SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સાથી રાજપુરુષોને) સુયોગ્ય માન-મોભો અને અનુરૂપ કાર્યસ્થળ આપીને પાકી સમાજસુરક્ષાવ્યવસ્થા કરવી જરૂરી છે. તેનાથી સરવાળે સમાજમાં પડેલી વત્તી-ઓછી દુષ્ટતા કાબૂમાં રહેતાં, દરેક જીવનું શ્રેષ્ઠ હીર પ્રકાશીને સાર્વત્રિક કલ્યાણ પ્રવર્તી શકે એમ છે. આ પછી આગળની ચર્ચામાં જનપદ અને દુર્ગ એ બંનેના મહત્ત્વની તુલના થઈ છે. પારાશરોના મતે જનપદ કરતાં દુર્ગ પરની આપત્તિ વધુ ચિંતાજનક ગણાય. એ માટેની દલીલમાં મુખ્યત્વે ગ્રામવાસીઓ અને નગરવાસીઓની સામાન્યરૂપે થયેલી તુલના છે તે ધ્યાનપાત્ર છે. નગરવાસીઓ ગ્રામજનો કરતાં વધારે શક્તિશાળી, કાયમી વફાદારીવાળા અને આપત્તિમાં રાજાને સહાય કરનારા કહેવાયા છે. વળી એમ પણ કહેવાયું છે કે રાજધાની દ્વારા જ ખજાનાની અને સૈન્યની ઉત્પત્તિ થાય છે, અને આપત્તિ વખતે જનપદને બચાવવાનું સ્થાન પણ કિલ્લેબંદ રાજધાની જ છે. “જનપદવાસીઓ શત્રુપક્ષ સાથે પણ સાંઠગાંઠ રાખતા હોય છે' એવો પૂર્વગ્રહયુક્ત અભિપ્રાય પણ ઉચ્ચારાયો છે. આ આખી નગરરાગપ્રેરિત, એકાંગી, પૂર્વગ્રહવશ થઈ વાસ્તવિકતાઓ તપાસવાની ધીરજ વિનાની અને તેથી છીછરી કહી શકાય તેવી રજૂઆતની સમાલોચના કૌટિલ્ય સમત્વપૂર્વક રજૂ કરી છે. પ્રથમ તો તેઓ એ ભૌતિક હકીકત કે વાસ્તવિકતા ચીંધે છે કે ખુદ દુર્ગ ઉપરાંત કોશ, દંડ (સૈન્ય), સેતુકર્મો (બંધ વગેરે સીંચાઈનાં બાંધકામો), વાર્તા(આજીવિકાસાધક કર્મો)ને લગતા કાર્યકલાપોનું મૂળ જનપદ એટલે કે વિશાળ ગ્રામીણ પ્રદેશ છે. ગ્રામીણ પ્રજામાં રહેલા ધિંગા માનવીય ગુણો – શૌર્ય, અંડગપણું, દક્ષતા, શિસ્તબદ્ધ સમૂહબળ – પણ આ કર્મોને ઉત્તમ રીતે નભાવે છે. વળી પર્વત કે ટાપુ દુર્ગસ્થાન તરીકે ઉત્તમ હોવા છતાં તેની આસપાસ રૈયત ન હોવાથી એવી રાજધાનીમાં કોઈ વસવા આવતું નથી. આમ છતાં, કૌટિલ્ય હંમેશાં ખૂબ લચીલા, પૂર્વગ્રહમુક્ત અને વાસ્તવદર્શી હોઈ, આ ચર્ચામાં એટલું ઉમેરે છે કે જનપદમાં ખેતી જ મુખ્ય વ્યવસાય હોય તો દુર્ગની આપત્તિ વધારે ચિંતાજનક ગણાય; પરંતુ જો જનપદમાં શસ્ત્રજીવી ખડતલ પ્રજાઓનું પ્રાધાન્ય હોય તો જનપદ પરની આપત્તિ વધુ ચિંતાજનક કહેવાય. કૌટિલ્યને નથી ખપતો ગ્રામવાદ, નથી ખપતો નગરવાદ; ખપે છે નિત્યના પૂર્વગ્રહરહિત અવલોકન પર આધારિત વાસ્તવવાદ. ઉપર રજૂ કરેલો પારાશરમત એ બતાવે છે કે છેક એ સમયમાં પણ મોહાશ્રિત નગરવાદ કેવો ધમધમતો હતો. નગરજનો સાચી-ખોટી રીતે સધાયેલી પોતાની સાધનસંપન્નતા રખે ને વીંખાઈપીંખાઈ જાય તેવા ડરથી અને પંડની જ આળપંપાળ કરવાના પાકા ને જડ બંધાણના માર્યા, પોતાનો પાકો ચોકો બાંધી લેવામાં જ સલામતી માનીને, “ગરજવાનને અક્કલ ન હોય' એ ન્યાયે, પોતાના સ્વાર્થી ચોકા બહારના તે બધા દુશ્મન અને દુર્જન’ એવી સગવડિયા માન્યતામાં રાચતા. તેથી તળ ગ્રામપ્રદેશને ઉપેક્ષાના દરિયામાં ડુબાડીને, પ્રકૃતિદર્શનની દૃષ્ટિએ પણ ગ્રામીણ પ્રદેશનો પરિચય ન રાખતા; તો ગ્રામીણ પ્રજામાં રસ લેવાની તો વાત જ કેવી ! પેટભરૂને તો બારણે મોંઘેરો મહેમાન આવેલો જાણીને ય થાળી સંતાડવાનું જ સૂઝે ને ! ભાગ પડાવનાર માનવમાત્ર દુશ્મન ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy