SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ વાત તો એ છે કે જેમ જેમ સાધના કરો, તેમ તેમ ત્યાગનું, વૈરાગ્યનું, જ્ઞાનનું, શ્રદ્ધાનું, વિરતિનું, અનાસક્તિનું અને સંભાવનાનું બળ વધતું જાય છે અને એ જ મૂડી લઈને સાધક આગળ વધે છે. ચોથા ગુણસ્થાનકે જે બળ પ્રાપ્ત કર્યું છે, જે શક્તિ પ્રાપ્ત કરી છે એ મૂડી લઈને તેણે પાંચમા ગુણસ્થાને જવાનું છે. પાંચમા ગુણસ્થાને જે બળ પ્રાપ્ત કર્યું તે લઈને છ ગુણસ્થાને જવાનું છે. એ જ મૂડી વાપરવાની છે. એક અવસ્થા એવી આવી જાય છે કે અફાટ વીર્ય તેનામાં પ્રગટ થાય છે. જેમ દરિયો અફાટ છે અને તેમાં પ્રચંડ મોજાં વહે છે તેમ સાધકમાં સાધના કરતાં કરતાં પ્રચંડ મોજાં વહેતાં થાય છે. જરા ધીરજથી વાત ખ્યાલમાં લેજો. આ અંદરમાં બનતી ઘટના છે, આ અંદરની અવસ્થા છે. હવે શાસ્ત્રો એમ કહે છે તમે અમને પૂછો કે આ જે સાધના કરે છે તેનું તથા આત્માનું વર્ણન કરો ને? તો શાસ્ત્રો કહે છે અને તેનું વર્ણન કરી શકીએ તેમ નથી. પરમકૃપાળુ દેવના જ શબ્દો છે : “જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યાં નહીં પણ તે શ્રી ભગવાન જો', બહુ સ્પષ્ટ વાત કરી કે ખુદ ભગવાન પણ ન કહી શક્યા તો તમે શું કહેશો? કદાચ શાસ્ત્રો જાણમાં હોય અને વકતૃત્વ કળા-ઓરેટરી હોય, સરસ વ્યાખ્યાન કરતાં આવડતું હોય, ઉત્તમ રજુઆત હોય, સાચી રજુઆત કરતાં આવડતી હોય, તો ગર્વ કરવા જેવું નથી, કારણ? જે સત્ય છે તે તો અનંત છે, વિરાટ છે, અપૂર્વ અને અદ્ભુત છે, અનિર્વચનીય છે અને અવકૃતવ્ય છે. શબ્દોમાં લાવી શકાય તેવું નથી અને એટલા જ માટે કહીએ છીએ કે સર્વજ્ઞ પરમાત્મા બધું જ જાણે છે પણ જેટલું જાણે છે તેટલું કહી શક્યાં નથી, એટલા માટે કહી શક્યાં નથી કે વસ્તુ તત્ત્વ અનંત છે. અનંત તત્ત્વને શબ્દોમાં તમે કેવી રીતે લાવી શકો? સાધના કરતાં કરતાં સાધકમાં આત્મબળ વધે છે. જ્ઞાનનું બળ, વૈરાગ્યનું બળ, ત્યાગનું બળ, ધ્યાનનું બળ, સમતાનું બળ, અનાસક્તિનું બળ વગેરે બળ વધતાં જાય છે. જેમ જેમ બળ વધે છે તેમ તેમ એ બળ ઉપર પ્રાપ્ત થયેલી સાધનાની મૂડી લઈને સાધકને આગળ જવાનું છે. તેને તો ચૌદે ચૌદ ગુણસ્થાનકો વટાવવાના છે. તે માટે એની પાસે વિવેક જોઈશે કે આ ભૂમિકા ઉપર શું છોડવા જેવું છે. આ ભૂમિકા ઉપર શું બાધા થઈ શકે તેમ છે? શું અવરોધ આવી શકે તેમ છે? આ ભૂમિકા ઉપર શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે? અને કેવું સાધન કામમાં આવે એવું છે? આવો વિવેક જો પોતાની પાસે ન હોય તો તે શાસ્ત્રોને યથાર્થપણે સમજી શકશે નહિ. શાસ્ત્રો તો દરિયો છે. તેમાં અનેક પ્રકારની વાતો આવે છે. પરમકૃપાળુ દેવના આઠસો વચનામૃત છે. અનેક પડખાંઓથી, અનેક બાજુએથી તેમણે વાત કરી છે. શાસ્ત્રોમાં વિવિધ દૃષ્ટિકોણથી વાત કરી છે. એનો જો તાળો મેળવતાં ન આવડે તો અંદર મૂંઝવણ થશે, ગુંચવણ થશે અને કાં તો હઠાગ્રહમાં એ વાત પરિણમશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy