________________
૪૩૨
ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૧ માટે શાસ્ત્ર સાથે સંબંધવાળો એવો પ્રથમ શ્લોક શાસ્ત્રમાં આવતાં વિઘ્નોનો નાશ કરે છે, તેમ સ્વીકારી શકાય છે. અને જેમ શાસ્ત્રના મંગલ વાક્યરૂપ પ્રથમ શ્લોકનો શાસ્ત્ર સાથે ભેદાભેદ છે, તેમ શાસ્ત્રના બીજા, ત્રીજા, આદિરૂપ વાક્યાંતરનો પણ ભેદાભેદ છે. માટે ભેદાભેદરૂપે મંગલ વાક્ય અને શાસ્ત્રનાં અન્ય વાક્યોમાં કોઈ વિશેષતા નથી, માટે ભેદાભેદરૂપે શાસ્ત્રનાં સર્વ વાક્યો સમાન છે. તેથી જેમ શાસ્ત્રનો પહેલો શ્લોક વિઘ્નનો નાશ કરી શકે છે, તેમ બીજા આદિ શ્લોકો પણ વિઘ્નનો નાશ કરી શકે છે, તેમ જ માનવું ઉચિત છે. પરંતુ શાસ્ત્રના પ્રથમ શ્લોકરૂપ મંગલ વાક્ય જ આખા શાસ્ત્રની સમાપ્તિ પ્રત્યે કારણ છે અથવા તો આખા શાસ્ત્રમાં આવતાં વિઘ્નોના નાશ પ્રતિ પ્રથમ શ્લોક કારણ છે, તેમ ન કહી શકાય; કેમ કે જેમ પ્રથમ શ્લોક મંગલરૂપ છે, તેમ આખું શાસ્ત્ર મંગલરૂપ છે. માટે આમ માનવું જોઈએ કે, ગ્રંથ રચનાર ગ્રંથના પ્રારંભમાં સ્વપ્રતિભાથી પ્રથમ શ્લોક રચે છે, જેનાથી દ્વિતીય શ્લોકમાં આવનારાં વિઘ્નોનો નાશ થાય છે, અને બીજા શ્લોકની રચનાથી તેની ઉત્તરના શ્લોકની રચનામાં આવનારાં વિઘ્નોનો નાશ થાય છે અને આ રીતે ગ્રંથ રચનાર ગ્રંથની સમાપ્તિ કરે છે. તે રીતે શાસ્ત્ર શ્રવણ કરનાર પણ ઉપદેશકના વચનને અવલંબીને પ્રથમ શ્લોકનો બોધ સ્વપ્રતિભાથી કરે છે, અને તેનાથી દ્વિતીય શ્લોકના બોધમાં આવનારાં વિઘ્નોનો નાશ થાય છે, અને દ્વિતીય શ્લોકના બોધથી તેની ઉત્તરમાં કહેવાનારા શ્લોકના બોધમાં આવતાં વિઘ્નોનો નાશ થાય છે, અને એ રીતે પૂર્વ પૂર્વ શ્લોકના બોધથી ઉત્તર ઉત્તર શ્લોકના બોધમાં આવનારાં વિઘ્નો નાશ પામે છે. માટે શાસ્ત્રરચનાથી પૃથક્ એવા મંગલાચરણરૂપ પ્રથમ શ્લોકની રચના કરવાની આવશ્યકતા નથી. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
પૂર્વપક્ષીના આ આશયનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – એ પ્રમાણે ન કહેવું; કેમ કે શાસ્ત્રથી પૃથક્ મંગલ કરવાને કારણે આ શાસ્ત્ર મંગલરૂપ છે તેવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેના કારણે શાસ્ત્રમાં આવનારાં વિઘ્નોનો નાશ થાય છે. આથી ગ્રંથ રચનાર શિષ્ટપુરુષ પ્રથમ મંગલ કરીને પછી શાસ્ત્રરચના કરે છે અને શ્રોતાને મંગલની પ્રાપ્તિ અર્થે ગ્રંથમાં પણ મંગલને નિબદ્ધ કરે છે. તેથી જેમ ગ્રંથ રચનાર ગ્રંથરચના કરતાં પૂર્વે પૃથક્ મંગલ કરે છે, તેમ અર્થની વાચનામાં પૂર્વે સાધુઓ મંગલરૂપે કાયોત્સર્ગ કરે છે. તેથી શાસ્ત્રથી મંગલનો ભેદ છે કે અભેદ છે અથવા ભેદાભેદ છે એ વિકલ્પનો અવકાશ નથી; કેમ કે શાસ્ત્રથી પૃથક્ એવું પણ કરાયેલું મંગલ શાસ્ત્રમાં મંગલબુદ્ધિ ઉત્પન્ન કરીને શાસ્ત્રમાં આવતાં વિઘ્નોનો નાશ કરે છે.
આશય એ છે કે શ્રેય કાર્યો બહુ વિઘ્નવાળાં છે, એ પ્રકારે શિષ્ટ પુરુષો જાણે છે. તેથી જ્યારે સાધુ અર્થગ્રહણ કરવા માટે બેસે છે, ત્યારે વિચારે છે કે, આ શાસ્ત્રના પારમાર્થિક અર્થને ગ્રહણ કરવો તે કંઈ સામાન્ય કાર્ય નથી. આ સંસારનો ઉચ્છેદ કરીને પરમપદને પ્રાપ્ત કરાવે તેવું આ અર્થગ્રહણરૂપ કાર્ય છે, જે પરમશ્રેયરૂપ છે, તેથી આ અર્થગ્રહણરૂપ કાર્ય કરવામાં વિઘ્નો આવી શકે છે. તે વિઘ્નો બે પ્રકારનાં છે – (૧) અંતરંગ વિઘ્ન અને (૨) બાહ્ય વિઘ્ન.
૧. અંતરંગ વિઘ્ન :
(૧) શાસ્ત્રનો અર્થ ગ્રહણ કરતાં ચિત્તમાં જે કાષાયિક ભાવો ઉત્થિત થાય તે, (૨) શાસ્ત્રના પારમાર્થિક બોધમાં પ્રતિબંધક જ્ઞાનાવરણીયાદિ કર્મો અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org