SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૮૯ જૈનદર્શનમાં આગમોના અર્થોને કહેનારી પરંપરાનું મૂળ એવા આદ્યપ્રરૂપક સર્વજ્ઞ ભગવાન છે, તેમ મીમાંસકમતમાં આગમોના અર્થોને કહેનારી પરંપરાનું મૂળ એવા આદ્યપ્રરૂપક કોઈ નથી. આથી મીમાંસકમત અનુસાર વેદવચનના અર્થનો કોઈક પુરુષે નિર્ણય કરેલ હોય અને તે પુરુષથી કહેવાયેલા તે અર્થની સાથે એકવાક્યતાથી જોડાયેલ હોય, તેવા પ્રકારના ગુરુપરંપરાના વચનનો અસંભવ છે; જ્યારે જૈનદર્શન અનુસાર આગમોના અર્થનો સર્વશે નિર્ણય કરેલ છે અને તે સર્વજ્ઞથી કહેવાયેલા તે અર્થની સાથે એકવાક્યતાથી જોડાયેલ હોય, તેવા પ્રકારના ગુરુપરંપરાના વચનનો સંભવ છે; કેમ કે જૈનમતમાં સર્વશે જે અર્થનું પ્રકાશન કર્યું છે, તે જ અર્થ ગુરુપરંપરાથી વર્તમાનમાં પ્રાપ્ત થાય છે; જ્યારે મીમાંસકમતમાં વેદ અપૌરુષેય હોવાથી ગુરુપરંપરા જ પ્રાપ્ત થતી નથી. ટીકામાં “કથિતઆગમપ્રયોગગુરુસંપ્રદાયભાવ'ને “પ્રવૃત્તિના અંગભૂત” અને “શુભ' એવું વિશેષણ આપ્યું તેનું તાત્પર્ય એ છે કે, કોઈક પુરુષથી કહેવાયેલા આગમોના અર્થને કહેનારો ગુરુસંપ્રદાયનો ભાવ, વચનનો અર્થ કરવામાં અને તે અર્થઅનુસાર પ્રવૃત્તિ કરવામાં અંગભૂત છે=કારણભૂત છે, અને શુભ છે; કેમ કે તે અર્થ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મહિત થાય છે, અને તેવો પ્રવૃત્તિના અંગભૂત ગુરુસંપ્રદાયનો ભાવ જૈનમતમાં ઘટે છે, મીમાંસકમતમાં ઘટતો નથી. માટે જૈનમતના વચન અનુસાર પ્રવૃત્તિ કરવાથી આત્મહિત થઈ શકે, પરંતુ મીમાંસકમતના વચનઅનુસાર પ્રવૃત્તિ કરવાથી આત્મહિત થઈ શકે નહીં. અહીં વિશેષ એ છે કે, જૈનદર્શન પ્રમાણે તીર્થકરો કેવલજ્ઞાન પામ્યા પછી જગતના તમામ પદાર્થો કેવલજ્ઞાનથી સાક્ષાત્ જુવે છે, અને જોઈને પટુ બુદ્ધિવાળા ગણધરો આગળ ત્રિપદી આપવા દ્વારા તે સર્વ પદાર્થોનું યથાર્થ પ્રકાશન કરે છે, તેમ જ તીર્થંકરે પ્રકાશન કરેલા અર્થોનો બોધ થયા પછી, ગણધરો તે અર્થોને સામે રાખીને દ્વાદશાંગીરૂપ સૂત્રોની રચના કરે છે; વળી સૂત્રો હંમેશા સૂચનાત્મક હોય છે, તેથી તે સૂત્રોના અર્થોનો બોધ માત્ર સૂત્રોના જ્ઞાનથી થઈ શકતો નથી, પરંતુ ગુરુપરંપરાથી સૂત્રોના અર્થો ગ્રહણ કરવાથી થઈ શકે છે. આથી જ આર્ય સ્થૂલિભદ્રજીને ગુરુએ ૧૪ પૂર્વોમાંથી છેલ્લા ચાર પૂર્વો, માત્ર સૂત્રથી આપ્યા પરંતુ અર્થથી ન આપ્યા તો, તેઓને તે સૂત્રોના તાત્પર્યનો બોધ થઈ શક્યો નહીં. આમ, તીર્થકરે આપેલ અર્થોના સૂચનરૂપે ગણધરો જે સૂત્રો રચે છે, તે સૂત્રો ગણધરો પોતાના શિષ્યોને ભણાવે છે અને સાથે તીર્થકર પાસેથી પોતે ગ્રહણ કરેલ અર્થો બતાવે છે, તેમ જ તે શિષ્યો પણ ઉત્તરોત્તર પોતાની શિષ્ય પરંપરામાં તે સૂત્રોના અર્થો તે રીતે જ બતાવે છે, આથી જૈનદર્શનમાં સૂત્રોના અર્થો સર્વજ્ઞવચનમૂલક ગુરુસંપ્રદાયથી પ્રાપ્ત થયા હોવાથી તે ગુરુસંપ્રદાયનો સદ્ભાવ તે અર્થોના નિર્ણયની પ્રવૃત્તિના અંગભૂત ઘટે છે, વળી, જયારે કાળની હાનિ થવાથી આ સૂત્રોના અર્થો ભાવિ શિષ્ય પરંપરાને પ્રાપ્ત થવા દુર્લભ જણાયા, ત્યારે પૂર્વઋષિઓએ ગુરુપરંપરાથી પોતાને પ્રાપ્ત થયેલા સૂત્રોના અર્થોને સામે રાખીને તે તે સૂત્રો પર ભાષ્ય, નિયુક્તિ, ચૂર્ણ, ટીકા આદિ રચ્યા, જેથી તે ભાષ્યાદિના બળથી ભાવિ શિષ્ય પરંપરાને તે તે સૂત્રોના અર્થો યથાર્થ પ્રાપ્ત થાય. આથી વર્તમાનમાં કેટલાક સૂત્રોના અર્થો સાક્ષાત્ સર્વજ્ઞવચનના ઉલ્લેખરૂપ પરંપરાથી પ્રાપ્ત થતા ન દેખાતા હોય, તોપણ, પૂર્વઋષિઓએ જે સૂત્રો પર ભાષ્યાદિની રચના કરી છે, તે સર્વ રચના ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલા અર્થ અનુસાર છે. આથી જૈનદર્શનમાં સર્વજ્ઞકથિત આગમના પ્રયોગથી પ્રાપ્ત થયેલી ગુરુપરંપરાનો ભાવ ઘટે છે, જયારે મીમાંસકમતમાં ગુરુપરંપરાનો સંભવ નથી, માટે વેદવચનથી કોઈ વસ્તુમાં અર્થનો નિર્ણય થઈ શકતો નથી. ૧૨૮૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy