SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલીય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ઉપરાંત શિકાર કરેલાં વિવિધ પ્રાણીઓના માંસ પર જીવતો હતો. એ હતો અરણ્યયુગ. કોઈ ચોક્કસ તબક્કે મનુષ્ય ખેતીની શોધ કરી. તે સાથે આવાસ-નિર્માણ, અગ્નિ પેટાવવાની કળા, માટી-પાત્રોનું નિર્માણ, સ્ત્રીપુરુષના સુસ્થિર-રસાળ સંબંધ પર આધારિત સામાજિક સહજીવનની સૂઝ સાથે ગ્રામ-નિર્માણ ઇત્યાદિરૂપે કૃષિસંસ્કૃતિ સ્થિર થઈ. જૈન-જૈનેતર ઉભય સાહિત્ય જેમની ઐતિહાસિકતા ચીંધે છે, તેવા યુગપુરુષ ઋષભદેવને નામે આવી કેટલીક સંસ્કૃતિસ્થાપક પાયાની શોધો અને તેનું વત્સલ પ્રશિક્ષણ ચઢેલાં છે. ખેતીની આવડત એક ક્રાંતિકારક પાયો બન્યો, જેણે સમાજ-નિર્માણ, ગ્રામનિર્માણ દ્વારા માનવની વ્યક્તિગત પ્રતિભાનાં વધુ ગહન રચનાત્મક લક્ષણો ખોલી આપ્યાં, અને તેમના સામુદાયિક જીવનની વધુ ને વધુ મનોહર ભાત ખીલે તે માટેની મોકળાશ કરી આપી. આ આખો કૃષિ-યુગ બની રહ્યો, જેમાં પશુપાલન, ગ્રામોદ્યોગ, વેપાર વગેરેએ કૃષિને પૂરી સ્થિરતા અને સામાજિક પ્રતિષ્ઠા આપી. આમાંથી વ્યક્તિજીવન અને સમાજ-જીવનની જે ચોક્કસ, વ્યાપક અને ચિરસ્થાયી ભાત ઊભી થઈ, તે ઉત્તમ રીતે ગુણકર્માધારિત સામાજિક વર્ણવ્યવસ્થા અને વ્યક્તિગત આશ્રમ-વ્યવસ્થારૂપ મૌલિક ભારતીય પ્રણાલીમાં પ્રતિબિંબિત થાય છે. કવિવર રવીન્દ્રનાથે બરોબર નાડી પારખીને કહ્યું છે, કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તે અરણ્ય-સંસ્કૃતિ છે. એ કથનનું તાત્પર્ય એ છે કે વનોને જ માનવીય સાધનાના ઉત્તમ અધિષ્ઠાન તરીકે પારખી ચૂકેલા ઋષિઓએ પોતાની પારદર્શી પ્રજ્ઞાથી અને સર્વાશ્લેષી કરુણાથી જે સત્યદર્શન તટસ્થભાવે કર્યું અને અટલ વ્યવહારલક્ષી માર્ગદર્શન સુધ્ધાં આપ્યું, એના આધારે ભારતમાં માનવસંસ્કૃતિ ઘાટ પામી છે. વેદો રૂપે પ્રગટેલી એ ઋષિવિદ્યામાં પરમાર્થ અને તેને પામવા માટે માર્ગ તૈયાર કરનારી સમાજવ્યવસ્થા અને પ્રત્યેક વ્યક્તિની સાધનાપૂર્ણ જીવનચર્યા એ બંને વિષયો – જેમને કોઈકે અનુક્રમે વિદ્યા અને અવિદ્યા, કોઈકે પરાવિદ્યા અને અપરાવિદ્યા, કોઈકે શ્રુતિ અને સ્મૃતિ કહી તે – ઉત્તમ રીતે મૂર્ત થયા છે. એટલે તો વેદના જ અંતર્ગત ભાગ તરીકે છ વેદાંગો, અને વળી ‘ઇતિહાસ-પુરાણ' રૂપ બે ગ્રંથપ્રકારો પણ અચૂક સમાવાય છે. મનુષ્યની બૈગુણ્યાત્મક અને ત્રિગુણાતીત સમગ્ર પ્રકૃતિને પારખીને ઋષિપરંપરાએ જીવનનાં સામાજિક, આર્થિક, રાજકીય, આધ્યાત્મિક એમ સર્વ પાસાં વિષે અધિકૃત અને શ્રદ્ધેય માર્ગદર્શન આપ્યું, અને એને આધારે તંતોતંત જીવવાનો અપૂર્વ પ્રયોગ ભારતવર્ષમાં પરાપૂર્વથી આજ સુધી વત્તે ઓછે અંશે થતો આવ્યો છે. છ વેદાંગો પૈકી યાજ્ઞિક અને ઘરગથ્થુ કર્મકાંડ ઉપરાંત સમગ્ર સામાજિક જીવનચર્યાનો માર્ગ આંકતા કલ્પ' નામના વેદાંગમાં ધર્મશાસ્ત્ર' નામની સમૃદ્ધ શાસ્ત્રશાખા પણ સ્થાન પામી છે. તેમાં વર્ણાશ્રમધર્મોના સર્વાગી પ્રતિપાદનના ભાગરૂપે રાજધર્મનું પણ ઉત્તમ અંકન થયેલું છે. આ બતાવે છે કે રાજધર્મ પણ પૂર્ણપણે પારમાર્થિક અનુબંધ (જોડાણ) ધરાવે છે–અર્થાત્ રાજધર્મનો નમ્ર પ્રતિનિધિ બની રહેતો રાજા જાતે ઉચ્ચતમ જ્ઞાનનો અને તેનું જ્ઞાન ધરાવતા જ્ઞાનીઓનો અંકુશ પૂર્ણપણે સ્વીકારીને જ પ્રજાજીવનને ઉત્તમ માનવોચિત રીતે અંકુશમાં રાખે છે. “રાજકારણમાં ધર્મ હોવો જોઈએ કે નહિ એવો પ્રશ્ન જ “ચાલવા ધરતી જોઈએ કે નહિ' તેવા પ્રશ્નની જેમ નર્યો મૂઢતાજન્ય છે. રાજકારણ માટે ધર્મના સંગની આવશ્યકતા સ્વતઃસિદ્ધ છે. ઋગ્વદાદિ વેદોમાં સહજપણે જ તે વખતનાં રાજકીય એકમો અને અન્ય રાજકીય સંદર્ભોના મૂલ્યવાનું પ્રાસંગિક ઉલ્લેખો ઠેર-ઠેર મળે છે. વિવિધ વસ્તીસ્થાનો તરીકે “ગ્રામ', ‘વિશ” (આજના તાલુકા કે જિલ્લા જેવો ગ્રામસમૂહ), “રાષ્ટ્ર'ના ઉલ્લેખો મળે છે. રાજકાજ માટેના સામુદાયિક મિલનરૂપ કે મિલનસ્થાનરૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy