________________
દેવ અધિકાર
૫૭
દીક્ષા લીધી. સમય જતાં બંને ગીતાર્થ થયા. પછી કઠોર અભિગ્રહો લઇને, નિરતિચાર ચારિત્ર પાળીને, કેવળજ્ઞાન મેળવીને, કર્મોને ખપાવીને, મોક્ષમાં ગયા.
આ પ્રમાણે પોપટયુગલનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
હવે ગંધ વગેરેના વિષયમાં વિમલ વગેરેનું ઉદાહરણ કહેવામાં આવે છે— આઠ બંધુઓનું દૃષ્ટાંત
જંબુદ્રીપમાં મહાવિદેહક્ષેત્રમાં પુંડરિગિણી નગરીનો વરસેન ચક્રવર્તી સ્વામી છે. તે ક્યારેક પોતાની સઘળી અતિશય ઘણી સમૃદ્ધિથી દેવોએ રચેલા સમવસરણમાં તીર્થંકરને વંદન કરવા માટે ગયો. તીર્થંકરને ભક્તિથી નમીને યોગ્ય સ્થાનમાં બેસીને ધર્મ સાંભળે છે. પછી સહસા સમવસરણમાં પ્રવેશતા અને ત્રણભુવનને પણ વિસ્મય પમાડતા આઠ દેવોને જુએ છે. એ દેવો સાતમા દેવલોકથી આવ્યા હતા. પોતાના શરીરોથી દિશાસમૂહને અતિશય પ્રકાશિત કરતા હતા. તથા અતિશય સુગંધથી યુક્ત અને મનનું હરણ કરનાર ગંધથી સંપૂર્ણ સમવસરણને વાસિત કરતા હતા. ત્યાં આભૂષણો, વિલેપન અને માળા વગેરે વિવિધ સ્વરૂપોથી સમવસરણમાં રહેલા સઘળા ય દેવસમુદાયનો પરાભવ કરતા હતા. મન-નેત્રોને આનંદ કરનારા હતા. તે આઠ દેવોએ જિનને ત્રણ પ્રદક્ષિણા કરીને અને નમીને કહ્યું હે નાથ ! આપ (જ્ઞાનથી) સ્વયમેવ દેવોની ઋદ્ધિને જુઓ છો. આ ગણધર વગેરે સાધુઓ આગમથી દેવોની ઋદ્ધિને જાણે છે. તેથી આપની અનુજ્ઞાથી મુનિવરોને પ્રત્યક્ષ જ દિવ્યનાટક વિધિને અમે બતાવીએ. જિન મૌન ધારણ કરે છે. જેનો પ્રતિષેધ ન કર્યો હોય તે સંમત છે એમ વિચારીને તેમણે અતિ વિસ્તારથી નાટકો બતાવ્યા. પછી બધાએ જિનને પૂછ્યું: હે નાથ ! અમે ભવ્ય છીએ કે અભવ્ય છીએ ? જિને કહ્યું: તમે ભવ્ય છો. વળી તેમણે પૂછ્યું: હે સ્વામિનૢ ! અમે ક્યાં અને ક્યારે સિદ્ધ થઇશું. પછી તીર્થંકરે કહ્યું: હે દેવાનુપ્રિયો ! અહીંથી ચ્યવ્યા પછી આ જ વિજયમાં ઉત્તમ મનુષ્યો થઇને દીક્ષા લઇને તમે સિદ્ધ થશો. આ પ્રમાણે સાંભળીને અને હર્ષથી જિનને નમીને તે બધા ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org