________________
7 અનાદિવિશિકા ઈ
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૨૬
* અહીં ‘તસ્સ વ=લોકની જેમ' એ શબ્દ દ્વારા એમ કહેવું છે કે પહેલી ગાથામાં જે રીતે લોકને અનાદિમાન બતાવ્યો તેની જેમ લોકવર્તી પાંચે પદાર્થો અનાદિમાન છે. ‘તસ્સ’ શબ્દથી કોઈ ઈશ્વરનો પરામર્શ કરવાનો પ્રયત્ન કરે, પરંતુ તે સાતમી ગાથાના કથન સાથે સંગત થતું નથી. તેથી પહેલી ગાથામાં સર્વજ્ઞના વચનથી લોકને અનાદિરૂપે સ્થાપન કર્યો, તે લોકના દૃષ્ટાંતથી લોકઅંતર્વર્તી પાંચે પદાર્થો લોકની જેમ અનાદિ છે તે બતાવવા માટે જ ‘તસ્સ વ’નો પ્રયોગ છે.
ભાવાર્થ :
કોઇ પણ કાર્ય કરવા પાછળ કર્તાનું કોઇ પ્રયોજન હોય ત્યારે જ કર્તા તે કાર્ય કરે છે. ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થોનું નિર્માણ કરવા માટે પણ પરમપુરુષને કોઇ પ્રયોજન હોય તો પરમપુરુષે ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થોનું નિર્માણ કર્યું છે એવું માની શકાય. પરંતુ ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થોનું નિર્માણ કરવા પરમપુરુષને કોઈ પ્રયોજન નથી, કેમ કે પરમપુરુષ વીતરાગ છે તેથી તેને બાહ્ય જગતના નિર્માણનું પ્રયોજન હોઇ શકે નહીં. માટે પરમપુરુષે પંચાસ્તિકાયનું નિર્માણ કર્યું છે એવું માની શકાય નહીં. અને જો પરમપુરુષને પ્રયોજન છે એમ ‘“તુષ્યતો સુર્ખનન્યાયેન'' સ્વીકારી લઇએ તો પણ જેમ ઘટાદિ દરેક કાર્ય માટી આદિ ઉપાદાન કારણમાંથી જ બને છે, તેમ ધર્માસ્તિકાયાદિનું નિર્માણ કરવા માટે પણ ઉપાદાનકારણરૂપ દળ જોઇએ, અને પરમપુરુષથી આ જગત કરાયેલ સ્વીકારીએ તો પહેલાં શૂન્ય હતું તેમ માનવું પડે અને તેમ માનીએ તો દળનું અસ્તિત્વ પહેલાં નહોતું તેમ માનવું પડે, અને ઉપાદાન કારણ વગર કાર્ય થઇ શકે નહીં તેથી પણ ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો પરમપુરુષથી કરાયેલ છે એવું માની શકાય નહીં.
પરમપુરુષથી કરાયા નથી તો પછી ધર્માસ્તિકાયાદિ કેવા છે તે બતાવવા માટે ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે કે, લોકની જેમ ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો પણ તે તે સ્વભાવથી અનાદિ છે. પહેલી ગાથામાં બતાવ્યું હતું કે વચનના પ્રમાણથી આ લોક અનાદિ છે, તેથી તેના દષ્ટાંત દ્વારા હવે બતાવે છે કે તેની જેમ તે તે સ્વભાવપણાથી ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો પણ અનાદિ છે, અર્થાત્ જીવ ચૈતન્ય સ્વરૂપે અને તે તે રૂપે પરિણમન પામવાના સ્વભાવરૂપે અનાદિ છે, પુદ્ગલ પણ જડ સ્વરૂપે અને તે તે રૂપે પરિણમન પામવાના સ્વભાવરૂપે અનાદિ છે અને તે રીતે આકાશાદિ દ્રવ્યો પણ અનાદિ જાણવાં.૨-૬॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org