________________
૨૯૮
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ જે માબાપ સંતાનોને ધર્મના સંસ્કાર નથી આપતાં તે કસાઈ કરતાં પણ વધારે ખરાબ છે :
તમારા માટે પણ શાસ્ત્રમાં કહ્યું છે કે જે મા-બાપ પોતાનાં સંતાનોને ધર્મના સંસ્કાર નથી આપતાં, તેમના આલોક-પરલોકની હિતચિંતા નથી કરતાં અને પાપમાં જ પાવરધાં કરે છે, તે મા-બાપ કસાઈ કરતાં પણ વધારે ખરાબ છે.
સભા : સંતાનો માનતાં જ નથી, શું કરીએ ?
સાહેબજીઃ જન્મ આપ્યો અને નાનાં હતાં ત્યારે માનતાં હતાં પરંતુ ત્યારે કેળવ્યા નહીં, ખોટાં લાડ કર્યા. નાનપણથી બરાબર ઘડતર કર્યું હોય છતાં અયોગ્ય પાકે તો તમારી જવાબદારી ન આવે. પણ ઘડતર કરવા મહેનત જ ન કરી હોય અને તેથી તેમનું જીવન બગડે તો તમારી જવાબદારી આવે જ. જિનાજ્ઞા પ્રમાણે ઘડતર કરવા પ્રયત્ન કર્યો હોય તો તમારી જવાબદારી નથી.
સભા : પહેલાં આવી સમજ નહોતી, અને હવે છોકરાંઓ માનતાં નથી, તો વચલો રસ્તો ખરો ?
સાહેબજી : શાસ્ત્રમાં લખ્યું કે શ્રાવકે સંસાર માંડતાં પહેલાં ગૃહસ્થ તરીકેની મારી જવાબદારી શું તે સમજવાનું છે. ન સમજ્યા અને એમ ને એમ ઝંપલાવ્યું હોય તો ફળ ભોગવવું પડે. કાલે અબૂઝ દીકરાને દુકાને બેસાડો અને પેલો ઊંધું મારીને આવે, અને પછી કહે કે “મને ખબર નથી એટલે આમ થઈ ગયું તો ફળ ન ભોગવવું પડે ?
સભા : અમે સંતાનોની આલોકની ચિંતા કરીએ છીએ.
સાહેબજી : આલોકની પણ હિતચિંતા નથી કરતા. શાસ્ત્રો કહે છે કે મા-બાપે સંતાનોની ભૌતિક અને આત્મિક એમ બંને પ્રકારે હિતચિંતા કરવાની છે. આર્યપરંપરામાં મા-બાપ બનવું એટલે મોટી જવાબદારી છે. આ અનાર્ય દેશ નથી. આપણા આચાર-કર્તવ્યો બધું જુદું છે. જે શાસ્ત્રો મા-બાપને પણ આટલું કડકાઈથી કહે તો ગુરુને કર્તવ્ય ચૂકે તો ન કહે ? તેથી શાસ્ત્રમાં જે કહ્યું છે કે “જે ગચ્છ જિનાજ્ઞાનો ભંજક છે, જ્યાં જિનાજ્ઞા છે જ નહીં, તે ગચ્છ તો સાધુના વેશમાં રહેલા ચોરોની પલ્લી છે” તે ભાવાર્થથી ઉચિત જ છે.
સંક્ષેપમાં સાર એ છે કે જ્યાં ઉપરનાં બે તીર્થનું અનુશાસન નથી તેવા ગચ્છને ગચ્છ સમજવાનો નથી. આ બંનેનું સેવન છે તે ગચ્છ જ ગચ્છ છે. ગચ્છોનો સમૂહ તે કુલ અને કુલોનો સમૂહ તે ગણ. તેની સાથે દરેક ગચ્છના સાધ્વી-શ્રાવક-શ્રાવિકા પણ આવી જાય. એટલે આખો જિનાજ્ઞાનુસારી સંઘ થયો, જેમાં બધા ભગવાનની આજ્ઞામાં છે. તમે જિનાજ્ઞા સીધી ન સમજી શકો તો સદ્ગુરુઓ પાસેથી જાણો, સમજો અને તેને અનુસરવા સમર્પિત બનો. સમર્પિત થયેલાને ઉપદેશ કરવાની અને પાલન કરાવવાની જવાબદારી ગીતાર્થના માથે છે. આ પરિપ્રેક્ષ્યમાં વિચારો તો શ્રીસંઘનું સભ્યપદ તમારી પાસે છે કે નહીં તે તમારી જાતે નક્કી કરી લેજો. મારે કોઈને કેન્સલ પણ નથી કરવા અને કોઈને પ્રવેશપત્ર પણ નથી આપવું, માત્ર શાસ્ત્રનું ધોરણ બતાવવું છે કે આવા હોય તે જ સંઘમાં આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org