસ્વાર્થપણાનું કેવું સોહામણું દર્શન થાય છે. રામની રજૂઆત સાંભળીને દશરથ રાજા ઘણા પ્રસન્ન થયા. તેમણે ભરતને તાત્કાલિક રાજ્ય સ્વીકારી લેવાની આજ્ઞા કરી. પરંતુ ભરતના મનમાં વૈરાગ્ય જાગી ગયો હતો, તેથી તેણે કહ્યું,પિતાશ્રી ! મેં પહેલાં જ આપની સાથે દીક્ષા લેવાની રજા માંગી હતી. જૈનેતર રામાયણમાં તો કકેયીએ દશરથ પાસે બે વરદાન માંગ્યા હતાં. જેમાં એક ભરતને રાજગાદી અને બીજું રામને વનવાસ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy