SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ તે કાર્યને અનુરૂપ હોય તે પ્રકારના ગુપ્તચરને કાર્યની ચોક્કસ સોંપણી કરીને સમયબદ્ધ આજ્ઞા સાથે મોકલે છે. આ માટે, મોટે ભાગે, આખા જનપદની માનવવસ્તીઓમાં જ રહેનારા અને આ કાર્ય કરવાની વૃત્તિ ને શક્તિ ધરાવતા લોકોને પોતપોતાના વ્યવસાય સામાન્ય સમયમાં ચાલુ રાખીને, જરૂર મુજબ તંત્ર દ્વારા કહેણ આવ્યું તે-તે વેશમાં ગુપ્તચરકર્મની સોંપણી થતી હશે. આવા હંગામી (temporary) કે ખંડસમયના કાર્યકરોની જ મોટી સંખ્યા રહેતી હશે. આવી વ્યવસ્થાથી કાર્યકરોનું માનવ-જીવન અને સમધારણ (normal) વ્યક્તિત્વ અકબંધ રહેતું હશે, અને ગુપ્તચર્યા છતાં ખોટી ખણખોદવૃત્તિ એમના વ્યક્તિગત કે પારિવારિક જીવનમાં મગજ પર ચઢી જતી નહિ હોય. “સંસ્થા દ્વારા નિમાયેલા અને તેને તે સ્થળે તપાસ માટે સંચરતા (ફરતા) ગુપ્તચરો ‘સંચાર-શાખાનો ભાગ બની રહે છે. સંચાર'-શાખાની એક વિશેષતા એ હોય છે કે તેમાં ગુપ્ત જાણકારી મેળવવા ઉપરાંત જાણકારીના અનુસંધાનમાં જયાં અનિવાર્યતા કે તાકીદ જણાય ત્યાં કેટલાંક પગલાં – વધ, વંચના (મૂર્ખ બનાવવા તે) ઇત્યાદિ– પણ ગુપ્તપણે લેવાનાં હોય છે. એટલે તેવી બેવડી સજ્જતાવાળા ગુપ્તચરો પણ “સંચાર'શાખામાં ભરતી કરાય છે; જયારે કેટલાક માત્ર ગુપ્ત બાતમી લાવનારા હોય છે. વળી આ કાર્યકરોમાં જુદી-જુદી અનુકૂળતાઓ મુજબ સ્ત્રીઓનો પણ કાર્યકર તરીકે સમાવેશ થાય છે - મુખ્યત્વે સંન્યાસ કે ભિક્ષાચર્યા ગ્રહણ કરનાર સ્ત્રીઓનો; તે ઉપરાંત વિધવા, અનાથ, વેશ્યા વગેરે પ્રકારની ચાલુ ગૃહસ્થજીવનથી વંચિત કે ચાતરી ગયેલી જરૂરિયાતમંદ સ્ત્રીઓ પણ ખરી. આનાથી સધાતું અસહાયોનું કે પતિતોનું પુનરુત્થાન પણ દાદ માગે છે ! આ પ્રકારો તરફ વિશિષ્ટ નજર નાખીએ. આ નિદર્શન પણ નમૂનારૂપ અને પ્રાધાન્ય-આધારિત જ લાગે છે; અર્થાત્ તેમાં અન્ય અનેક પ્રકારો (વશો) સંભવે છે અને દેશ-કાળાનુસાર તે પ્રચલિત પણ બન્યા હશે. કૌટિલ્ય રાજયના ચાવીરૂપ હોદા ધરાવતા – “મહાભારત'માં જેમને અઢાર ‘તીર્થ ગણાવ્યા છે તે – અધિકારીઓ પર ગુપ્તચરો દ્વારા, તેમની બહારની ચર્ચા (હિલચાલ) વખતે અને તેમના નિવાસમાંની તેમની ચર્ચા વખતે, અવારનવાર તેમનાં સારાં-ખોટાં વર્તનો (વાણી, ક્રિયા વગેરે) બાબત ગુપ્તપણે તપાસ કરવાની વાતને જ, રાષ્ટ્રહિતની દષ્ટિએ તેનું ખૂબ જ વધારે મહત્ત્વ સમજીને, આ અધ્યાય ક્ર. ૧.૧૨માં કેન્દ્રમાં રાખી છે. “સંચાર' પ્રકારના ગુપ્તચરોની કામગીરીનું સ્વરૂપ નિર્દેશવા લાક્ષણિક (લક્ષણ બતાવતા) નમૂના રૂપે જ આ રજૂઆત થઈ છે. બાકી આ શાખાના ગુપ્તચરોની કામગીરીનું ક્ષેત્ર તો ખૂબ વિશાળ છે – અન્ય ઉચ્ચ, મધ્યમ, નિમ્ન (નીચી પાયરીના) રાજસેવકો કે અધિકારીઓ, વિવિધ વ્યાવસાયિકો, આમપ્રજામાંનાં રાષ્ટ્ર પ્રત્યે વફાદારબિનવફાદાર તત્ત્વો અને અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે પરરાષ્ટ્રમાંના, આપણા રાજયમાં ગુપ્તપણે ગોઠવાયેલા કે તે-તે રાષ્ટ્રમાં પ્રવૃત્ત વ્યક્તિવિશેષો વગેરે. કૌટિલ્ય આમાં બતાવેલા “સંચાર'-શાખાના ચાર પ્રકારો પૈકી બે માત્ર જાણકારી મેળવનારા કે અન્ય મેળવેલી જાણકારી યોગ્ય સ્થાને ગુપ્તપણે પહોંચાડનાર છે અને બે જરૂર પડ્યે ગુપ્ત પગલાં પણ ભરી જાણનાર છે. આમાંના પ્રથમ વર્ગમાં સ્થાન પામનાર એક સમુદાય પુરુષોનો છે, અન્ય સમુદાય સ્ત્રીઓનો; જ્યારે, સ્વાભાવિકપણે, બીજો વર્ગ પુરુષોનો જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy