________________
૨૯. પૂજાષ્ટક
૩૮૫
આ પાંચ વસ્તુ સાધુ મહારાજની ભાવપૂજામાં કેવી રીતે ઘટાવી શકાય ? તો ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે મુનિ મહારાજ સ્વ અને પરના દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણની રક્ષા રૂપી જીવદયાના અવતાર જેવા ગણાય. દયામાં આર્કતા રહેલી છે. સાધુએ દયારૂપી જલથી સ્નાન કરવું જોઈએ. સ્થૂલ જલ કરતાં આ કેટલી બધી ઉત્તમ કોટિનું જલ કહેવાય ! એથી જે શુદ્ધિ થાય તે સ્થૂલ જલથી ન થઈ શકે. સ્થૂલ જળ કરતાં દયારૂપી જળ પ્રમાણમાં વધુ છે. વિપુલ અને વિશુદ્ધ છે. ઇચ્છાનો અભાવ, એટલે સંતોષ. સાધુમહારાજને પોદ્ગલિક ભાવોને કારણે થતી તૃષ્ણા અને સંતાપનો અભાવ હોવાથી સંતોષ હોય છે. એટલે સંતોષરૂપી વસ્ત્ર તેઓએ ધારણ કર્યું હોય છે.
ગૃહસ્થો ભગવાનની આજ્ઞા મસ્તકે ચડાવવાના પ્રતીકરૂપે તિલક કરે છે. એટલે કે ભગવાનની આજ્ઞાનુસાર પોતાના દોષો નિર્મૂળ કરી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટાવવાનો પુરુષાર્થ કરવાનો હોય છે. સાધુઓએ વિવેકરૂપી તિલક કર્યું હોય છે. સ્વ અને પરના એટલે ચેતન અને જડના ભેદજ્ઞાનરૂપી વિવેક તેઓને હોય છે. અન્ય બાહ્ય પદાર્થોથી પોતાની ભિન્નતા ઉપરાંત “આ દેહથી પણ હું ભિન્ન છું, વિશુદ્ધ આત્મસ્વરૂપ છું.” એવા ભેદજ્ઞાનથી તેઓ ભાવિત હોય છે. એટલે જ વિવેકરૂપી તિલકથી તેઓ વધુ શોભે છે.
શ્રાવક કેસરને ચંદન વડે ઘસે છે. એટલે કેસરનો કેસરી રંગ અને ચંદનની સુગંધ બંનેનું મિશ્રણ થાય છે. સાધુએ ભક્તિરૂપી કેસરને શ્રદ્ધારૂપી ચંદન વડે ઘસીને તૈયાર કરવાનું હોય છે.
શ્રાવક ભગવાનની-જિનપ્રતિમાની પૂજા કરે છે. સાધુએ પોતાના દેહરૂપી મંદિરમાં બિરાજમાન શુદ્ધાત્મારૂપી દેવની પૂજા કરવાની હોય છે.
શ્રાવક જિનપ્રતિમાની નવ અંગે પૂજા કરે છે. સાધુ બ્રહ્મચર્યની નવ વાડ વડે પોતાનામાં રહેલા પરમાત્માની નવે અંગે પૂજા કરે છે. બ્રહ્મ એટલે પરમાત્મા. એમની પૂજા અર્ચના કરવા માટે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૬મા અધ્યયનમાં કહેલી શીલની નવ વાડનું પાલન અનિવાર્ય છે. એ નવ વાડ આ પ્રમાણે છે:
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org