________________
૨૬
[26].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ-૧
હોય. સાંજના ચાર વાગ્યા પછી રોજ નિયમિત તેઓ નજીકના કોઈક ઉપાશ્રયે જઈને કોઈક સાધુભગવંત સાથે જ્ઞાનગોષ્ઠી કરતા અથવા કોઈ ગ્રંથાલયમાં જઈ ગ્રંથો વાંચતા. આ રીતે એમનો દિવસ પૂરો થતો. તેઓ રાતના વહેલા સૂઈ જતા. ઉજાગરો ભાગ્યે જ કરતા. નાટક-સિનેમા જોતા નહિ અને સગાસંબંધીઓને ત્યાં અનિવાર્ય હોય તો જ જતા.
હીરાલાલભાઈને વિદ્યાવ્યાસંગની એટલી બધી ધૂન હતી કે કેટલીક વાર તો તેઓ એમાં જ ખોવાયેલા રહેતા. ગણિતના વિદ્યાર્થી અને અધ્યાપકને જ્યાં સુધી કોઈ દાખલાનો જવાબ ન જડે ત્યાં સુધી એ દાખલો એમના મનમાં રમ્યા જ કરતો હોય તેવું હીરાલાલભાઈના જીવનમાં પહેલાં ગણિતમાં અને પછી સાહિત્ય સંશોધનના વિષયમાં પણ બનતું. તેઓ ખાતા હોય ત્યારે ખબર ન હોય કે ભાણામાં શું પીરસાયું છે. એમને ન્હાવું હોય તો ઇન્દિરાબહેન બાથરૂમમાં પાણી, સાબુ, ટુવાલ, કપડાં વગેરેની બધી તૈયારી કરી આપે ત્યારે હીરાલાલભાઈ સ્નાન કરે. આ રીતે પોતાના ધૂની લેખક પતિની ઘણી જવાબદારી ઇન્દિરાબહેને સ્વેચ્છાપૂર્વક હોંશથી ઉપાડી લીધી હતી. લેખનકાર્યમાં પણ ઇન્દિરાબહેને પુસ્તકો ગોઠવવાં, લેખોની ફાઈલો રાખવી વગેરે ઘણી મદદ જીવનભર હીરાલાલભાઈને કરી હતી અને ઓછી આવક થઈ ગઈ ત્યારે પણ ઘર સારી રીતે સંભાળી લીધું હતું. એમણે એક ભારતીય સન્નારીનો આદર્શ પૂરો પાડ્યો હતો.
નિવૃત્તિનાં વર્ષોમાં આર્થિક સંજોગોને કારણે હીરાલાલભાઈમાં કેટલીક વ્યાવહારિક સ્પષ્ટતા આવી ગઈ હતી. એક વખત હું મારા એક પત્રકાર મિત્ર સાથે સૂરતમાં એમને ઘરે મળવા ગયો હતો. મેં મારા પત્રકાર મિત્રનો પરિચય કરાવ્યો. પછી પત્રકાર મિત્રે પોતાના સામયિકની એક નકલ એમને આપી. નકલ જોઈ લીધા પછી એમણે એ પત્રકાર મિત્રને પાછી આપી. પત્રકારે કહ્યું, આપ રાખો, આપને માટે એ ભેટ નકલ છે. હીરાલાલભાઈએ કહ્યું, “ભેટનકલ પણ હું રાખતો નથી. મને એવા અનુભવો થયા છે કે ચાર છ મહિના સામયિક ભેટ તરીકે મોકલ્યા પછી પત્રકારો તરફથી લવાજમ ભરવા માટેના ઉપરાઉપરી કાગળો આવતા હોય છે. ક્યારેક તો કડવો ઠપકો પણ આપતા હોય છે. એટલે મેં નક્કી કર્યું છે કે કોઈ સામિયકની ભેટ નકલ પણ ન લેવી ટપાલમાં આવતાં સામિયકો હું ટપાલીને પાછાં આપી દઉં છું. તંત્રી સાથે વાદવિવાદમાં ઊતરવાનું મને ન પરવડે. એટલે તમારું સામિયક પાછું આપ્યું છે તેથી માઠું ન લગાડશો. એક વખત એવો હતો કે સામયિક ભેટ આવે તો પણ હું એનું લવાજમ ભરતો. હવે એ વખત ગયો છે.”
હીરાલાલભાઈના જ્યેષ્ઠ પુત્ર, ડૉ. બિપિનચંદ્ર મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ. થયા પછી, “ઋગ્વદમાં સોમરસ” એ વિષય પર શોધપ્રબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. ત્યારપછી એમણે વલ્લભવિદ્યાનગરની કૉલેજમાં અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંસ્કૃત અને અર્ધમાગધી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. જર્મન ભાષાના પણ જાણકાર ડૉ. બિપિનચંદ્ર જૈન ધર્મના વિવિધ વિષયો પર લેખો લખ્યા છે, જે “જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન'ના નામથી ગ્રંથસ્થ થયેલા છે.
હીરાલાલભાઈના સુપુત્રી મનોરમાબહેને એમ.એ. અને બી.ટી. સુધીનો અભ્યાસ કર્યા પછી, સૂરત તથા મુંબઈમાં શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેઓ અપરિણીત રહ્યાં હતાં. એમણે આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરિ (સાગરજી મહારાજ)નું જીવનચરિત્ર લખ્યું હતું તથા કેટલાંક ગ્રંથાવલોકન લખ્યાં હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org