________________
અનુવાદકની પ્રસ્તાવના
૨૧ નિવૃત્તિ કાયમ રહે અને પ્રવૃત્તિને સંપૂર્ણ અવકાશ મળે. એ જ પ્રવૃત્તિનિવૃત્તિનો ગીતાપ્રતિપાદિત સુભગ સમન્વય અનાસક્ત કર્મયોગ તરીકે જાણીતો છે. એ કર્મયોગે બહુ મોટા માણસો નિપજાવ્યા છે અને આજે પણ એની અસર ચોમેર વધતી દેખાય છે.
બૌદ્ધ ઉપદેશમાં જે પ્રવૃત્તિધર્મનાં પોષક બીજો હતાં તેને ક્રાંતિકારી વિચારકોએ એવાં વિકસાવ્યાં તેમ જ એ રીતે અમલમાં મૂક્યાં કે તેને લીધે નિવૃત્તિના હિમાયતી હીનમાર્ગીઓ બહુ પાછા પડી ગયા. એ જ રીતે પરિવ્રાજક ધર્મના સૂત્રને અવલંબી જે અનાસક્ત કર્મયોગ વિકસ્યો તેને લીધે નૈષ્કર્મસિદ્ધિનો નિવૃત્તિલક્ષી શંકરાચાર્યપ્રતિપાદિત માર્ગ પાછળ પડી ગયો અને શંકરાચાર્યના જ તત્ત્વજ્ઞાન ઉપર અનાસક્ત કર્મયોગની સ્થાપના થઈ. આ રીતે બૌદ્ધ અને પરિવ્રાજક બન્ને નિવૃત્તિપરંપરાએ પ્રવૃત્તિને પુષ્કળ અવકાશ આપ્યો અને માનવીય સમગ્ર શક્તિઓને નવું નવું સર્જન કરવાની પૂરી તક આપી, જેના પરિણામો સાહિત્ય, કલા, રાજકારણ આદિ વિવિધ ક્ષેત્રે જાણીતાં છે.
જૈનપરંપરાનું મૂળગત નિવૃત્તિલક્ષી દૃષ્ટિબિંદુ બદલાયું નહીં. કાળબળ અને બીજાં બળો જુદી અસર ઉપજાવવા મથ્યાં પણ એમાં નિવૃત્તિલક્ષી ધર્મ એટલો બધો દઢમૂળ અને એકાંગી રહ્યો છે કે છેવટે તે પરિવર્તનકારી બળો ફાવ્યાં નથી અને ફાવ્યાં હોય તો બહુ જૂજ પ્રમાણમાં અને તે પણ કાયમી નહીં જ. આ જ વસ્તુસ્થિતિ આપણે ઇતિહાસ ઉપરથી જાણી શકીએ છીએ. રાજકારણમાં તિલકને અનોખું સ્થાન અપાવનાર એ તેમનો અવિચળ કર્મયોગ જ છે. ગાંધીજીનું જીવનનાં સમગ્ર પાસાંઓને સ્પર્શતું અદ્ભુત વ્યક્તિત્વ એ તેમના અનાસક્ત કર્મયોગને જ આભારી છે. શ્રી વિનોબા વેદાંત અને શાંકર તત્ત્વજ્ઞાનના એકનિષ્ઠ અભ્યાસી છતાં જે લોકવ્યાપી વિચાર અને કાર્યની ક્રાંતિ કરી રહ્યા છે તેની પૃષ્ઠભૂમિકા કે તેનું પ્રેરક બળ એ તેમના ગીતાપ્રતિપાદિત અનાસક્ત કર્મયોગમાં રહેલું છે. શાન્તરક્ષિત જેવા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય એસી વર્ષની ઉંમરે તિબેટ જેવા અતિ ઠંડા અને દુર્ગમ પ્રદેશમાં જઈ એકસો દસ વર્ષની ઉંમર લગી સતત કામ કરતા રહ્યા, એ મહાયાનની ભાવનાનો સબળ પુરાવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org