________________
૯૮
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૨૪ મોહનીયકર્મ સર્વ કર્મોમાં પ્રધાન છે, અને જયાં સુધી જીવ અનિવૃત્તિબાદરગુણસ્થાનક પામે નહીં, ત્યાં સુધી દોષોનો સંભવ રહે છે, તે આ રીતે
ક્ષપકશ્રેણિમાં ત્રીજા અનિવૃત્તિકરણથી જીવ મોહનીયકર્મનો સંપૂર્ણ નાશ કરે છે, અને તે અનિવૃત્તિકરણ નવમા ગુણસ્થાનકે પ્રગટ થાય છે, અને ક્ષપકશ્રેણિમાં પ્રગટ થયેલું તે અનિવૃત્તિકરણ અવશ્ય કર્મોનો નાશ કરીને નિવર્તન પામે છે, તેથી નવમાં ગુણસ્થાનકને અનિવૃત્તિકરણ ગુણસ્થાનક કહેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે અનિવૃત્તિકરણની પ્રાપ્તિ પૂર્વે દોષો પેદા કરાવી શકે તેવા કર્મો આત્મા પર વિદ્યમાન હોય છે, તેથી અનિવૃત્તિકરણ પ્રાપ્ત કર્યું નથી તેવા જીવોને દોષો થવાનો સંભવ રહે છે. માટે સંભાવનીય દોષોવાળા જીવોને દીક્ષા ન અપાય, એમ કહેવાથી, અનિવૃત્તિકરણ નામના નવમાં ગુણસ્થાનકની પ્રાપ્તિ પૂર્વે કોઈ જીવને દીક્ષા આપી શકાય નહીં, તેમ જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે માનવાની આપત્તિ આવે; અને ઉપશમશ્રેણી દ્વારા અગિયારમા ગુણસ્થાનકે જઈ આવેલા જીવને પણ મોહના ઉદયથી દોષો થઈ શકે છે, માટે ઉપશાંતમોહ ગુણસ્થાનકવાળા જીવને પણ દીક્ષા આપી શકાય નહીં.
વળી, અન્યદર્શનની પરિભાષા પ્રમાણે આનંદશક્તિના અનુભવથી અણિમા, ગરિમાદિ લબ્ધિઓ પ્રગટ થાય, ત્યારપછી જીવમાં દોષોનો સંભવ રહેતો નથી, તેથી અન્યના મત પ્રમાણે પણ અણિમા વગેરે લબ્ધિઓની પ્રાપ્તિ પહેલાં દીક્ષા આપી શકાય નહીં.
વળી, ઉપરમાં કહ્યું એમ સ્વીકારી લેવામાં આવે તો એ પ્રશ્ન થાય કે, દ્રવ્યદીક્ષા ગ્રહણ કર્યા વગર પ્રાયઃ કરીને કોઈ જીવને અનિવૃત્તિબાદરગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી, અને અનિવૃત્તિ બાદરગુણસ્થાનક પ્રાપ્ત થયા વગર કોઈ જીવ દીક્ષાનો અધિકારી થાય નહીં; તેથી સંભાવનીય દોષોને આશ્રયીને અભુક્તભોગીને દીક્ષા ન જ અપાય તેમ કહેવું અત્યંત અસંબદ્ધ છે; કેમ કે સંભાવનીય દોષોને આશ્રયીને અભુક્તભોગીને દીક્ષા માટે અયોગ્ય સ્વીકારીએ તો, જયાં સુધી નવમું ગુણસ્થાનક પામે નહીં ત્યાં સુધી કોઈ જીવ દીક્ષાનો અધિકારી બને નહીં, અને જીવ દીક્ષા ગ્રહણ કરે નહીં ત્યાં સુધી પ્રાયઃ કરીને નવમું ગુણસ્થાનક આવે નહીં, તેવો અન્યોન્યાશ્રયદોષ પ્રાપ્ત થાય છે. માટે આ કથન અત્યંત વિષમ છે. તેથી પૂર્વે બતાવેલા દીક્ષાયોગ્ય ૧૬ ગુણોવાળા જીવોને દીક્ષા આપવાનો નિષેધ કરી શકાય નહીં.
અહીં “પ્રાયઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે મોક્ષમાં જનારા મોટા ભાગના જીવો ચરમ ભવમાં સંયમના પાલન દ્વારા ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે છે; તો કેટલાક જીવો ગૃહસ્થલિંગમાં પણ ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે છે, પરંતુ તેઓએ પ્રાય: કરીને પૂર્વભવમાં તો દ્રવ્યદીક્ષા ગ્રહણ કરી હોય છે. તેથી ક્ષપકશ્રેણિની પ્રાપ્તિમાં દ્રવ્યદીક્ષા અતિઉપકારક છે, છતાં મરુદેવીમાતા જેવા કોઈક જીવને સર્વથા દ્રવ્યદીક્ષા વગર પણ ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થઈ શકે છે, તે પ્રાયઃ શબ્દથી ગ્રહણ થાય છે.
વળી, અન્યદર્શનવાળા પણ પ્રાયઃ કરીને દ્રવ્યદીક્ષાથી અણિમાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમ માને છે. આથી તેઓ કહે છે કે અત્યંત નહીં પામેલા કલ્યાણવાળો પણ જીવ કલ્યાણને પામ્યો, અર્થાત્ કોઈ ભવમાં સંયમ ગ્રહણ કરેલ નહીં હોવા છતાં અણિમાદિ લબ્ધિને પામ્યો. તેથી મરુદેવી માતા જેવા કોઈક જીવને છોડીને દ્રવ્યદીક્ષા વગર મોક્ષરૂપ કલ્યાણ પામી શકાતું નથી, માટે દોષોની સંભાવનામાત્રને આશ્રયીને દીક્ષા આપવાનો નિષેધ કરવો અનુચિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org