SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રની વ્યાખ્યા અને સ્વરૂપ - ગાથા-૧૪ ૫૭. વિશેષાર્થ : “મા” જ મારું રક્ષણ કરનાર છે અને “મા” જ મને સુખ આપનાર છે; તેમ માનતું બાળક જેમ કોઈપણ પ્રવૃત્તિ કરતાં પૂર્વે “માના મુખ સામે જુએ છે, “મા”ને ગમે તેવું જ વર્તન કરે છે, “મા” ને ન ગમે ત્યાંથી પાછું વળે છે. તે જ રીતે સંક્લેશ ભર્યા સંસારમાં ‘વીતરાગના વચનરૂપ આ શાસ્ત્ર જ મારું રક્ષણ કરનાર છે અને મને સાચું સુખ આપનાર છે તેમ માનતો સાધક કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં શાસ્ત્રવચનનું સ્મરણ કરે છે. શાસ્ત્રમાં આ પ્રવૃત્તિ કઈ રીતે કરવાની કહી છે તે જાણે છે અને જાણ્યા પછી તે રીતે જ પ્રવૃત્તિ કરવા યત્ન કરે છે. આ રીતે શાસ્ત્રના અનુસંધાનપૂર્વક શ્રેષ્ઠ સાધકો જે ઉચિત પ્રવૃત્તિ કરે છે તેને ગ્રંથકારશ્રી શાસ્ત્રપુરસ્કરણની1 ક્રિયા તરીકે ઓળખાવે છે. શાસ્ત્રપુરસ્કરણની આ સ્થિતિનો ઉલ્લેખ વચનાનુષ્ઠાન કે શાસ્ત્રયોગરૂપે પણ કરાયો છે. માતાના વચનને યાદ કરીને પ્રવૃત્તિ કરનાર પુત્રને એવું સ્મરણ રહે જ છે કે, “મારી માતાએ આ પ્રવૃત્તિ આ રીતે કરવાની કહી છે. તેથી પ્રવૃત્તિ કરતાં સ્વાભાવિક રીતે જ તેને માતાની સ્મૃતિ રહે છે. તે જ રીતે સાધક જ્યારે શાસ્ત્રના અનુસંધાનપૂર્વક પ્રવૃત્તિ કરતો હોય છે, ત્યારે વીતરાગનું વચન જ શાસ્ત્ર હોવાને કારણે તેને સહજ રીતે જ વીતરાગની સ્મૃતિ રહે છે. આમ શાસ્ત્ર પ્રત્યે આદર તે જ વીતરાગ પ્રત્યેનો આદર છે. અપેક્ષાએ કહીએ તો શાસ્ત્રને આગળ કરવા તે જ વીતરાગને આગળ કરવા તુલ્ય છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું કે, શાસ્ત્રના અનુસંધાનપૂર્વક કરાતી સર્વ પ્રવૃત્તિઓ વચનાનુષ્ઠાનની કે શાસ્ત્રયોગની કક્ષામાં આવે તેવું નથી. પ્રારંભિક કક્ષામાં સાધક પોતાના શુદ્ધ સ્વરૂપને પામવા માટે ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરવા માટે યત્ન કરતો હોય, છતાં પણ અભ્યાસ દશામાં તે કદાચ સર્વાશે વચનાનુસાર પ્રવૃત્તિ કરી શકતો નથી. તેની આવી ક્રિયાને શાસ્ત્રકારો પ્રીતિઅનુષ્ઠાન કે ભક્તિઅનુષ્ઠાન અથવા ઇચ્છાયોગનું અનુષ્ઠાન કહે છે. સતત અભ્યાસ કરતાં કરતાં જેમ જેમ સાધકની શક્તિ અને ક્ષયોપશમ વધતાં જાય છે, તેમ તેમ તેનો શાસ્ત્રાનુસાર પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન સફળ થતો જાય છે. જેના પરિણામે તે સાધક વીતરાગ ભગવાને જે રીતે અનુષ્ઠાન કરવા કહ્યું હોય, બરાબર તે જ રીતે અનુષ્ઠાન કરી શકે છે. પરિપૂર્ણ રીતે ભગવાનની આજ્ઞા અનુસાર થતાં આ અનુષ્ઠાનને વચન-અનુષ્ઠાન કે શાસ્ત્રયોગનું અનુષ્ઠાન કહેવાય છે. 1. શાસ્તે પુરસ્કૃતે = શાસ્ત્રપુરસ્કૃત કરવું એટલે સમ્યક પ્રકારના શાસ્ત્રજ્ઞાનપૂર્વક જ પોતાના મન-વચન-કાયાને પ્રવર્તાવવા. આવું શાસ્ત્રપુરસ્કરણ મુખ્યપણે વચન-અનુષ્ઠાનકાળમાં આવે છે અને પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાનમાં ગૌણપણે હોઈ શકે છે. 2. પતિઅનુષ્ઠાન : જે ધર્માનુષ્ઠાન પ્રત્યે હિતના ઉદયવાળી પરમ પ્રીતિ હોય, એટલે કે આ અનુષ્ઠાનથી જ મારું હિત થશે તેવી દઢ શ્રદ્ધા હોય, યથાશક્તિ કરાતાં અનુષ્ઠાનના કાળમાં અન્ય સર્વ કાર્યનો ત્યાગ કરાયો હોય તેને પ્રીતિઅનુષ્ઠાન કહેવાય છે. 3. ભક્તિઅનુષ્ઠાન : જે અનુષ્ઠાનમાં પ્રીતિઅનુષ્ઠાન કરતાં ક્ષયોપશમ અને શક્તિનો ઉત્કર્ષ હોય અને તેથી જ અનુષ્ઠાનગત ગુણોના વિશેષ જ્ઞાનથી જેમાં વિશેષ પ્રકારે ભક્તિ થતી હોય તેને ભક્તિઅનુષ્ઠાન કહેવાય છે. 4. ઇચ્છાયોગ : ધર્મ કરવાની તીવ્ર ઇચ્છા હોય, ક્રિયા સંબંધી શાસ્ત્રજ્ઞાન પણ હોય, છતાં પ્રમાદાદિ દોષના કારણે જે ધર્મક્રિયા સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત રીતે ન થાય તેવી અંગોની વિકલતાવાળી ધર્મક્રિયાને ઇચ્છાયોગની ક્રિયા કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy