SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિભાવના આખા વિશ્વમાં, ભલે કાચા-પાકા કે પાંખા સ્વરૂપે પણ વ્યાપી ગઈ છે અને તેના અમલનાં મંડાણ પણ દુનિયાના દરેક ખંડના અનેક દેશોમાં થયાં છે. વળી અંધકારભર્યા ગણાતા દુનિયાના મધ્યયુગને છેડે ચાર-પાંચ સદી પૂર્વે યુરોપથી શરૂ થયેલા પુનરુત્થાનકાળ(‘રેનેસાં')ના ચાલુ રહેલા મોજામાં માનવકેન્દ્રી ચિંતન અને પ્રાચીન-અર્વાચીન જ્ઞાનનું પૂર્વગ્રહમુક્ત ઊંડું, અવનવું ખેડાણ – એ બંને વસ્તુઓ અસાધારણ નૂતન લક્ષણ તરીકે ઊપસી આવી છે. સાચા જ્ઞાન વિષેના અનેક ગંભીર ભ્રમો છતાં અને જ્ઞાનને વિકૃત કે એકાંગી બનાવી તેનો બહુજનવિરોધી ઘોર દુરુપયોગ પણ ઠીક-ઠીક વ્યાપ સાથે થવા છતાં, યુગબળે વિવિધ પ્રજાઓમાં જાગી રહેલા ઉત્કટ અને સંગઠિત આત્મગૌરવને કારણે અને કુલડીમાં ગોળ ભાંગવાની અંધારયુગોની રીતિઓને ઠીકઠીક રીતે અશક્ય બનાવે તેવાં સંદેશાનાં અને સંચારનાં સાધનોની અભૂતપૂર્વ સુલભતાને કારણે, અગાઉના યુગો કરતાં માનવગૌરવ માટે આજે અપૂર્વ અનુકૂળતા તો જરૂર પેદા થઈ છે. અને વળી વ્યવહારુ શાણપણની દૃષ્ટિએ તેમ જ અનેક અટપટા તનાવોમાંથી સહુને મુક્તિ અપાવે તેવા પારસ્પરિક અભયસ્થાપનની દૃષ્ટિએ, સમાજની છેલ્લામાં છેલ્લી કે હીનમાં હીન માનેલી વ્યક્તિને પણ સાર્વજનિક કલ્યાણયાત્રામાં સમાવવાનો સમજદારીભર્યો ઉદ્યમ આચરવા જેવો જ છે. “સહુના ભલામાં પોતાનું ભલું” એ વાતને નૈતિકતાની જ દૃષ્ટિએ કે અઘરા આદર્શની દષ્ટિએ નહિ, પણ પરિણામદાયી વ્યવહારુ એકમાત્ર પદ્ધતિ તરીકે અપનાવવી પડશે. આ દષ્ટિએ, સૌથી પ્રથમ, કૌટિલ્ય સાત રાજ્યાંગોમાંના એક એવા જનપદનું અર્થાત તળ પ્રજાઓનું સાપેક્ષ મહત્ત્વ કેવું આકાર્યું છે તે તપાસવાનું પ્રસ્તુત બને છે. આઠમા વ્યસનાધિકારમ્' અધિકરણમાં, સાતે ય પ્રકૃતિ પર આવી પડતાં વ્યસનોમાંથી કઈ પ્રકૃતિ પરનું વ્યસન વધુ હાનિકારક છે એ સમજવા માટે આ પ્રકૃતિના પારસ્પરિક સાપેક્ષ મહત્ત્વનો અગ્રતાક્રમ કૌટિલ્ય પોતાની દષ્ટિએ પ્રથમ રજૂ કરીને પછી નજીકની બન્ને પ્રકૃતિઓના સાપેક્ષ મહત્ત્વ અંગેના વિવાદો વિગતે રજૂ કર્યા છે. એ ક્રમમાં કૌટિલ્ય મુજબ જનપદનો ક્રમ રાજા અને મંત્રી એ બે પ્રકૃતિઓ પછી ત્રીજો આવે છે. ત્યાર પછી દુર્ગનો ક્રમ છે. જનપદના મહત્ત્વની સમજણની દૃષ્ટિએ, કૌટિલ્ય રજૂ કરેલા વિવાદો પૈકી મંત્રી સાથેની તેની તુલના તેમ જ ચોથે સ્થાને આવતા દુર્ગ સાથેની તેની તુલના આપણે માટે પ્રસ્તુત છે. અનેક વૈષમ્યો વચ્ચે પણ સર્વસંયોજક એવી બહુમુખી પ્રતિભા ધરાવનાર રાજા અને રાજયતંત્રનાં અનેક ઉચ્ચાવી કાર્યો સાધવા માટે જરૂરી એવું જ્ઞાન-વિજ્ઞાનબળ ધરાવનાર મંત્રીસમુદાય રાજ્યતંત્રના અનિવાર્ય આધારરૂપ હોઈ સહજપણે મહત્ત્વના ક્રમમાં સૌથી આગળ આવે છે. શુદ્ધ હૃદયગુણો ને બુદ્ધિગુણ સર્વાધાર બની રહે છે. આ બે અંગો પછીનાં ચાર અંગો રાષ્ટ્રની અંદરનાં છે, તો પાંચમું મિત્રરૂપ અંગ મુખ્યત્વે રાષ્ટ્રની બહારનું છે. એ અંતર્ગત ચાર અંગોમાં તળ ગ્રામીણ કે નગરો-કસ્બાઓ રૂપ પ્રદેશનું બનેલું “જનપદ' (આમ-જનતાનું થાણું) પ્રથમ સ્થાન ભોગવે છે તેવો આચાર્યમત છે, અને કૌટિલ્યનો પોતાનો મત પણ એ જ છે. રાજનીતિ અંગેના કેટલાક પ્રાચીન ભારતીય ગ્રંથોમાં (દા.ત. “મનુસ્મૃતિમાં) “જનપદ'ને સ્થાને “રાષ્ટ્ર’ એવો વધુ મહિમામય વ્યાપક શબ્દ પણ વપરાયો છે તે ઘણું સૂચવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy