________________
૫૮
જ્ઞાનસાર
એની આંખો પહોળી થઈ જાય છે, તે જોરથી હાથ પછાડે છે અથવા બીજા દારૂડિયા સાથે ઊંચા હાથ કરીને તાળીઓ પાડે છે, પોતે જાણે ઘણો ચબરાક હોય એમ વર્તે છે. (પરંતુ સ્વસ્થ માણસને એ મૂર્ખ છે એમ સમજાઈ જાય છે.) તે ક્યારેક તો કંઈક તોડફોડ કરી બેસે છે. એના વ્યવહારમાં કોઈ સમતુલા રહેતી નથી. તે અભદ્ર, અશિષ્ટ વર્તન કરે છે. તે ઉન્મત્ત બની જાય છે એટલે વિવેકમર્યાદા ગુમાવી દે છે. છેવટે એ થાકીને લોથ થઈ જાય છે અને ગમે ત્યાં આળોટીને ઊંઘી જાય છે.
સંસારના જીવો પણ જાણે મોહરૂપી મદિરા પીધી હોય એવા દેખાય છે. તેઓ વિકલ્પોની વિભાવદશામાં કૂદકા મારે છે. કેટલાયનાં વાણી-વર્તનમાં સંગતતા જોવા નથી મળતી. ક્યારેક સંબંધોમાં બે અંતિમ કોટિનાં પરિણામ જોવા મળે છે. બાપે દીકરાને લાડથી ઉછેર્યો હોય એ જ દીકરો યુવાન થતાં ધન વગેરેને કારણે પિતાને ઘરની બહાર કાઢે છે. યુવક-યુવતીએ પ્રેમલગ્ન કર્યા હોય છે, પણ થોડાં વર્ષમાં જ છૂટાછેડા લઈ મિલકત માટે અદાલતનો આશ્રય લે છે. ભાઈ-ભાઈ ગરીબીમાંથી ઊંચે આવી સાથે મોટો ઉદ્યોગ વિકસાવે છે, પણ પછી ક્લેશકંકાસ થતાં એકબીજા સામે રિવોલ્વર તાકે છે. આ તો થોડાક નમૂનારૂપ કિસ્સા છે. અખબારોમાં તો રોજ અવનવી ઘટનાઓ વિશે વાંચવા મળે છે ત્યારે થાય છે કે કેવો વિચિત્ર છે સંસાર ! આવો સંસાર જોઈને જ્ઞાની મહાત્માને કરુણાયુક્ત હસવું આવ્યા વગર રહે નહિ!
આ તો દશ્યમાન ઘટનાઓ વિશેની વાત છે. પરંતુ જ્ઞાની મહાત્માને કોઈ જીવોના પૂર્વ ભવોની ઘટના વિશે પોતાના જ્ઞાનના ઉપયોગમાં જોવા મળે તો તેઓને તો સંસારનો વ્યવહાર વધુ વિચિત્ર, વિસંગત અને હાસ્યાસ્પદ લાગે.
જીવ વિવિધ પ્રકારની એષણાઓને કારણે વિકલ્પોની મોહજાળમાં ફસાઈને, કષાયોનો આશ્રય લઈને કર્મો બાંધે છે અને પોતાની ભવપરંપરા વધારે છે, પરંતુ જ્ઞાની મહાત્માઓ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ સંસારરૂપી પીઠામાં ભાન ભૂલેલા દારૂડિયાઓને સાક્ષીભાવથી નિહાળે છે અને કોઈક યોગ્ય જીવને સવળે માર્ગે વાળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org