________________
પ્રકરણ બે
માટીમાંથી તૈયાર કરેલી પ્રાણીઓ અને સ્ત્રીઓની પૂતળીઓ, કેટલાંક વાસણો, પકવેલી ઈંટો ઇત્યાદિ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આમાં, રોમીય સામ્રાજ્ય સાથે ગાઢ સંપર્ક સૂચવતા કેટલાક નમૂના પણ પ્રાપ્ત થયા છે. ક્ષત્રપકાલીન મૃદ્ભણ્ડોના અવશેષ તો ઠેકઠેકાણેથી હાથ લાગ્યા છે અને ક્યારેક હાથ લાગેય છે. વિવિધ થરોમાંથી મળતાં માટીનાં વાસણો લાલ રંગનાં
અને ચમકદાર સપાટીવાળાં હોય છે. આ વાસણો તત્કાલીન સાંસ્કૃતિક સ્થિતિનું દર્શન કરાવે છે. આ બધા પુરાવશેષો ક્ષત્રપકાલીન માનવજીવનને સમજવામાં ઉપયોગી માહિતી સંપડાવી દે છે.
અન્યથા, સૌરાષ્ટ્ર અને કચ્છના ભૂભાગમાં જો વ્યાપક પ્રમાણમાં ફ્ળતપાસ હાથ ધરવામાં આવે અને ઉત્ખનનકાર્ય હાથ ધરાય તો પ્રભાસ, જૂનાગઢ, અમરેલી, શામળાજી, નગરા, આન્ધૌ, ભરૂચ વગેરે વિસ્તારોમાંથી, અદ્યાપિ મળેલા ક્ષત્રપ અવશેષો જેવા, અવશેષો મળી આવવાની પૂરતી સંભાવના છે.
સમકાલીન સાહિત્ય
પુરાવસ્તુકીય અને આભિલેખિક સાધનસામગ્રીની સરખામણીએ ક્ષત્રપકાલીન સાહિત્યિક સામગ્રી ઘણી જ ઓછી પ્રાપ્ત થઈ છે. જે સાહિત્યસામગ્રી ઉપલબ્ધ છે તેનેય સમકાલીન ગણાવવાનાં ચોક્કસ કારણો મુશ્કેલીથી મળી આવ્યાં છે. જૈન ધર્મ અને દર્શન સાહિત્યના ઘણા લેખકો આ સમયે વિદ્યમાન હોવાનું સૂચિત થાય છે. એમાંના કેટલાકનો આનુશ્રુતીક સમય ઐતિહાસિક દૃષ્ટિએ અનિશ્ચિત હોવા છતાંય કેટલાક લેખકો ક્ષત્રપ શાસકોના સમયકાલ દરમ્યાન વિદ્યમાન હોવાનું કહી શકાય. પરંતુ જૈન સૂરિઓ જુદા જુદા પ્રદેશોમાં વિહાર કરતા રહેતા હોવાથી એમની કૃતિઓ ગુજરાતમાં લખાઈ હશે કે આસપાસના બીજા કોઈ પ્રદેશમાં એ પણ નિર્ણીત કરવું મુશ્કેલ છે. છતાં નાગાર્જુનસૂરિના અધ્યક્ષપદે વલભીમાં યોજાયેલી પરિષદમાં તૈયા૨ થયેલી જૈન આગમોની ‘વાલભી વાચના’ તથા વલભીવતની મલ્લવાદીએ લખેલો ગ્રંથ ‘દ્વાદશારનયચક્ર’ જેવી સાહિત્યની મહત્ત્વની પ્રવૃત્તિઓ ક્ષત્રપોના શાસન સમયના ગુજરાત સાથે નિશ્ચિત સંબંધ ધરાવે છે. જૈન આગમોની વાચનામાં તથા જૈન ન્યાયના વિકાસમાં આ કૃતિઓનો ફાળો ધ્યાનાર્હ બને છે. સિદ્ધસેન દિવાકર વિરચિત ‘સન્મતિપ્રકરણ', ‘બત્રીસીઓ' અને ‘ન્યાયાવતાર' ગ્રંથો પણ આ જ સમયના હોવાનું નિશ્ચિત થાય છે. જૈન વાડ્મયમાં જાણીતો ગ્રંથ ‘અંગવિજ્જા પઇણય' પણ આ શાસકોના શાસનના અંત સમયે રચાયો હોવાનું જણાય છે. ફલાદેશનું નિરૂપણ કરતો આ મહાકાય ગ્રંથ સાંસ્કૃતિક ઇતિહાસની સામગ્રીની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે; કેમ કે એમાં ગ્રહ-નક્ષત્ર-તારા વગેરે વડે કે જન્મકુંડલી વડે ફલાદેશનો નિર્દેશ જોવો પ્રાપ્ત થતો નથી. પરંતુ મનુષ્યની સાહજિક પ્રવૃત્તિઓનાં નિરીક્ષણથી, તેનાં અંગોના વિવિધ પ્રકારના ભાવો ઉપરથી ફલાદેશનું નિરૂપણ થયેલું જોઈ શકાય છે જે બાબત અદ્વિતીય બની રહે છે. આથી મનુષ્ય સાથે, તેના શરીરનાં હલનચલન, તેની રહેણીકરણી, પહેરવેશ, ખોરાક ઇત્યાદિ સંબંધિત વિષયોનાં વિપુલ વર્ણન અને વૈવિધ્યપૂર્ણ માહિતી આ ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. બ્રાહ્મણધર્મીય વિદ્વાન દુર્ગાચાર્ય વિરચિત ‘દુર્ગવૃત્તિ ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં રચાયેલી સમજાય છે; પરંતુ એની રચના ગુજરાતમાં થઈ હોવાનાં પ્રમાણો પ્રાપ્ત નથી.—સાહિત્યની આ બધી પ્રવૃત્તિઓ ક્ષત્રપકાલીન ગુજરાતની સંસ્કૃતિનું ચિત્ર આલેખવામાં રસપ્રદ વિગતો સંપડાવી આપે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org