________________
૩૧. તપાષ્ટક
૪ ૨૧
વગેરે સિત્તેર પ્રકાર બતાવવામાં આવે છે. એને ઉત્તર ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે.
બીજી રીતે સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકચારિત્ર એ રત્નત્રયીની આરાધના તે મૂળ ગુણ છે અને સમિતિગુપ્તિ એ તેનો ઉત્તર ગુણ છે. મૂલોત્તર ગુણરૂપી આ મુનિઓનું સામ્રાજ્ય ક્યારેય ખંડિત ન થાય અથવા એનું સ્તર નીચે ઊતરી ન જાય એવું નથી. પરંતુ એવું ન થવા દેવા માટે અપ્રમત્તતા જોઈએ. પ્રમાદને દૂર કરવાનો ઉત્તમ ઉપાય તે તપશ્ચર્યા છે. સ્નિગ્ધ, સ્વાદિષ્ટ અને વધુ પડતા ભોજનથી જીવનમાં આળસ, મંદતા, અનુત્સાહ ઇત્યાદિ આવે છે. પડ્યા રહેવાનું મન થાય છે. પ્રમાદ પ્રવર્તે છે. ચિત્તને પ્રમાદી બનાવવામાં ભોજન મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે જ સાધુ જીવનમાં ઉપવાસ વગેરે તપશ્ચર્યા પર વધુ ભાર મૂકાયો છે. સાધુ હૃષ્ટપુષ્ટ, તગડા હોય તો ન શોભે (સિવાય કે જન્મજાત બાંધો કે રોગ હોય), કૃશકાય હોય તો જ શોભે. એટલા માટે ઉણોદરી એ તો સાધુનું રોજનું તપ હોવું જોઈએ. કેટલાક સાધુ મહાત્માઓ દિવસમાં ફક્ત એક જ વખત આહાર લેતા હોય છે. દિગંબર પરંપરામાં એ પ્રમાણે જ હોય છે. એથી અશક્તિ નથી આવતી, બધે બાહ્ય અને આત્યંતર શક્તિનો વિકાસ થાય છે. વિહાર, પરિષહ, ઉપસર્ગ, કાયોત્સર્ગ, ધ્યાન ઇત્યાદિ વડે મુનિ મહારાજની સહનશક્તિ અને સમતા વિકસે છે. અનશન વગેરે છ પ્રકારનાં બાહ્ય તપ અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ એ ધ્યાન એ આત્મિક ગુણોમાં તન્મયતારૂપ આત્યંતર તપ વડે મુનિમહારાજ કર્મક્ષય કરવાનો ઉદ્યમ કરે છે.
તપ સંવરરૂપ છે અને નિર્જરારૂપ છે. જે તપમાં આત્માના ગુણોની એકતારૂપ ઉચ્ચ દશા પ્રવર્તે અને નવાં કર્મ ન બંધાય તે તપ સંવરરૂપ છે. જે તપમાં સત્તાગત કર્મોની નિર્જરા થાય તે તપ નિર્જરારૂપ છે. ઉભય પ્રકારનાં તપ મોક્ષસુખનો અનુભવ કરાવનાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org