________________
૧૯૦
જ્ઞાનસાર
જતાં એવો ભ્રમ પેદા થવાનો સંભવ છે કે પોતાના કરતાં લોકો કેવું સરસ સુખ ભોગવે છે. એમને ધન વૈભવની, ભોગ-સામગ્રીની કેટલી બધી અનુકૂળતા છે !
વસ્તુત : મુનિએ એમ ચિંતવવું જોઈએ કે લોકો જે સુખ ભોગવે છે તે તો ભવનો–સંસારનો એક પ્રકારનો ઉન્માદ છે. જેવો આ ઉન્માદ પૂરો થયો એટલે એના એ જ જીવો પોતપોતાના કર્મ અનુસાર ક્યાંનાં ક્યાં ફેંકાઈ જશે !
ઉપાધ્યાયજી મહારાજે સાંસારિક સુખો માટે અહીં બે ઉપમા આપી છે. કોઈ માણસને શરીરે સોજા ચડ્યા હોય અને એ એમ માને કે પોતે કેવો હૃષ્ટપુષ્ટ થયો છે, કેવી સરસ તબિયત બનાવી છે, તો એ એનો ભ્રમ છે. સોજા એ તો રોગની નિશાની છે. એ તો શરીરને પાયમાલ કરનાર છે. સોજાનું જાડાપણું ઓછું થાય કે તરત શરીર જાડું નહિ રહે. તેવી રીતે સંસારના ભોગોપભોગો રળિયામણા લાગે છે, પણ વસ્તુતઃ એ એક પ્રકારનો ઉન્માદ છે, એક પ્રકારનો સોજો છે, જે પૂર્વબદ્ધ કર્મના ઉદયને કારણે જન્મ્યો છે.
બીજી ઉપમા અહીં ફાંસીના કેદીની આપવામાં આવી છે. જૂના વખતમાં, કેટલાક રાજાઓના રાજ્યોમાં એવી પ્રથા હતી કે જે ગુનેગારને ફાંસીની સજા થઈ હોય એને વધસ્થાને જ્યારે લઈ જવાતો હોય ત્યારે તેને ઢોલનગારા સાથે વાજતેગાજતે લઈ જવામાં આવતો કે જેથી એ દશ્ય જોનાર લોકોને ચેતવણી મળે કે “મોટા ગુના કરશો તો આ રીતે ફાંસીની સજા મળશે.” એ કેદીના ગળામાં ગુલાબ કે મોગરાનાં ફૂલની માળા નહિ, પણ કરેણનાં ફૂલની માળા પહેરાવવામાં આવતી હતી. હવે એ વખતે એ ગુનેગાર એમ માને કે “જુઓ ! મને કેટલું બધું માનસન્માન રાજ્ય તરફથી મળે છે ! હું કેવો સુખી છું !” ત્યારે લોકોને તો એ હાસ્યાસ્પદ અને તિરસ્કારભર્યું લાગે.
આવું જ ચિંતન મુનિઓએ કરવાનું છે. સાંસારિક અસાર ભોગપ્રધાન સામગ્રી પ્રત્યે તેમને ઉદાસીન બની જવાનું છે. એ પ્રત્યે તેમણે મૌન ધારણ કરવું જોઈએ અને પોતાના આત્મામાં જ, આત્મગુણોના ચિંતનમાં, આત્મસ્વરૂપમાં જ મગ્ન અને તૃપ્ત રહેવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org