________________
હિતશિક્ષા
[૧૭]. સુપાત્રે દાન દેવું- દાન દેવું એ ગૃહસ્થાશ્રમનું ભૂષણ છે તેમાં સુપાત્રનો યોગ મળવો મહા મુશ્કેલ છે. ગૃહસ્થ જો પોતાના ગૃહને સ્વર્ગ બનાવવા ઇચ્છતો હોય તો તેણે પોતાના ઘરમાં પ્રતિદિન સુપાત્રે દાન દેવાય એ પ્રમાણે કામના કરવી જોઈએ. જે ગૃહસ્થના ઘરમાં સુપાત્રનાં પગલાં નથી થતાં તે ઘર એ ઘર નથી. સુપાત્રે દાન દેવાના સંસ્કારની પુરુષ કરતાં સ્ત્રીમાં વિશેષ અગત્ય છે. પુરુષ કરતાં સુપાત્રે દાન દેવાનો પ્રસંગ સ્ત્રીને વિશેષ રહે છે. જો દાનના સંસ્કાર ન હોય તો તે ઘરમાં સુપાત્રનાં પગલાં દુર્લભ થઈ પડે છે. જે સ્ત્રીનો હાથ દાન દેતાં ધ્રૂજતો હોય, રાંધતી વખતે જેટલાં ખાનારાં હોય તેની ગણતરીપૂર્વક માપી માપીને-તોળી તોળીને રંધાતું હોય, તે સ્ત્રી જીવનના કોઈ પણ પ્રસંગમાં આગળ આવી શકતી નથી. સુપાત્રે દાન દેવાનું તો દૂર રહ્યાં પણ ઉપર વર્ણવ્યું એવી સ્ત્રી પોતાના સગા જણ્યા છોકરાને પણ વધારે ખાતો હોય તો ટોક્યા વગર રહી શકતી નથી. એટલા માટે જ મિત પચત્વ અને ઉદર ભરિત્વ' એટલે માપસરનું રાંધવું અને પેટમાત્ર ભરવું એ ગૃહસ્થાશ્રમનાં મોટાં દૂષણ કહ્યાં છે. આવી સ્ત્રીઓ જીવતી નથી પણ લુહારની ધમણની માફક કેવળ શ્વાસોચ્છવાસ જ લે છે. જે સ્ત્રીમાં સુપાત્રે દાન દેવાની તીવ્ર ભાવના હોય છે તે સ્ત્રી સર્વત્ર પ્રિય થઈ પડે છે. દાનના એ સંસ્કારથી જીવનમાં ઉદારતા આવે છે અને ઉદારતા એ બીજાનું હૃદય જીતવાની અજોડ વિદ્યા છે.
મહારાજા શ્રેણિકને ત્યાં કપિલા નામે દાસી હતી. બીજી બધી વાતે તે કુશળ હતી, ફક્ત ધર્મ સાથે – તેમાં પણ દાનધર્મ સાથે તેને પૂરું વેર હતું. સુપાત્રમાં તો તે કોઈ પણ સંયોગોમાં દાન ન આપે. પ્રભુ શ્રી મહાવીરસ્વામીએ શ્રેણિકરાજાને કહ્યું કે જો તારી દાસી કપિલા સાધુને વહોરાવે - દાન દે તો તારે નરકમાં ન જવું પડે.” આ આશ્વાસન - વચનને અમલમાં મૂકવા માટે રાજાએ કપિલાને વહોરાવવાની સાધુના પાત્રમાં દાન દેવાની ફરજ પાડી. ફરજ અદા કરવા માટે એ દાસીએ સાધુના પાત્રમાં દાન તો આખું પણ આપતાં એ બોલી કે હું આ આપતી નથી, પણ આ તો શ્રેણિકનો ચાટવો આપે છે.” કેટલીક સ્ત્રીઓની કૃપણતા આટલી હદ સુધી પહોંચેલી હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org