SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ઉત્તરક્રિયા એ છે કે રાજ્યના અધિકારીઓએ ઉચાપત કરેલાં ઉત્પાદનને કે ધનને પાછું મેળવવાના ઉપાયોનું પણ એક કાયમી તંત્ર કાર્યક્ષમ રીતે નભાવવું. આ બાબતનું નિરૂપણ કરતો અધ્યાય ઉક્ત બે અધ્યાયોની વચ્ચે (૨.૮) છે. એ સારગર્ભિત ચર્ચામાંની કેટલીક બાબતો ખાસ ધ્યાન ખેંચે તેવી છે; તે જોઈએ. આરંભમાં જ કોશવૃદ્ધિનાં અને કોશક્ષયનાં કારણોની અનુભવસિદ્ધ યાદી આપી છે, અને પછી માત્ર કોશક્ષયના એ દરેક કારણની વ્યાખ્યા કે સ્પષ્ટતા રજૂ કરી છે, જેથી પ્રકરણના મુખ્ય વિષયનો પાયો બંધાય. ૨૧૯ કોશવૃદ્ધિનાં પણ અહીં ગણાવેલાં આ કારણો જાણવા-સમજવા જેવાં છે : (૧) ‘પ્રચારસમૃદ્ધિ’ એટલે કે કાર્યક્ષેત્રની સમૃદ્ધિ. કેટલાક ટીકાકારો અહીં ‘પ્રાર’નો અર્થ ‘દેશ’ કે ‘પ્રદેશ’ કરે છે, જ્યારે શ્રી કંગલે ‘જે-તે અર્થોત્પાદન-વિભાગની પ્રવૃત્તિની સમૃદ્ધિ' એવો કરે છે. ઉત્પાદન પામતી જે વસ્તુ હોય તેના ઉત્પાદન-યત્ન માટેની અનુકૂળતા; કાચી સામગ્રીની સુલભતા, કાર્યકરોની સુલભતા અને ઉત્પન્ન વસ્તુનું કીમતીપણું – આ બધું આમાં સમાઈ શકે. (૨) કાર્યકરોના કે મુલ્કના રીત-રિવાજોનું સન્માન કે એની જાળવણી (ચરિત્રાનુગ્રહ), (૩) ચોરોનું કાર્યક્ષમ ગ્રહણ, (૪) કાર્યકરો પર જાપ્તો, (૫) મુલ્કમાં અન્નની છત, (૬) અન્ય જીવનજરૂરી ચીજોની જે-તે પ્રદેશમાં વિપુલતા, (૭) પ્રાકૃતિક ઉપદ્રવોમાંથી સંતોષકારક મુક્તિ (ઉપસńપ્રમોક્ષ:), (૮) ઋણદાનમાં, અનુદાનમાં કે કરમુક્તિ(પરિહાર)માં ક્રમિક ઘટાડો, (૯) રોકડમાં અપાતી ભેટ (ઉપાયન —‘બોનસ’; આ કર્મચારી-સંદર્ભે સમજવું ?) આ આખી યાદી સુચિંતિત અને પ્રબુદ્ધ કોટીની લાગે તેવી સમતોલ અને સર્વાંગી લાગે છે, માનવમહિમાને કેન્દ્ર બનાવનારી છે. તેમાં માનવીય પરિબળોની અને પ્રાકૃતિક-ભૌતિક પરિબળોની અનુકૂળતાની સમતોલ વિચારણા થયેલી હોઈ, કોઈ પણ દેશ-કાળમાં ખૂબ માર્ગદર્શક અને રાષ્ટ્રવર્ધક બની રહે તેવી છે. કૌટિલ્યને મન કોશ અને કોઠાર એ કેવાં પરિબળોનું કે રાષ્ટ્રની કેવી ચેતનાનું નિત્યોપકારક મૂર્ત સ્વરૂપ છે તે આ યાદીને સમગ્રતાથી જોતાં સમજાયા વગર રહેતું નથી, અને આજના વિષમ વૈશ્વિક અર્થપ્રવાહોમાં તો તેની તાતી પ્રસ્તુતતા જણાય છે. આમાંનાં પ્રથમ બે પરિબળોને સૂચવતાં સામાસિક વિશેષણોમાંના શબ્દોની પારિભાષિક સંદિગ્ધતા છતાં ધિંગી અનુભવાશ્રિત વિવેકબુદ્ધિથી તેના પણ સાચા અર્થો સૂઝી આવ્યા વગર રહેતા નથી. આમાંના પ્રચાર અને રિત્ર શબ્દો ગ્રંથમાં અન્યત્ર પણ અહીંના જેવા જ ચોક્કસ અર્થમાં વપરાયા છે. આ નવ બાબતોના ક્રમમાં પણ ડોકાતી કુશળતા ધ્યાનપાત્ર છે. એમાં બબ્બેની સંલગ્ન ચાર જોડી છે અને છેલ્લે એક પૂરક બાબત છે. વળી મહત્ત્વની દૃષ્ટિએ, કૌટિલ્યની સામાન્ય શૈલી પ્રમાણે, અહીં પણ આ પરિબળોની ગણના તીવ્રતાના ઊતરતા ક્રમે છે. પ્રથમ જોઈએ અર્થઘટનમાં ગૂંચવતી પહેલી જોડીને. પ્રથમ પ્રચારસમૃદ્ધિ પરિબળમાંનો ‘પ્રચાર' શબ્દ ક્રિયાવાચક (પ્રસરણ કે પ્રવર્તન) તરીકે પણ વપરાય છે અને લાક્ષણિક (લક્ષણા-શક્તિજન્ય) રીતે એ ક્રિયાના આધારરૂપ સ્થાન કે ક્ષેત્ર માટે પણ વપરાય છે. અહીં એ બીજો અર્થ પ્રસ્તુત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy