________________
૫૯
| વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન કુલનીતિધર્મવિંશિકા કોઇ જીવ મોક્ષને ઉદ્દેશીને ભૃગુપાતાદિ ક્રિયા કરે તો તેની તે ક્રિયા સાવદ્ય હોવા છતાં પણ તે ક્રિયા વિષયશુદ્ધઅનુષ્ઠાન કહેવાય છે, કારણ કે તેમાં મોક્ષનો આશય છે. આ વિષયશુદ્ધઅનુષ્ઠાન નિયમા ચરમાવર્તમાં જ હોય છે.
મોક્ષના આશયપૂર્વકનું યમ-નિયમાદિ સ્વરૂપ જે અનુષ્ઠાન છે તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. અન્યદર્શનમાં જે જીવો મોક્ષના આશયવાળા હોય અને પ્રજ્ઞાપનીય હોય છે, તેઓ જે યમ-નિયમ આદિની આચરણાઓ કરે છે તે સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાન કહેવાય છે. એવી જ રીતે જે જૈનદર્શનમાં હોય અને જૈનદર્શનનાં અનુષ્ઠાન કરતા હોય, પણ સૂક્ષ્મ બોધ નહીં હોવાના કારણે ગુરુ-લાઘવનો વિચાર નથી કરી શકતા, તેઓનું પણ અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાન છે.
અન્યદર્શનનાં અનુષ્ઠાનો પણ યમ-નિયમાદિ સ્વરૂપ તો હોય છે, પરંતુ તેઓના યમમાં વિશેષ પ્રકારનો વિવેક નહીં હોવાને કારણે તે અનુષ્ઠાન અનુબંધશુદ્ધ બનતું નથી. તેની જેમ જ જૈનદર્શનમાં કોઇ જીવ દ્વારા પણ જો દેશવિરતિ કે સર્વવિરતિની આચરણાઓ મોક્ષના આશયપૂર્વક કરાતી હોય, પરંતુ જો ત્યાં વિશેષ વિવેક ન હોય, તો તે અનુષ્ઠાનમાં અનુબંધ શુદ્ધિ થતી નથી. અને જેઓ સૂક્ષ્મ બોધવાળા છે, અનાભોગથી પણ ક્વચિત ભ્રમ થયો હોય તેવા સ્થાનમાં ગીતાર્થથી પ્રજ્ઞાપનીય હોય છે, અને ગુરુલાઘવનો વિચાર કરી ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે તેઓનું અનુષ્ઠાન અનુબંધશુદ્ધઅનુષ્ઠાન કહેવાય છે. અનુબંધશુદ્ધઅનુષ્ઠાન કરવાની ઇચ્છાવાળાઓને
ક્વચિત્ શાસ્ત્રનો શુદ્ધ બોધ ન હોય તો પણ, તેઓ ગીતાર્થને પરતંત્ર રહીને ગીતાર્થના બળથી ગુરુ-લાઘવનું ચિંતન કરી શકે છે.
અનુબંધશુદ્ધિ માટે વિશેષ વિવેકની અપેક્ષા રહે છે. અનુબંધશુદ્ધઅનુષ્ઠાન કરનાર જીવ તે અનુષ્ઠાનના સ્વરૂપને જાણે, તે અનુષ્ઠાનથી નિષ્પાદ્ય ભાવો કઈ રીતે ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને મોક્ષ સાથે સંલગ્ન છે તે જાણે, અને તે પ્રકારનું જ્ઞાન કરીને તે જ પ્રકારે કરવાની રુચિ તેનામાં પેદા થાય, ત્યારપછી તે જ પ્રકારે તે અનુષ્ઠાન સેવવા માટે તે યત્ન કરે, અને સેવ્યા પછી તે અનુષ્ઠાનમાં થયેલી બાહ્ય આચારવિષયક કે માનસ યત્નવિષયક કે માનસ યત્નને લક્ષ્ય સાથે જોડવા વિષયક કોઈ સ્કૂલના થઈ હોય તો તેનું સ્મરણ કરીને તેની જુગુપ્સા કરે, અને ઉત્તરોત્તરના અનુષ્ઠાનોમાં તે સ્કૂલનાના નિવારણ માટે યત્ન કરે, તો તેનું અનુષ્ઠાન અનુબંધશુદ્ધઅનુષ્ઠાન બને. અન્યદર્શનોના અનુષ્ઠાનોમાં તેવો વિવેક નહીં હોવાને કારણે તેમનાં અનુષ્ઠાનો અનુબંધ શુદ્ધ બની શકે નહીં અને જૈનદર્શનના અનુષ્ઠાનમાં પણ તેવો જાણવાનો અને આચરવાનો યત્ન ન હોય તો જૈનદર્શનનાં અનુષ્ઠાન પણ અનુબંધ શુદ્ધ બની શકે નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org