________________
૩ ૨૪
જ્ઞાનસાર
અનુવાદઃ શાસ્ત્રરૂપી દીપક વિના, અદષ્ટ અર્થમાં (પરોક્ષ વિષયમાં) પાછળ પાછળ દોડતા જડ (અવિવેકી) માણસો પગલે પગલે ઠોકર ખાતા અત્યંત ખેદ પામે છે. (૫) વિશેષાર્થ : કેટલીક વાર શાસ્ત્રને ચક્ષુ, દીપક, નૌકા ઇત્યાદિ તરીકે ઓળખાવવામાં આવે છે. જિનેશ્વર ભગવાન-કથિત શાસ્ત્રો એ લક્ષ્ય સુધી પહોંચાડનારું પ્રબળ સાધન છે. ગુરુપરંપરાએ પ્રાપ્ત એવા શાસ્ત્રકથનથી, શાસ્ત્રજ્ઞાનથી કેટલાયે જીવોનો ઉદ્ધાર થતો રહ્યો છે.
આખું જગત અજ્ઞાનરૂપી એટલે કે મિથ્યાત્વરૂપી અંધકારથી ભરેલું છે. સૂર્યનો ઝળહળતો પ્રકાશતો હોય તો પણ ઠેર ઠેર મિથ્યાત્વરૂપી અંધકારમાં અટવાતા જીવોને જોઈને જ્ઞાનીને દયા આવે છે.
શાસ્ત્ર અંધારામાં દીપકની ગરજ સારે છે. જેઓ શાસ્ત્રનો અનાદર કરે છે, અસ્વીકાર કરે છે તેઓ અંધારામાં દીવા વગર ચાલતા અને પગલે પગલે ઠોકર ખાતા, ખાડા, કાંટામાં અટવાતા મુસાફર જેવા છે. દીવો નાનો હોય તો પણ અંધકારમાં એ શક્તિશાળી બની જાય છે. જૂના વખતમાં એક આદિવાસી કઠિયારો જંગલમાં ભૂલો પડ્યો. ઘોર અંધારું થયું. એક ઝૂંપડીવાળાએ એને દીવો આપ્યો. કઠિયારાએ જિંદગીમાં પહેલી વાર દીવો જોયો. એણે દીવો પાછો આપ્યો ને કહ્યું કે “દીવાથી તો આટલામાં થોડું દેખાય છે. મારે તો ઠેઠ ઘર સુધી જવું છે.” ઝૂંપડીવાળાએ કહ્યું કે આ દીવાથી જ્યાં સુધી તને દેખાય ત્યાં સુધી તે ચાલતો રહે, એમ કરતાં કરતાં તું ઘરે પહોંચી જશે.” અને એ રીતે કઠિયારો અંધારામાં ઘર સુધી પહોંચી ગયો.
શાસ્ત્રરૂપી દીપક જીવને મિથ્યાત્વરૂપી અંધકારમાં માર્ગ બતાવી ક્રમે ક્રમે ઠેઠ લક્ષ્યસ્થાન મોક્ષ સુધી પહોંચાડી શકે છે. માટે શાસ્ત્રોની અવગણના કે અવહેલના ન કરવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org