________________
પ્રકરણ બે
અભિલેખો
ક્ષત્રપકાલીન ગુજરાતના ઇતિહાસાલેખનની આભિલેખિક સામગ્રીમાં સિક્કાઓ ઉપરાંત આ રાજાઓના સમયના થોડાક શિલાલેખો, અસ્થિપાત્રલેખો, મૃદ્ભાણ્ડલેખો વગેરેનો સમાવેશ થાય છે. પ્રસ્તુત અભિલેખોની સંખ્યા ૩૨ જેટલી છે. આ બધાંમાં શિલાલેખોનું મહત્ત્વ સવિશેષ ઉલ્લેખનીય છે.
ક્ષહરાત ક્ષત્રપવંશના જાણીતા રાજા નહપાનના સમયના એનાં સગાંસંબંધીઓના દાનવિષયક આઠ લેખો નોંધપાત્ર છે. આ બધા લેખો નાસિક અને પૂણે જિલ્લામાં આવેલી ગુફાઓની દીવાલો ઉપર કોતરેલા છે. આ લેખોનો વિષય મુખ્યત્વે દાનનો હોઈ ભૂમિદાન, ગૌદાન, સુવર્ણદાન, કન્યાદાન ઇત્યાદિની ઉપયોગી માહિતી સંપડાવી આપે છે. આ લખાણોમાં ઉલ્લિખિત મિતિ નહપાનના રાજ્યઅમલના સમયાંકન કાજે ખૂબ જ અગત્યનું સાધન છે. ઉપરાંત એમાં ઉલ્લિખિત સ્થળવિશેષ ઉપરથી તત્કાલનાં કેટલાંક ધાર્મિક સ્થળો અને વહીવટી વિભાગોનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. શરાફી પેઢી અને નાણાંની લેવડદેવડને લગતા પણ એકાદ બે નિર્દેશ છે; જેથી વ્યાજે નાણાં ધી૨વાનો કે રોકેલી મૂડીનું વ્યાજ આપવાના રિવાજનો પરિચય પમાય છે.
કાદર્મક ક્ષત્રપકુળના મહારાજા મહાક્ષત્રપ રુદ્રાદામાં ૧લાના સમયનો, ગિરનારની તળેટીમાં અશોક મૌર્યના ધર્મલેખો જે શૈલ ઉપર ઉત્કીર્ણ છે તે શૈલની પશ્ચિમ બાજુ ઉપર, કોતરેલો લેખ આપણા રાષ્ટ્રની આભિલેખિક સામગ્રીમાં અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સંસ્કૃત ગદ્યમાં અને બ્રાહ્મી લિપિમાં ઉત્કીર્ણ આ વિશાળ લેખ વિકસિત સંસ્કૃત ગદ્ય-શૈલીનો પૂર્વકાલીન ઉત્તમ નમૂનો છે. આ લેખ, અતિવૃષ્ટિને લઈને સુવર્ણસિક્તા, વિલાસિની અને પલાશિની નદીઓમાં આવેલાં પૂરથી સુદર્શન તળાવના તૂટી ગયેલા સેતુ(બંધ)ના સમારકામની ગવાહી પૂરે છે. આ તો પ્રસંગોચિત વાત થઈ. પરંતુ આ ઉપરાંત આ લેખ એક અદ્વિતીય ઐતિહાસિકદસ્તાવેજીય માહિતી પણ સંપડાવી આપે છે : જળાશયના નિર્માણકાર્યનો પૂર્વેતિહાસ. વળી રાજા રુદ્રદામાના વિશિષ્ટ વ્યક્તિત્વનું ચિત્રણ પણ આલેખિત કરે છે. તત્કાલીન શિક્ષણમાં વિદ્યમાન કેટલીક વિદ્યાઓનો અને શિક્ષણપદ્ધતિનો પરિચય પણ પમાડે છે.
ચાષ્ટન અને રુદ્રદામાના સમયના આન્ધૌના ચાર યષ્ટિ(પાળિયા)લેખો તથા ચાષ્ટનનો શક વર્ષ ૧૧નો ષ્ટિલેખ તે રાજાઓના રાજકાલ વિશે, તે સમયનાં પ્રચલિત ગોત્ર વિશે તેમ જ વ્યક્તિનામો અંગે જરૂરી માહિતી આપે છે.
ક્ષત્રપકાલના અન્ય કેટલાક શિલાલેખો પણ સંપ્રાપ્ત થયા છે; જે સાલવારી તેમ જ પૂર્વધર્મનાં બાંધકામ તથા તત્કાલીન સ્થલાદિની કેટલીક રસપ્રદ ઉપયોગી માહિતી હાથવગી કરી આપે છે. આ ઉપરાંત કેટલીક મુદ્રાઓમાં, મુદ્રાંકોમાં અને મૃદ્ભાણ્ડ ઉપર કોતરેલાં લખાણ કેટલીક સામગ્રી પૂરી પાડે છે.
વીસમી સદીના સાઠના દાયકા દરમ્યાન સાબરકાઠાં જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી-તીર્થની નજદીકમાં મોશ્વો નદીના કાંઠે આવેલા દેવની મોરી ગામની સીમમાંથી એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org