________________
આવશ્યકી સામાચારી | ગાથા : ૩૯
૨૧૭
થવાનો સંભવ નથી. તેથી વસતિની બહાર જતી વખતે પૂર્વમાં કોઈ અનાભોગાદિથી સંયમની વિરુદ્ધ પ્રવૃત્તિ નથી, જેના પરિહાર માટે નૈષધિકી પ્રયોગ કરવાની જરૂર રહે; કેમ કે બહાર જતાં પહેલાં સંવૃત ગાત્રવાળા હોવાથી સાધુને સંયમમાં અનાભોગાદિ ન હતા કે જે અનાભોગાદિ દોષોની ગમનકાળમાં અનુવૃત્તિ રહે, જેના પરિહાર માટે ‘નૈષધિકી’ પ્રયોગની આવશ્યકતા રહે. પરંતુ ‘હું અવશ્ય કાર્ય માટે જાઉં છું,’ તેથી અવશ્ય કાર્યની શું યતના છે તેની સ્મૃતિ અર્થે, ‘આવશ્યકી’ પ્રયોગથી અવશ્ય કાર્યને યતનાપૂર્વક કરવાની પ્રતિજ્ઞા થાય છે, જેના બળથી તે અવશ્ય કાર્ય યતનાથી થાય અને તે રીતે પ્રવૃત્તિ થાય તો નિર્જરાની પણ પ્રાપ્તિ થાય. માટે આવશ્યકીના સ્થળે આવશ્યકી પ્રયોગ થાય, પરંતુ નૈષધિકી પ્રયોગ ન થાય.
અહીં પૂર્વમાં સ્થાપન કર્યું કે, આવશ્યકી સ્થળે નૈષધિકી પ્રયોગ થઈ શકે નહિ. તે જ રીતે નૈષધિકી સ્થળે આવશ્યકી પણ કરી શકાય નહિ. તેમાં યુક્તિ બતાવે છે કે, ગોચરી આદિથી પાછા ફરીને જ્યારે સાધુ ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે, ત્યારે ઉપાશ્રયમાં રહીને આવશ્યકી ક્રિયાનો વ્યાપાર હોવા છતાં પણ ઉત્તરકાળમાં=નૈષધિકી કરીને ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા પછી, વ્યાપારપરિત્યાગના અભિપ્રાયથી ‘નૈષધિકી’ શબ્દનો પ્રયોગ છે અને તે વ્યાપારત્યાગના અભિપ્રાયનો નિર્વાહ આવશ્યકી પ્રયોગથી થઈ શકે નહિ.
આશય એ છે કે ગોચરી આદિથી પાછા ફર્યા પછી પણ વસતિમાં સાધુએ મોક્ષને અનુકૂળ એવું અવશ્ય કાર્ય કરવાનું છે, તોપણ ઉપાશ્રયમાં પ્રવેશની પ્રવૃત્તિ કરતી વખતે સાધુનો એ અભિપ્રાય છે કે, ‘નૈષધિકી પ્રયોગ’ કરતાં પૂર્વમાં હું જે વ્યાપાર કરું છું, તેનો ‘નૈષધિકી પ્રયોગ’ કર્યા પછી મારે પરિત્યાગ કરવાનો છે, અને આ વ્યાપારત્યાગનો અભિપ્રાય ‘નૈષધિકી પ્રયોગ'થી નિર્વાહ થઈ શકે તેમ છે, પરંતુ આવશ્યકી પ્રયોગથી થઈ શકે નહિ. જોકે આવશ્યકી પ્રયોગકાળમાં જે વ્યાપાર હતો તે પણ નિર્જરાને અનુકૂળ હતો અને ‘નૈષધિકી પ્રયોગ' કર્યા પછી પણ સાધુઓ મોક્ષને અનુકૂળ જ કોઈક ક્રિયા કરવાના છે, તોપણ ‘નૈષધિકી પ્રયોગ' કર્યા પછી પૂર્વમાં કરાતી એવી કાયાની ચેષ્ટારૂપ વ્યાપારનો પરિત્યાગ કરવાનો છે, અને તે વ્યાપારના પરિત્યાગની બુદ્ધિ ‘નૈષેધિકી પ્રયોગ'થી થઈ શકે છે, આવશ્યકી પ્રયોગથી નહિ.
અહીં વિશેષ એ છે કે, ‘આવશ્યકી પ્રયોગ’ પણ અવશ્ય કાર્ય કરવા અર્થે છે, જે પાપવ્યાપારના નિષેધપૂર્વક અવશ્ય કાર્ય કરવા માટેની પ્રતિજ્ઞાસ્વરૂપ છે, અને ‘નૈષધિકી પ્રયોગ' પણ પાપવ્યાપારના નિષેધપૂર્વક અવશ્ય કાર્ય કરવા અર્થે છે; આમ છતાં વસતિથી અન્યત્ર ગમનાદિ ચેષ્ટા કરવાની હોય ત્યારે “હું અવશ્ય કાર્ય કરવા માટે જાઉં છું” એ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન કરીને અવશ્ય કાર્યથી અન્ય કાર્ય ન થાય તે માટે ‘આવશ્યકી પ્રયોગ’ થાય છે, અને વસતિમાં પાછા ફરતી વખતે કે ધ્યાન-અધ્યયનાદિ પ્રવૃત્તિ કરતી વખતે, પૂર્વમાં જે વ્યાપાર હતો, તેનો પણ સંકોચ કરીને પોતાને સંયમયોગમાં દૃઢ યત્ન કરવો છે, તદર્થે ‘નૈષધિકી પ્રયોગ’ છે. તેથી ‘આવશ્યકી’ અને ‘નૈષધિકી’ બંને પ્રયોગ એકાર્થવાચી હોવા છતાં કથંચિત ભિન્નાર્થવાચી પણ છે. તેથી ગમનક્રિયાને આશ્રયીને ‘આવશ્યકી પ્રયોગ' થાય છે અને અગમનક્રિયાને આશ્રયીને ‘નૈષધિકીનો પ્રયોગ’ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org