________________
૨૫૮
ભાવતીર્થ - દ્વાદશાંગી સાહેબજીઃ જાણીબૂઝીને આગમાં કૂદે તે નક્કી કરવાનો છે. સંસારનાં બધાં સત્યો આપણે સમજી ગયા છીએ તેવું નથી. આપણી બુદ્ધિ બિંદુ જેટલું જ્ઞાન માંડ ગ્રહણ કરી શકે છે. આપણને જેટલું જ્ઞાન છે તેના કરતાં અનંત ગણું અજ્ઞાન છે. છતાં મગજમાં ખોટી રાઈ રાખીએ તેનો કોઈ મતલબ નથી. એક નિર્ણય રાખવો કે મને સ્વયં તત્ત્વ સ્ફરતું નથી. તેને જાણવા-વિચારવા-સમજવા માટે પૂર્ણજ્ઞાનીના વચનનું અવલંબન લેવું પડે છે. તેનાથી કાંઈક થોડું સમજી શકું છું. તેમાં જેટલું ખાતરીપૂર્વક સમજાય એટલું બોલવું, જ્યાં ન સમજાય તો કહેવું કે હું જાણતો નથી. બધું જ જાણું છું તેવો દાવો કદી રાખવો નહીં. આવા જીવને કદાચ અજ્ઞાનતાથી ભૂલચૂક રૂપે શાસ્ત્રવિરુદ્ધ બોલાઈ જાય તો પણ મોટું નુકસાન ન થાય; કેમ કે તે સમજાય તો ભૂલમાંથી પાછો ફરવા તૈયાર છે, પોતાની વાત બીજાને ઠોકી બેસાડવાનો સ્વભાવ નથી. પ્રાયઃ તેનાથી ખોટો માર્ગ ચાલવાની શક્યતા ઓછી છે. પણ જે પોતાની વાતને મારી-મચડીને સાચી કરે, શાસ્ત્રવચન સમજે નહીં, સમજે તો પણ twist કરે-મરડે, તે ચોક્કસ મરવાનો છે; કેમ કે તીર્થંકર અને તીર્થકરે સ્થાપેલા માર્ગ દ્વારા જ જગતમાં એકમાત્ર સન્માર્ગની પ્રાપ્તિ થાય છે. તેમાં વિચ્છેદ-અંતરાય કરનાર, ખોટો બુદ્ધિભેદ કરી લોકોને ભ્રમમાં નાંખનાર, પોતે તરતો નથી અને બીજાને તરવા દેતો નથી; ઊલટું તરવા આવેલા જીવને ટાંટિયા ખેંચીને પછાડનાર છે. આવા જીવોને શાસ્ત્રો જ ડૂબવાનું સાધન બને છે, ઘોર સંસારવૃદ્ધિનું કારણ બને છે. તારક તીર્થસ્વરૂપ દ્વાદશાંગીની આશાતના મહાપાપ છે. અરે ! એક જીવને પણ સાચો કલ્યાણનો માર્ગ બતાવવા જેવો શ્રેષ્ઠ કોઈ પરોપકાર નથી. તેમ એક જીવને સાચા કલ્યાણના માર્ગથી ૨ખડાવો કે વંચિત કરવો તે પણ મહાપાપ છે. તો અસંખ્યને સાચા માર્ગની પ્રાપ્તિનું સાધન એવી દ્વાદશાંગીને સૂત્ર-અર્થથી વિકૃત કરી, પરંપરાએ અનેક પાત્ર જીવોને સન્માર્ગથી વંચિત કરવા, તેના જેવું મહાપાપ કોઈ નથી. પૂ. આનંદઘનજી મહારાજાએ ચૌદમા અનંતનાથસ્વામીના સ્તવનમાં લખ્યું કે
પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ જિચું, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો.
મહાપાપ અંગેની તમારી સમજણ કરતાં આનંદઘનજી મહારાજનો અભિપ્રાય જુદો છે. તમારી બુદ્ધિમાં ઘોર પાપી તરીકે ગુંડા-બદમાશ-ચોર-લૂંટારા-ખૂનીઓ-વ્યભિચારીઓ-કસાઈઓ-વ્યસનીઓ આવે છે. તમને આવાં ક્રૂર કર્મ કરનાર મહા દુષ્ટ લાગે. જ્યારે આનંદઘનજી મહારાજ કહે છે કે આ દુનિયામાં ઉસૂત્રભાષણથી મોટું કોઈ પાપ નથી. ઉપર કહ્યાં તે બધાં પાપને નાનાં બનાવી આપે કે વટાવી જાય તેવું મહાપાપ ઉસૂત્રભાષણને કહ્યું. વળી, ધર્મશાસ્ત્ર અનુસારી ઉપદેશને શ્રેષ્ઠ કહ્યો. આ દુનિયામાં જીવમાત્રને કલ્યાણનો સાચો માર્ગ બતાવે તે રીતે જિનવચન સમજાવવું તેનાથી ઊંચો કોઈ ધર્મ નથી. આ આનંદઘનજી મહારાજનો અભિપ્રાય તમારી બુદ્ધિમાં બેસી જાય તો તમારા જીવનમાં દૃષ્ટિકોણ ફરી જાય, જીવનમાં જિનવચનથી વિરુદ્ધ ન બોલાય તેની અત્યંત સાવધાની આપમેળે આવી જાય. જિનવચનથી વિરુદ્ધ એક વચન પણ બોલવું તે મહા અપરાધ છે. તેથી ગમે તેવા ધુરંધર જ્ઞાની હોય પણ એક સૂત્રનો અપલાપ કરે તો તેમને જૈનસંઘની બહાર મૂક્યાના દાખલા છે. દ્વાદશાંગી સૂત્ર, અર્થ અને તદુભયરૂપ કહી છે. આખું સૂત્રમય દ્વાદશાંગીનું કદ તે સૂત્રાત્મક દ્વાદશાંગી છે. તેમાંથી એક પણ સૂત્રનો અસ્વીકાર કરે તો તેણે સૂત્રરૂપ દ્વાદશાંગીનો અપલાપ કર્યો કહેવાય કોઈ સૂત્ર સ્વીકારે, પણ તેનો અર્થ ન સ્વીકારે તો તેણે અર્થરૂપ દ્વાદશાંગીનો અપલાપ કર્યો કહેવાય. અને જે સૂત્ર-અર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org