________________
૨૬
હિતશિક્ષા
[૨૯]. રમત કરતાં રસ ન કરવી – જો રિસાળ સ્વભાવ હોય તો કોઈની પણ સાથે રમત-ગમત કે હાસ્ય કરવું નહિ અને જો રમતગમત ને હાસ્ય ગમતાં હોય તો રીસ છોડી દેવી. રમત કરવી ને રીસ કરવી એ તો ખાતા જવું ને ભસવું બરાબર છે. રમતથી મનનો ભાર હળવો થાય છે. એટલે રમતમાં જોડાયેલા જનો કેટલીક વખત પ્રસંગને વધુ પડતો રમૂજી બનાવવા માટે વિવેકની રેખા-મર્યાદા ચૂકી જતા હોય છે, પણ તે તેટલા પ્રસંગ પૂરતું સંતવ્ય ગણાય છે. જેનું મન એ વાત સંતવ્ય ન ગણી શકતું હોય તેણે પ્રથમથી જ તેનું માપ કાઢીને રમતમાં જોડાવું જોઈએ, પણ જોડાયા પછી વિનોદને વિષમ કરીને પોતાના વિચિત્ર સ્વભાવનું પ્રદર્શન કરવું ઉચિત નથી. તેથી પોતાના સ્વભાવની ખરાબ છાપ પડે છે. પછીથી ભારેખમ સ્વભાવને કારણે એકલવાયા પડી જવાય છે અને તેમાંથી અનેક પ્રકારની હાનિઓ જન્મે છે.
ભયવાળે રસ્તે જવું નહિ – જે માર્ગે જવું હોય તેમાં ભય આવતા હોય ને તે ભયનો સામનો કરવાનું સામર્થ્ય ન હોય તો તે રસ્તે જ ન જવું. એ રસ્તે જવાથી જવાનું કાર્ય સરતું નથી ને નવી વિપત્તિમાં સપડાવું પડે છે. વ્યવહારમાં આ શિખામણનો ઉપયોગ કરવાનો પ્રસંગ ઘણી વખત પ્રાપ્ત થાય છે. ને આ શિક્ષાની ઉપરવટ થઈને ભયગ્રસ્ત માર્ગે જનારાના અંજામ કેવા કરુણ આવતા હોય છે એ પણ પ્રસિદ્ધ છે. આંતરિક ભયો વિષે પણ આ શિખામણ ધ્યાનમાં લેવા જેવી છે. મોક્ષમાર્ગમાં આગળ વધતા આત્માએ પણ કેટલાક ભયોનો વિચાર કરીને તે ન નડે એ રીતે ગતિ-પ્રગતિ કરવી, નહિ તો ભયો તેને આગળ જવા ન દે.
ભવ-અરણ્યને પાર કરીને જો મોક્ષનગરમાં જવાની ઈચ્છા હોય તો વિષય-વિષવૃક્ષ નીચે ક્ષણવાર પણ વિસામો લેતો નહિ, કારણ કે તે વૃક્ષોની છાયા પણ જીવને એવી મૂંઝવણ ઊભી કરે છે કે પછીથી તે મુક્તિમાર્ગમાં એક ડગલું પણ આગળ વધી શકતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org