________________
૧૮૦
જ્ઞાનસાર
શકે છે. સુખદુઃખની વિભાવનાનાં ઘણાં પાસાં છે.
માણસ જ્યારે પરસ્પૃહા રાખે છે, પારકી વસ્તુ મેળવવાની કે બીજા પાસે કશુંક પ્રાપ્ત કરવાની આશા રાખે છે ત્યારે એ તૃપ્ત ન થાય તો માણસ દુઃખી થાય છે. વળી તૃપ્તિથી અનુભવાતું સુખ પણ ક્ષણિક છે. પરંતુ માણસ જ્યારે નિસ્પૃહ રહે છે ત્યારે એને આવા કોઈ અનુભવોમાંથી પસાર થવાનું રહેતું નથી. એટલે એ શાન્તિપૂર્વક સુખાનુભવ કરે છે.
મનુષ્યજીવનને સુખસગવડભર્યું બનાવવા માટે તરેહ તરેહનાં સાધનો, ઉપકરણો, ચીજવસ્તુઓનાં ઉત્પાદનો દિવસે દિવસે વધતાં જાય છે. નવી નવી ફેશનેબલ વસ્તુઓ બજારમાં આવતી જાય છે. એક જુઓ અને એક ભૂલો એવું બનતું રહે છે. માણસો આ બધી જ વસ્તુઓ મેળવી-ભોગવી શકતા નથી અને કારણ વગર દુ;ખી થાય છે. પણ માણસ જો એ વિષયમાંથી મન હઠાવી લે અથવા એ તરફ ચિત્તને જવા જ ન દે, એ વસ્તુઓ વિશે કશી સ્પૃહા રાખે જ નહિ, એ વિશે કશી માહિતી મેળવવામાં રસ લે નહિ તો એને અંદરથી એક પ્રકારની શાન્તિનો અનુભવ થશે. એ જ એને વિશિષ્ટ પ્રકારની સુખાનુભવ કરાવશે.
બાહ્ય પદાર્થો પ્રત્યે મનુષ્ય નિઃસ્પૃહ થઈ જાય તો અંતર્મુખ થઈ સ્વસ્વરૂપના અનુભવ તરફ વળી શકે છે. સાધક આત્મસ્વરૂપનો ભોકતા બને તો પરભાવ-વિભાવની એની અભિલાષા નિર્મૂળ થતી જાય છે. ત્યારે જ એને પરભાવ-પરસ્પૃહા કેટલાં દુઃખમય છે એની પ્રતીતિ થાય છે. ત્યારે જ એને સમજાય છે કે વસ્તુતઃ નિસ્પૃહત્વ એ જ એનો સાચો ધર્મ છે. પરની સ્પૃહા એ તો માત્ર વિકાર છે, વિભાવદશા છે.
ઇચ્છાનો ઉદ્ભવ એ આત્માની વિભાવદશા છે. ઇચ્છારહિતપણું એ આત્માનો સ્વભાવ છે. જ્યાં સ્વભાવ છે ત્યાં આત્મિક સુખ છે. જ્યાં વિભાવ છે ત્યાં દુઃખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org