________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ સડકો ઉપર અસ્થિકંકાલ જ્યાં ત્યાં પડેલાં હતાં ત્યાં બીજી બાજુ અનેક સંસ્થાનોમાં યજ્ઞ અને પ્રતિષ્ઠાના ઉત્સવો થતા દેખાતા હતા જે ઉત્સવોમાં લાખોનો વ્યય ઘી, હવિ અને દાનદક્ષિણામાં થતો હતો – જાણે હવે માનવસમાજ ખાનપાન, વસ્ત્રનિવાસ, આદિથી પૂર્ણ સુખી હોય અને બચેલી જીવનસામગ્રી આ લોકમાં જરૂરી ન હોવાથી જ પરલોક માટે ખર્ચાઈ રહી હોય !
પાછલા એક વર્ષથી તો અમે આપણી સંસ્કૃતિ અને ધર્મનું આથી પણ વધુ સારું રૂપ જોઈ રહ્યા છીએ. લાખો શરણાર્થીઓને નિઃસીમ કષ્ટ પડી રહ્યું હોવા છતાં આપણી સંગ્રહ અને પરિગ્રહની વૃત્તિ જરા ઓછી થઈ નથી. એવો કોઈ વિરલ જ વેપારી મળશે જે ધર્મનો ઢોંગ કર્યા વિના કાળાબજાર ન કરતો હોય અને લાંચની એકમાત્ર સંસ્કૃતિને ધર્મના રૂપમાં અપનાવી ન હોય. જ્યાં લગભગ પૂરી જનતા દિલથી સામાજિક નિયમો અને સરકારી કાયદાનું પાલન ન કરતી હોય ત્યાં જો સંસ્કૃતિ અને ધર્મ છે એમ મનાય તો પછી કહેવું પડે કે એવી સંસ્કૃતિ અને એવો ધર્મ તો ચોરડાકુઓમાં પણ સંભવે છે.
આપણે હજારો વર્ષોથી જોતા આવ્યા છીએ અને આ સમયમાં તો બહુ જ મોટા પ્રમાણમાં આપણે દેખીએ છીએ કે આપણા જાણતાં દેખતાં જ આપણી માતાઓ, બેનો અને પુત્રીઓ અપહત થઈ. એ પણ આપણે જાણીએ છીએ કે આપણા પુરુષોના અબલત્વના કારણે જ આપણી સ્ત્રીઓ વિશેષ અબલા અને અનાથ બનીને અપહૃત થઈ જેમનું રક્ષણ અને સ્વામિત્વ કરવાનું આપણું સ્મૃતિસિદ્ધ કર્તવ્ય મનાય છે. તેમ છતાં આપણે એટલા અધિક સંસ્કૃત, એટલા અધિક ધાર્મિક અને એટલા અધિક ઉન્નત છીએ કે આપણી પોતાની નિર્બળતાના કારણે અપહૃત થયેલી સ્ત્રીઓ જો પાછી આપણા સમાજમાં આવવા ઇચ્છે તો આપણામાંથી ઘણા બધા ઉચ્ચતાભિમાની પંડિતો, બ્રાહ્મણો અને તેમના જેવી મનોવૃત્તિવાળા કહી દે છે કે હવે તેમનું સ્થાન અમારે ત્યાં કેવું? જો કોઈ સાહસિક વ્યક્તિ અપહૃત સ્ત્રીને અપનાવી લે છે તો સ્ત્રીની દુર્દશા યા અવગણના કરવામાં આપણી બહેનો જ અધિક રસ લે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org