________________
૧૨૪
ધર્મતીર્થની વ્યાખ્યા સંન્યાસી પણ આ કક્ષામાં કહેવાય. અમે ગામડામાં વિહાર કરીને જઈએ ત્યારે ત્યાંના અબૂઝ લોકો પણ કહે કે “સાહેબ ! સાધુ થવું હોય તો સ્વામીનારાયણ સંપ્રદાયના થવું; કારણ કે એકલી લહેર કરવાની. ભક્તો પગ ઘસે પણ સંન્યાસી મોટર વગર પગ ન મૂકે. રહેવા બંગલો કે ફ્લેટ હોય, સાથે air condition-એર કંડીશન હોય, મોટા સંન્યાસીઓ તો પ્લેનમાં ઊડતા હોય, મરતાં સુધી કમાવાની ચિંતા નહીં, બેન્ક બેલેન્સ પણ સારું હોય.” આ વાસ્તવિકતા છે. તેમને ઉતારી પાડવાની વાત નથી, નિંદા તરીકે વર્ણન નથી. પણ તત્ત્વ સમજવા વિચારવાનું છે કે જે ધર્મમાં આવા ઇન્દ્રિયોને અનુકૂળ આચાર-વિચારને ધર્મ કહ્યો છે, જ્યાં અનુષ્ઠાન બહુ સુંવાળું હોય, તે ધર્મઅનુષ્ઠાન દ્વારા કષાયોનો વિજય, વિષય-વિકારોનો ક્ષય કે મન-વચન-કાયાની શુદ્ધિ બહુ સંભવિત ન હોય. તેથી તેવો ધર્મ સ્વીકારવો પણ સુગમ; ઉપરાંત તેમાં કોઈ વિશેષ આત્મિક અનુભૂતિ કે સચોટ તત્ત્વદર્શન ન હોવાથી તેની સાથે અત્યંત આત્મીયતા પણ ન બંધાય, તેથી તેનો ત્યાગ પણ સુગમ. આવા ધર્મમાર્ગને પ્રથમ પ્રકારમાં મૂકે છે. દુનિયાના દરેક ધર્મો પોતપોતાના અનુયાયીઓને આત્માના ઉત્થાનનો માર્ગ બતાવે છે, પરંતુ જે ધર્મમાં તપ-ત્યાગ ઓછાં હોય, વિકારોનો નાશ અલ્પ હોય, ઊલટું વિકારોનું પોષણ હોય, દેહઇન્દ્રિયને અનુકૂળ વર્તન હોય તો તે ધર્મ સુખેથી સેવી શકાય તેવો હોય; અલ્પસત્ત્વવાળાને પણ તે ફાવે, અને તેનો ત્યાગ પણ સુલભ ગણાય.
વળી શૈવધર્મમાં લખ્યું છે કે સંન્યાસીને બાર વર્ષ પછી ઘરે પાછા આવવું હોય તો આવી શકાય, તેમાં પ્રતિજ્ઞાભંગનું મહાપાપ નથી, શાસ્ત્રોમાં તેની કોઈ ભારે નિંદા નથી. વળી સંન્યાસકાળમાં પણ સતત આરાધવા યોગ્ય યોગ ભક્તિયોગ જ કહ્યો છે, જે અતિદુષ્કર એવા ધ્યાનયોગની અપેક્ષાએ ઘણો સહેલો છે. બસ, ઈશ્વરની ધૂન લગાવો, શંકરનું નામ લો એટલે સર્વ પાપ ખપી જાય. માત્ર ઈશ્વરનામસ્મરણમાં જ ઉત્કૃષ્ટ તારતા કહી છે. તેનાથી આગળ કોઈ ઉગ્ર સાધના તે દર્શનમાં નથી. એટલે પ્રવેશ પણ સુગમ અને નિર્ગમ પણ સુગમ.
અહીં નિર્ગમ શબ્દના સંદર્ભથી પૂર્વધર મહર્ષિએ બે અર્થ કર્યા છે : તેમાં પ્રથમ અર્થ માર્ગનો ત્યાગ છે, જ્યારે બીજો અર્થ પાર પામી કાંઠે પહોંચવું તે છે. અત્યારે પહેલો અર્થ વિચારીએ છીએ, એટલે કે જે દર્શન અનુયાયીને સચોટ તત્ત્વની પ્રતીતિ કરાવવા દ્વારા હૃદયમાં સંવેદના જગાડે, તો તે ધર્મમાર્ગ પર સાધકને દઢ અનુરાગ બંધાય, જેથી તે માર્ગનો ત્યાગ કરવો તેને માટે દુષ્કર બને. પરંતુ શૈવદર્શન કે સ્વામીનારાયણ સંપ્રદાય આદિમાં આવું કશું નથી. માત્ર સંન્યાસીની ઓળખરૂપ ભગવાં વસ્ત્રો પહેરવાનાં, થોડા બાહ્ય આચાર પાળવાના અને ભગવાનનું નામસ્મરણ કરવાનું. વળી બાર વર્ષે ન ફાવે તો સંસારમાં પાછા આવવાની પણ છૂટ.
જે દર્શનોમાં તત્ત્વની સચોટ વાતો નથી અથવા જે સાંભળ્યા પછી તેના પર એવી આસ્થા બંધાય કે તેમાંથી બહાર નીકળવા મન તૈયાર ન થાય, તેવું જે દર્શનોમાં નથી; માત્ર સ્થૂલ સિદ્ધાંતો પ્રરૂપેલા છે, જેથી શરણે આવેલાને તેમાં અત્યંત પ્રીતિ ન થવાથી તેનો ત્યાગ મુશ્કેલ ન બને, એવા આ સુખાવતાર-સુખોત્તાર પહેલા પ્રકારના તીર્થની વાત થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org