SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર દુઃખની સંવેદનાઓ કરી શકે છે'; આવી વાસ્તવિકતાને સંસારના મોટા ભાગના જીવો હૈયાથી સ્વીકારી શકતા નથી. પરિણામે તેઓ આત્માને શુદ્ધ કરવાની વાસ્તવિક સાધના પણ કરી શકતા નથી. વળી, નિશ્ચયનયના આધારે આત્માને જોતી વ્યક્તિ એમ માને છે કે, ‘આત્મા પોતાનાથી પર એવા કર્માદિનો કર્તા નથી, હર્તા નથી કે ભોક્તા પણ નથી; તે તો માત્ર પોતાના જ્ઞાનાદિ ગુણો દ્વારા શ૨ી૨-કર્માદિ પુદ્ગલોના તે તે ભાવોનો દૃષ્ટા છે.' નિશ્ચયનયની આવી એકાન્ત વિચારસરણી અપનાવવાના કારણે ગાઢ મિથ્યાત્વના ઉદયવાળા જીવોને એવો ભ્રમ થાય છે કે, ‘હું કર્મનો કર્તા-હર્તા નથી, તો મારે કર્મનાશ માટે તપત્યાગ આદિ ખોટું કષ્ટ સહન કરવાની શું જરૂર છે ?' આ ભ્રમ પણ એક પ્રકારની ‘નયકૃત ભ્રાન્તિ’ છે. ૩૪ આવી રીતે એક-એક નયનું આલંબન લઈને આ જગતમાં અનેક પ્રકારના ભ્રમો પ્રવર્તે છે. કેટલાક જ્ઞાનથી જ મોક્ષ મળે એવું માને છે તો કેટલાક ક્રિયાથી જ મોક્ષ મળે તેમ માને છે. કેટલાક ઉત્સર્ગ માર્ગે ચાલવાથી મોક્ષ મળે એમ માને છે તો કેટલાક વળી અપવાદ માર્ગે ચાલવાથી મોક્ષ મળે તેમ માને છે. આ સર્વ વાતો નય સાપેક્ષ છે, તેથી તેને જો બીજા નય સાથે જોડવામાં ન આવે તો ‘આ વસ્તુ આમ જ છે.’ એવી ભ્રાન્તિ પ્રગટ થાય છે. વાસ્તવમાં આમાંની કોઈપણ વાત એકાન્તે સત્ય હોતી નથી. નિશ્ચયનયથી આત્મા કર્મનો કર્તા નથી, તો વળી વ્યવહારનયથી આત્મા કર્મનો કર્તા પણ છે. કર્મના કારણે જ જીવને અનેક પ્રકારનાં સુખ-દુઃખ ભોગવવાં પડે છે અને કર્મનો નાશ કરવા જ્ઞાની પુરુષોએ બતાવેલી સાધના પણ કરવી પડે છે. વિરોધી વિચારસરણી ધરાવતા આ અને આવા બીજા નયોનું જો સાપેક્ષ બુદ્ધિથી યથાયોગ્ય જોડાણ ન થાય તો આત્માવિષયક કોઈક ને કોઈક ગેરસમજ પેદા થાય અને આત્માના સ્વરૂપનો યથાર્થ બોધ ન થવાના કારણે તેને સુખી કરવાના ઉપાયો પણ અપનાવી ન શકાય. એક જ દૃષ્ટિથી વિચા૨વાનાને કા૨ણે જેમ આત્માદિવિષયક ભ્રાન્તિ ઉત્પન્ન થાય છે, તેમ સુખ ક્યાંથી મળશે એ વિષયમાં પણ અનાદિકાળથી જીવમાં મોટી ભ્રમણા પ્રવર્તતી હોય છે, તેથી જ તેને જે પદાર્થ આત્મા માટે સુખકારક ન હોય તે પદાર્થ સુખકર લાગે છે. વળી ‘શરીરાદિ એ જ હું' આવા ભ્રમના કારણે તે શરીરાદિની સાનુકૂળતામાં સુખ અનુભવે છે અને આવા ભ્રામક સુખની શોધમાં જીંદગીભર બાહ્ય પદાર્થો, વ્યક્તિઓ કે વાતાવરણને મેળવવા ભટક્યા કરે છે. એકાન્ત દૃષ્ટિથી વિચારવાના કારણે ઉત્પન્ન થયેલા આવા ભ્રમો જ્યાં સુધી અકબંધ હોય ત્યાં સુધી જીવને આત્મિક સુખ દેખાતું જ નથી, તેથી ત્યાં સુધી તેનામાં અધ્યાત્મ પામવાની કોઈ લાયકાત જ ખીલતી નથી. ચ૨માવર્તમાં આવ્યા પછી જ્યારે મોહની પક્કડ કાંઈક નબળી પડે ત્યારે જીવ તાત્ત્વિક વિચારણાઓ કરવા સમર્થ બને છે. આવી વિચારણાઓને કારણે તેનો પોતાની જાત પ્રત્યેનો, બાહ્ય પદાર્થો પ્રત્યેનો તથા સુખ અને તેની સામગ્રીઓ પ્રત્યેનો અભિગમ બદલાય છે. ‘હું કોણ છું ? મને સુખ ક્યાંથી મળશે ?’ વગેરે ગહન પ્રશ્નો સંબંધી તેની ગેરસમજ કે અણસમજ ધીમે ધીમે નાશ થવા લાગે છે. ગ્રંથકા૨શ્રી કહે છે કે આવો સાધક જ અધ્યાત્મનું ભાજન બની શકે. એટલું ધ્યાનમાં રાખવું કે, કદાચ કોઈ સાધક એક નયની કે એક દર્શનની માન્યતાથી વાસિત હોય; પરંતુ જો તે પ્રજ્ઞાપનીય હોય એટલે કે કોઈ સત્ય સમજાવે તો સત્ય સમજવાની તૈયા૨ીવાળો હોય, કદાગ્રહી ન હોય તો તેની પણ નયકૃત ભ્રાન્તિ ટળી શકે છે અને તે પણ અધ્યાત્મનો અધિકારી બની શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy