________________
૩૪૦
જ્ઞાનસાર
માટે ઉપકારક બનવાં જોઈએ.
સાધુ માટે શરીરાર્થે આહારપાણી ઉપરાંત ઉપકરણોની આવશ્યકતા રહે છે. વસ્ત્ર, પાત્ર, સંથારો, મુહપત્તિ, ઓઘો, નવકારવાળી, સ્વાધ્યાય માટે શાસ્ત્રગ્રંથો ઇત્યાદિ સાધુ પાસે હોય છે. દિગંબર મહાત્માઓ પાસે પીંછી અને કમંડલુ હોય છે. ચાતુર્માસમાં સ્વાધ્યાય અર્થે શાસ્ત્રગ્રંથો લીધાં હોય અને કેટલાક ઉપકરણો રાખ્યાં હોય તો સાથે ક્યારેક મારાપણાનો ભાવ જોડાઈ જાય છે. કોઈ તીવ્ર આસક્તિ ન હોય તો પણ કોઈક વાર પોતાપણાનો સંબંધ અંતરમાં સ્થપાઈ જાય છે. કેટલીક વાર શિષ્ય કે ભક્તો એવો સંબંધ સ્થાપી દે છે. ઉપકરણોમાંથી કોઇપણ વસ્તુ બીજાથી તૂટી, ફૂટી, ફાટી કે બગડી જાય ત્યારે અંતરમાં કેવી સંવેદના થાય છે ? ત્યારે શબ્દ ન ઉચ્ચાર્યો હોય તો પણ અંતરમાં “મારું” એવો ભાવ અને અણગમાનો ભાવ ઉભવે છે કે નહિ એ જોવું જોઈએ.
ઉપકરણો પ્રત્યે આસક્તિ બિલકુલ ન હોય, પણ શિષ્યો પ્રત્યે આસક્તિ રહે, આ મારા શિષ્યો છે. અમુક શિષ્ય માનતો નથી, વગેરે ભાવો થાય ત્યારે કર્તવ્ય અને મમત્વ વચ્ચે પાતળી ભેદરેખા હોય છે.
જ્ઞાની મહાત્માઓને દેહ પ્રત્યેની આસક્તિ સામાન્ય રીતે હોતી નથી. પણ રોગ વગેરે વખતે કસોટી થાય છે. દેહ પણ પરિગ્રહ છે એમ ત્યારે લાગે તો સમજવું કે હજુ ઘણું આગળ જવાનું બાકી છે.
જો ધાર્મિક ઉપકરણોમાં મમત્વનો ભાવ આવી જાય તો તે ઉપકરણો પરિગ્રહ બને છે અને જો મમત્વ ન હોય, મૂર્છા ન હોય તો તે ઉપકરણો પરિગ્રહ બનતાં નથી. આમાં કેટલાં ઉપકરણો હોવાં જોઈએ અને કેટલાં ન હોવાં જોઈએ એનો નિર્ણય મહત્વનો નથી, પણ અંતરંગ પરિણતિ કેવી છે એ બહુ મહત્ત્વની વાત છે. છસાત ઉપકરણો હોય અને મમત્વનો ભાવ હોય એમ બની શકે. વળી એક વાર મમત્વ હોય તો તે કાયમ રહ્યા કરે અથવા આરંભમાં મમત્વ ન હોય તો તેવી સ્થિતિ નિરંતર રહે એવું પણ કહી શકાય નહિ. આમાં તો પળપળની જાગૃતિ અનિવાર્ય છે અને પોતાનો અંતરાત્મા જ સાચો સાક્ષી છે. આ વિષયમાં સાધુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org